NJPSS NAVSARI OFFICIAL
618 views • 22 hours ago
ગુણોત્સવ 2.0 SQAAF સ્વમૂલ્યાંકનની કામગીરી સરળ બનાવવા અને સમયમર્યાદા વધારવાની માંગ
ગાંધીનગર, તા. 14 ઓગસ્ટ, 2026: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુણોત્સવ 2.0 અંતર્ગત SQAAF સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા સરળ બનાવવા તેમજ કામગીરી માટે સમયમર્યાદા વધારવા અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમિનકુમાર એન. પટેલ અને પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે ગુણોત્સવ 2.0 SQAAFના સ્વમૂલ્યાંકન માટે શાળાઓ પાસેથી આશરે 180 જેટલા ફોટોગ્રાફ્સ, રજિસ્ટરો, પાનાં, લેખવાલી, પ્રમાણપત્રો તથા વિવિધ આધાર-દસ્તાવેજો તૈયાર કરી પોર્ટલ પર અપલોડ કરવાની કામગીરી સૂચવવામાં આવી છે.
શિક્ષક સંઘના જણાવ્યા મુજબ, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મૂલ્યાંકન જરૂરી છે, પરંતુ સ્વમૂલ્યાંકન માટેની પ્રક્રિયા અત્યંત જટિલ, દસ્તાવેજી અને વધુ સમય માગતી હોવાથી શિક્ષકોના શૈક્ષણિક કાર્ય પર વધારાનું ભારણ આવી રહ્યું છે. ખાસ કરીને હાલ નિપુણ ભારત અંતર્ગત બેઝલાઈન એસેસમેન્ટની કામગીરી પણ ચાલી રહી છે.
આ ઉપરાંત તા. 13 અને 14 ઓગસ્ટ દરમિયાન અનેક જિલ્લાઓમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે તા. 17થી 25 ઓગસ્ટ દરમિયાન ત્રિમાસિક કસોટીનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં શિક્ષકો માટે વિવિધ શૈક્ષણિક અને વહીવટી કામગીરી એકસાથે પૂર્ણ કરવી મુશ્કેલ બની રહી હોવાનું સંઘે રજૂઆતમાં જણાવ્યું છે.
શિક્ષક સંઘે માંગ કરી છે કે સ્વમૂલ્યાંકન માટે માત્ર મહત્વપૂર્ણ અને મર્યાદિત આધાર-દસ્તાવેજો જ લેવામાં આવે, ફોટોગ્રાફ્સ તથા દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને સ્વમૂલ્યાંકન પૂર્ણ કરવા માટેની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે.
શિક્ષકોને શૈક્ષણિક કામગીરી માટે પૂરતો સમય મળી રહે તેમજ ગુણોત્સવ 2.0ની પ્રક્રિયા ગુણવત્તાસભર અને સરળતાથી પૂર્ણ થઈ શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આ રજૂઆત અંગે સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આશા વ્યક્ત કરી છે. #njpssnavsariofficial #નવસારી ન્યૂઝ #khergam|vansda|chikhli|Gandevi|navsari #navsari
10 likes
4 shares