#👮9 પોલીસકર્મીને ફાંસીની સજા તમિલનાડુના ચર્ચિત સાથાનકુલમ કસ્ટોડિયલ કિલિંગ કેસમાં મદુરાઈની ડિસ્ટ્રિક્ટ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપતા 9 પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન મોબાઈલની દુકાન સમય કરતા વધુ ખુલ્લી રાખવાના નજીવા અને ખોટા આક્ષેપ હેઠળ 59 વર્ષીય વેપારી પી. જયરાજ અને તેમના 31 વર્ષીય પુત્ર જે. બેનિક્ષની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર એસ. શ્રીધર અને સબ-ઇન્સ્પેક્ટર રઘુ ગણેશ સહિતના પોલીસકર્મીઓએ પિતા-પુત્ર પર લાકડીઓથી અમાનવીય અને લોહિયાળ અત્યાચાર ગુજાર્યો હતો, જેના કારણે 22 અને 23 જૂન 2020 ના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ જન્માવ્યો હતો અને મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ CBI એ તપાસ સંભાળી હતી. તપાસ દરમિયાન મહિલા કોન્સ્ટેબલની જુબાની અને લોહીના નિશાનવાળી લાકડીઓ મુખ્ય પુરાવા બન્યા હતા. જજ જી. મુથુકુમારને તમામ 9 આરોપીઓને હત્યા અને પુરાવા મિટાવવા સહિતની કલમો હેઠળ દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે, જે પોલીસ દમન સામે ન્યાયિક ઇતિહાસનો સૌથી કડક ચુકાદો માનવામાં આવે છે.


