🍃🍃🌼🍃🍃
ફાગણ વદ-૦૧ ધુળેટી
હોળીના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે 2 માર્ચે ધૂળેટી છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ નિતનવા રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે.
ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકસાન નથી.
બરસાનાની લઠ્ઠમાર હોળી.....
હોળી-ધુળેટીનો ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભર ભૂમિ ભારતભરમાં નથી. અહીંની ધૂળ પણ આ દિવસોમાં ગુલાલ બની બ્રીજબાળને તોફાને ચડવા ઉશ્કેરતી રહે છે. વ્રજનો પ્રત્યેક બાંકો છોરો કાન્હો અને પ્રત્યેક છબીલી છોરી રાધાના પરિવેશમાં આ દિવસે ગુલતાન બની મહાલે છે.
હોળીનાં વિવિધ લોકગીતો જેવાં કે ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા, રંગ કે ડફકી હોરી જેવાં ઋતુગીત વ્રજના દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યાં કરે છે. આ દિવસે ગાયનવાદન, નૃત્યનાટકો લોકગીતો (રસિયા)નું માન કરવામાં આવે છે. સામૂહિક રીતે ઘણા જ અવનવા કાર્યક્રમોથી વ્રજભૂમિની ગલી-ગલી રાસલીલાઓથી ઊભરાય છે.
ધુળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે. વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠ્ઠમાર હોળી છે. બરસાના એ મથુરા પાસે આવેલું રાધાજીનું જન્મસ્થાન છે. અહીંની લઠ્ઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાના ગામની સ્ત્રીઓ શણગાર સજી લાંબા ઘૂમટા તાણીને ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવેલ કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે. ત્યારે નંદગાવથી હોળી રમવા આવેલા પુરુષો જે રાધાજીના મંદિર ‘લાડિલીજી’ પર ધજા ફરકાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે. સ્ત્રીઓના નાજુક હાથમાં ચૂડલાનો રણકાર લાઠીના પ્રહારને ખનકદાર બનાવી દે છે.
પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતાં કરતાં આ લાઠીનો માર સહન કરે છે. જો પુરુષો આ મારમાં પકડાઇ જાય તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચાવવામાં આવે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ આ રીતે નાચ નચાવ્યા હતા.
🍃🍃🌼🍃🍃
#😇હેપ્પી ધુળેટી 💐 #ધુળેટી