🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
શ્રીજીમહારાજ ભુજ થકી ચાલ્યા તે ગામ કાળાતળાવ પધાર્યા અને ત્યાં સ્વામીની ઓરડીમાં પોતે ગાદીતકીયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા અને સર્વે ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં હતાં. અને પોતાના મુખારવિંદ આગળ મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી,વિરક્તાનંદ સ્વામી એ આદિક સંત તથા સુથાર ભીમજીભાઈ, હરભમ તથા મનજી તથા રવજી એ આદિક બીજા કેટલાક હરિભક્ત બેઠા હતા અને તે સમયે શ્રીમદ્ભાગવતની કથા વંચાતી હતી. ત્યારે તે કથામાં એકાંતિક ભક્તોનો પ્રસંગ આવ્યો. તે સાંભળીને શ્રીજી મહારાજે ચપટી વગાડીને તે કથા બંધ રખાવી અને પોતે વાત કરવા લાગ્યા જે, ભગવાનનો એકાંતિક ભક્ત હોય તે પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમને પોતાના સ્વામી છે. એમ સમજીને પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ ભગવાન તેમનું ધ્યાન સ્મરણ અને ઉપાસના તેને કર્યા કરે અને દેહે કરીને તથા મને કરીને ત્યાગી રહે અને જેટલાં પરમેશ્વરે વર્તમાન બાંધ્યા હોય તેમાં કોઇ પ્રકારનો ફેર પડવા દે નહીં. એવા હોય તે એકાન્તિક ભક્ત કહેવાય. એવા એકાન્તિક ભક્તની પ્રવૃત્તિ સૃષ્ટિમાં ક્યાંય ન હોય ત્યારે શ્રીનરનારાયણ દેવને વિષે રહે છે અને નરનારાયણ દેવ પોતે એકાન્તિક ભક્તની પેઠે વર્તિને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શીખવાડે છે, એવા આસમયને વિષે તો એક નારદજી છે અને બીજા આ સત્સંગમાં એવા ઘણાક છે અને અમો તો સર્વે મતપંથ જોઈ વળ્યા. પરંતુ કોઇ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાન અને ત્યાગ નથી. અને કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગ અને ઉપાસના નથી. એવી રીતની ઘણીક વાર્તા કરીને, વળી એમ બોલ્યા જે, હે સંતો ! હે હરિભક્તો ! આપણે એવો સંપ્રદાય ચલાવીએ કે વેદપુરાણને અનુસરીને કોઇ વાતની કસર રહે નહીં. એમ કહીને સર્વે સંત હરિભક્તે સહિત કીર્તન ગાતા ગાતા ત્યાં થકી પગપાળા ચાલ્યા તે નારાયણસરે સ્નાન કરવા પધાર્યા અને ત્યાં નારાયણસરમાં વિધિપૂર્વક સ્નાન કરીને રણછોડજી ત્રિકમજીનાં મંદિરમાં જઇને દર્શન કરીને કોટેશ્વર મહાદેવજીની જગ્યામાં જઇને ત્રણ દિવસ રહ્યા અને સદાવ્રતનું સીધું લાવીને જમતા. પછી ત્યાંથી ચાલ્યા તે ગામ તેરા આવીને અઢી માસ રહીને સર્વે સંત હરિભક્તોને ઘણાક પ્રકારની ત્યાગ-વૈરાગ્યની તથા પોતાના સ્વરૂપની દ્રઢતાની વાર્તા કરીને ભગવાનપણાનો નિશ્ચય કરાવતા હતા.
🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


