🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે ગામ ગોરાડામાં આવ્યા.અને તે ગામના ચોરામાં ત્રણ દિવસ રહીને આહીર બોઘા એ આદિકની કેટલીક સ્ત્રીઓ દહીંનાં ગોરસાં લાવીને જમાડતી હતી.તેથી શ્રીનીલકંઠ બ્રહ્મચારી અતિશય પ્રસન્ન થઈને મોક્ષરૂપી વર આપતા હતા. અને કૂવામાંથી જળની કઠારી ભરીને ચાલ્યા, તે સાભ્રમતિ ગંગા ઉતરીને ભીમનાથ જતા હતા. અને ત્યાં કેટલાક દિવસ રહીને શ્રીમહાદેવજીનાં દર્શન કરતા સતા ત્યાં રહેતા અતીતોએ શ્રીનીલકંઠ બ્રહ્મચારીને અતિશે તપસ્વી જાણીને અતિ પ્રેમ વડે કરીને સેવા કરી. તેથી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવીને ત્યાં થકી ચાલ્યા તે કેટલેક દિવસે ગોપનાથ મહાદેવને પામતા હતા. અને ત્યાં ત્રણ દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા તે સોરઠ દેશને વિષે લોઢવા ગામમાં આવ્યા. અને ત્યાં ચારણના ચોરામાં ઉતર્યા એટલે તે ગામમાં એક ચારણને આત્માનંદ સ્વામીનો થોડોક સમાગમ થયેલો હતો. પછી તે ચારણે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને તે આત્માનંદ સ્વામીની થોડીક વાત કરી. તે સાંભળીને તે ચોરામાં એક માસ રહ્યા. અને તે ચારણની સ્ત્રી લખુબાઇ તે બ્રહ્મચારી વેષે રહ્યા જે બાલાજોગી, તેમને બહુ ત્યાગી અને તપસ્વી જાણીને અતિ હેતપૂર્વક છેટે રહીને સેવા કરતી હતી. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારીએ વિચાર કર્યો જે, આમાંથી બંધન થશે. એમ જાણીને ત્યાં થકી પ્રાતઃકાળે વહેલા ઉઠીને દ્વારિકાના માર્ગે નીકળ્યા અને ત્યાંથી થોડેક દિવસે ગામ માંગરોળ બંદરમાં આવ્યા અને ત્યાં પશ્ચિમ તરફ વૈરાગીના અખાડામાં થોડાક દિવસ રહીને, ત્યાં થકી ચાલ્યા તે ગામ લોજપુરની વાવ ઉપર આવ્યા.અને ત્યાં વાવમાં સ્નાન કરીને ચોતરા ઉપર પોતાનો નિત્યવિધિ કરવા બેઠા. તે વખતે રામાનંદ સ્વામીના સાધુ સુખાનંદ સ્વામી તે વાવ ઉપર સ્નાન કરવા માટે આવ્યા. ત્યારે તેમણે શ્રીનીલકંઠ બ્રહ્મચારી મહા તપસ્વી બાલાજોગી રૂપે જોઇને બોલ્યા જે, હે બ્રહ્મચારી ! આ ગામમાં અમારી જગ્યામાં ચાલો. ત્યાં અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે તે દર્શન કરવા યોગ્ય છે. માટે તમો આવો તો ભલે, નહીં તો એમને અહીં બોલાવીએ. ત્યારે બોલ્યા જે, ના. ચાલો. અમો ત્યાં આવીએ છીએ. એમ કહીને તે સુખાનંદ સ્વામીની સાથે જઇને મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી છેટેથી વર્ણિને આવતા જોઇને ઓસરી ઉપર બેસીને ગીતાનો પાઠ કરતા હતા તે એકદમ ઉભા થઈને અતિ હેતે સહિત મળીને આસન આપતા હતા. તે આસનને પોતે લગારેક કોરે ખસેડીને પૃથ્વી ઉપર બેઠા. તે જોઇને સ્વામીએ જાણ્યું જે, આતો કોઇક જ્ઞાની જણાય છે. એમ જાણીને ઘણુંક સન્માન કરીને બહુ હેત દેખાડતા સતા પોતાની પાસે રાખતા હતા. પછી બીજા દિવસે સવારના પહોરમાં સભા થઇ, તે સમયે શ્રીનીલકંઠ બ્રહ્મચારી બોલ્યા જે, હે સ્વામિન્ !
જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ એમનાં જુદાં જુદાં સ્વરૂપ કહી દેખાડો તો, અમો તમારી પાસે રહીએ. ત્યારે નિર્માનીપણે સ્વામી બોલ્યા જે, અમારા ગુરુ શ્રીરામાનંદ સ્વામી પાસેથી જેટલું મારા જાણવામાં આવ્યું છે, તે તમોને કહી દેખાડું છું. એમ કહીને તે પ્રશ્નોના ઉત્તર વિક્તિએ સહિત કર્યા. અને કહ્યું જે, યથાર્થ તો શ્રીરામાનંદ સ્વામી જાણે છે. ત્યારે અતિ પ્રસન્ન થયા થકા બોલ્યા જે, હે સ્વામિન્ ! હવે અમો તમારી પાસે રહીશું. પરંતુ તમારા ગુરુ શ્રીરામાનંદ સ્વામીનાં દર્શન મને કરાવો. ત્યારે સ્વામીએ કહ્યું જે, બહુ સારૂં, પણ તમો અહીં રહો તો થાય. ત્યારે શ્રીનીલકંઠ બ્રહ્મચારી, સ્વામી પાસે રહેતા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ