🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
નિલકંઠ વર્ણી આગળ ચાલ્યા, તે કેટલાક દિવસે એક મોટો પર્વત આવ્યો તે પર્વતની તળેટીમાં છેટે એક મોટો વટવૃક્ષ દેખાયો. તે કેવો હતો, ઘણી લાંબી શાખાઓવાળો અને ફરતાં ચારે બાજુ વિસ્તારવાળો, ઘણાં પત્ર હોવાથી ઘાટી છાયાવાળો મહા રમણીય હતો. એના ઉપર હજારો પક્ષી રહેતાં હતાં, તેથી શબ્દાયમાન છે ચારે દિશાઓ જેની, એવા વૃક્ષ નીચે આવીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી મૃગચર્મ પાથરીને ઉપર પોતાનું આસન કરીને બિરાજ્યા. તે સમયે પોતાની ઇચ્છાથી હનુમાનજી આવ્યા અને નમસ્કાર કરીને સમીપે બેસતા હતા. બાલાજોગી તો પોતે થાકના કારણે સૂઇ ગયા. એટલે તે પવનસુત ચરણની સેવા કરવા લાગ્યા. તે સમયે વૃક્ષમાં રહેતાં હજારો ભૂતપ્રેતાદિક જે સર્વે પોતાનો ભક્ષ્ય કરવા ગયેલાં હતાં તેમાં તેમનો અધિપતિ જે મહા કાળભૈરવ તેને સહિત ત્યાં આવ્યાં, ભયંકર વેષવાળાંતે સર્વે ભૂત આવીને વડની ચારે તરફ ઘેરો ઘાલતાં હતાં. તે ભૈરવ તો પોતાનું ઘણું બળ દેખાડીને મહા ઘોર ભયંકર શબ્દ કરવા લાગ્યો. તેને સાંભળીને પવનસુત પોતે ઉભા થઇ, સામા જઈને પોતાના પૂંછડે બાંધીને જોરથી તેના મસ્તક ઉપર એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો કે, તત્કાળ ત્રાસ પામી ગયો અને પોતાની ગરદનમાં મસ્તક ઉતરી ગયું. ત્યારે તે ઉઠીને પ્રાર્થના કરવા લાગ્યો ને બોલ્યો જે, હે મરુત્સુત ! ફરીથી હું કોઇ દિવસ આવું કામ નહીં કરું. એવું સાંભળીને તત્કાળ તેને મૂકી દીધો એટલે તેને જોઇને બીજાં હજારો ભૂત તેની સહાયમાં ઉભેલાં હતાં. તે ત્રાસ પામીને નાસી ગયાં. પછી બાલાજોગી ત્યાં સુખેથી રાત્રિ પસાર કરીને સવારના પહોરમાં સ્નાન કરીને નિત્યવિધિ કરવા બેઠા. તે સમયે હનુમાનજીએ કંદમૂળ આપ્યું તેનું ઠાકોરજીને નૈવેદ્ય કરીને પોતે જમતા હતા. ત્યારપછી હનુમાનજી રજા માગીને અદ્રશ્ય થઇ ગયા. પછી ત્યાંથી ચાલતાં ચાલતાં મહા ઘોર વન આવ્યું, તેમાં કોઇ જગ્યાએ જળ તથા ફળ કંઈ પણ મળ્યું નહીં, એવી રીતે અઢી માસ વિત્યાબાદ વનથી બહાર નિસરીને ચાલ્યા, તે સમયે રસ્તામાં પડી ગયા. એટલે એક ઘડી ત્યાં બેસીને શાંતિ થયા પછી ત્યાંથી ચાલ્યા, તે એક પર્વતની તળેટીમાં કૂવો આવ્યો, ત્યારે ત્યાં સ્નાન કરીને ઠાકોરજીને સ્નાન કરાવવા લાગ્યા, ત્યારે
ઠાકોરજી ઘણુંક જળ પીવા લાગ્યા. તે જોઈને પોતે વિચાર કર્યો જે, આટલી બધી તૃષા લાગી છે માટે ભુખ્યા પણ ઘણા હશે, એમ સંકલ્પ કરે છે તેટલામાં શિવજી અને પાર્વતી પોઠીયા ઉપર બેસીને ત્યાં આવ્યાં અને વિનંતિપૂર્વક નમસ્કાર કરીને પોતાની પાસેથી સાથવો અને મીઠું આપતાં હતાં. તેને બાલાજોગી શ્રીઠાકોરજીને જમાડીને પોતે જમતા હતા. જમીને જળપાન કરીને શિવજીની સ્તુતિ કરી ત્યારે શિવજી બોલ્યા જે, હે બાલાજોગી ! અમોને સંભારશો તે સમયે અમો આવીશું. ત્યાર પછી રજા માગીને અદ્રશ્ય થઈ ગયા. પછી પોતે એક ઘડી વિશ્રામ કરતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ


