🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
પછી ત્યાં થકી ચાલ્યા તે એક મોટો પર્વત આવ્યો, તેની તળેટીમાં વૃક્ષ જોતા સતા ચાલ્યા તે ચાલતાં ચાલતાં કેટલાક દિવસ વીતી ગયા પછી એક ગામ આવ્યું. ત્યારે તે ગામના માણસોને પૂછ્યું જે, હે ભાઈઓ ! અમોને કયાંક સારી ઉતારાની જગ્યા હોય તો બતાવો. ત્યારે કહ્યું જે, હે બાલાજોગી ! તમારે ઉતરીને એક બે રાત્રિ રહેવું હોય તો આ એક મોટી વૈરાગીની જગ્યા છે તેમાં જઈને સુખેથી રહો. તે સર્વે તીર્થવાસીને ઉતરવાની છે. તે સાંભળીને તે જગ્યામાં ગયા અને બાવાએ આપેલા આસન ઉપર બેસતા હતા. પછી જયારે રાત્રિ પડી ત્યારે ગામના કેટલાક તે બાવાના સેવકો તથા કેટલીક સ્ત્રીઓ તે આવીને કથા સાંભળીને તે બાવાને સ્પર્શ કરીને કેટલીક સ્ત્રીઓ બાવાની ચરણ સેવા કરવા લાગી. એવો અતિશય અધર્મ જોઈને શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે બાવા પ્રત્યે બોલ્યા જે, આપણે તો સાધુ થયા. માટે કનક-કામિનીનો ત્યાગ રાખવો જોઇએ અને સ્વધર્મના માર્ગે ચાલીને ભગવાનનું ભજન કરવું જોઇએ. તે સાંભળીને અતિશય ક્રોધાયમાન થઈને કેટલાક બાવાઓ એકદમ ઉઠીને બોલ્યા જે,
अरे लडका तुम यहांसे बाहर चले जाओ नहि तो मारेगा ।
ત્યારે તે જગ્યાના દરવાજે તાળું વાસેલું હતું તોપણ તે બાવાઓને અતિ અધર્મી જાણીને તત્કાળ ત્યાં થકી અન્તર્ધાન થઈને ચાલી નીકળ્યા.
અને બહાર એક વાણિયાની દુકાનની ઓસરીમાં જઈને રાત્રિ રહેવાનો વિચાર કરતા હતા તેટલામાં તો આવો મહાન કોપ જોઇને મારૂતિદેવ આવીને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને પગે લાગીને તે બાવાના મંદિરમાં જઈને વૈરાગીઓને મારવા માંડયા. ત્યારે તે સર્વે વૈરાગી અતિશય રૂદન કરવા લાગ્યા. તે સમયે મારુતિ બોલ્યા જે, ત્યાગી થઈને આવાં નીચ કામ કરો છો. અને કોઇ કહે ત્યારે વળી ક્રોધ કરીને મારવા જાઓ છો. તેવું સાંભળીને તે વૈરાગી બોલ્યા જે, હે ભાઈ! તમો કોણ છો? ત્યારે બોલ્યા જે, અમો તો હનુમાનજી છીએ. એમ કહ્યું કે તુરત તે વૈરાગી અત્યન્ત નિર્માની થઇને બોલ્યા જે, હે પવનસુત ! અમો તો આજ બાલાજોગીરૂપે નાનો એક છોકરો અમારા આશ્રમમાં આવીને અમોને અધર્મ વિષે શિખામણ દેવા લાગ્યો તેથી તે છોકરા ઉપર ક્રોધ કર્યો કે તુરત તે અદ્રશ્ય થઇ ગયો. અને દરવાજો તાળાએ સહિત એમને એમ વાસેલો હતો. ત્યારે બોલ્યા જે, અરે, અભાગીઆઓ ! કેમ તમારો દિવસ ફર્યો છે. અને તે તો સાક્ષાત્ શ્રીરામચંદ્રજી છે. આ પૃથ્વીને વિષે જન્મ ધરીને વનવિચરણ કરતા સતા અધર્મને ત્યાગ કરાવવા સારૂં પધાર્યા છે. માટે જાઓ. તેમને અહિં બોલાવી લાવો અને રાજી કરીને તેમનો આશ્રય કરો. તમારા જીવનું સારું થશે. નહિ તો આમ ને આમ માર ખાઈને મરી જશો. એમ કહીને અદ્રશ્ય થઈ ગયા. તે જોઈને મહા આશ્ચર્ય પામતા સતા તત્કાળ તે દરવાજાનું તાળું ઉઘાડીને બહાર આવીને જુએ છે, ત્યાં તો વાણિયાની દુકાનની ઓસરીમાં બેઠેલા દેખીને તે સર્વે વૈરાગીઓ અતિ નિર્માની થઈને પાસે જઈને પગે લાગી પ્રાર્થના કરીને બોલ્યા જે, હે બાલાજોગી ! તમો તો સાક્ષાત્ અમારા ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજી છો. માટે હે મહારાજ ! અમારો અપરાધ ક્ષમા કરીને અમારા આસને પધારો. અને હવે અમો આવાં અધર્મનાં કર્મ કોઈ દિવસ નહિં કરીએ અને સર્વ પ્રકારે કનક કામિનીનો ત્યાગ રાખીશું.
એમ કહેતા સતા અતિ પશ્ચાતાપ કરતા હતા. ત્યારે આવી રીતનાં અતિ નિર્માનીપણાનાં વચન સાંભળીને દયા આવી ગઈ છે જેમને એવા જે, નીલકંઠ બ્રહ્મચારી તે એ વૈરાગીઓના આશ્રમમાં પધારતા હતા. ત્યારે તેમણે તે હેતપૂર્વક આસન ઉપર બેસારીને પોતાના અધર્મનો ત્યાગ કરીને, જમાડયા થકા ત્યાં ત્રણ દિવસ રાખતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ


