🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે સદ્ગુરૂ પરમચૈતન્યાનંદ સ્વામી તથા નિર્ગુણાનંદ સ્વામી એ બે સંતને છપૈયાપુરને વિષે ધર્મકુળને તેડવા માટે શ્રીજી મહારાજ મોકલ્યા હતા. તે બન્ને સંત છપૈયાપુરથી ધર્મકુળને લઇને ગુજરાત દેશમાં આવતા હતા. તે વચ્ચે અયોધ્યાપ્રસાદજીને થાકને કારણે શરીરમાં તાવ આવ્યો. એટલે તે સમયે પીળા છત્રની છાયાએ યુક્ત રોઝા ઘોડા ઉપર બેઠેલા શ્રીજીમહારાજે આવીને જળ પાયું. એવું દર્શન સ્વામીને થયું. પછી વળી બીજા દિવસે ભાઇ રઘુવીરને થોડીક કસર થયેલી અને ઘોડે બેઠેલા હતા અને બહુ કોમળ શરીર તેથી તડકો ઘણો લાગ્યો અને અકળાવા લાગ્યા. એટલે તત્કાળ શ્રીજી મહારાજ સાત ગાઉ સુધી મસ્તક ઉપર મોટું છત્ર ધરીને ચાલતા હતા. એવું દર્શન સદ્ગુરૂ નિર્ગુણાનંદ સ્વામીને થયું. પછી વળી વિંધ્યાચળની ઝાડીમાં કલહગઢની સમીપે જ્યારે આવ્યા, ત્યારે સીતારામભાઇને અતિશય તરસ લાગી અને પાણી લાવતાં ઘણી વાર લાગી એટલે મૂર્છા આવી ગઇ. અને સ્વામી આદિક સર્વે ઉદાસ થઇ ગયા અને સંબંધી સર્વે રૂદન કરવા લાગ્યાં. તે સમયે નિર્ગુણાનંદ સ્વામી તો શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા લાગ્યા જે, હે મહારાજ ! અમો તો તમારા મોકલ્યા સતા આ સર્વે ધર્મકુળને લઇને આવતા હતા અને વચ્ચે અવળું વિઘ્ન થઇ ગયું. માટે આ સમયે હે ભગવન્ ! તમો જેમ કરશો તેમ થાય એમ છે. અને તમારા સિવાય બીજા કોઇનો ઉપાય ચાલે તેમ નથી. અમારા પગ પણ તમારા તરફ આવવા આગળ ઉપડતા નથી. ત્યારે શ્રીજી મહારાજ પોતાના સંતની પ્રાર્થના સાંભળીને તત્કાળ ઉતાવળા થકા આવી દર્શન આપીને બોલ્યા જે, હે સંતો ! તમો આટલા ઉદાસ થઇને સર્વે ધર્મકુળને કેમ આવડું રોવરાવવા માંડયું છે ? અને આ સીતારામ તો તરસના કારણે સૂઇ રહ્યા છે. એમ કહીને પોતે જળ પાઇને તુરત અદ્રશ્ય થઇ ગયા. એવું મહા અલૌકિક ઐશ્વર્ય જોઇને સર્વે અતિશય રાજી થયાં. પછી ત્યાં થકી ચાલ્યા તે કેટલેક દિવસે વડતાલ ગામમાં શ્રીજી મહારાજને ભેગા થયા. તે સમયે સુવાસિનીબાઇને કહ્યું જે, અમોએ તમોને છપૈયાપુરને વિષે બાળપણામાં વચન આપ્યું હતું તે અમો અમારૂં વચન પાળીને આ સત્સંગરૂપી ધન તમોને આપ્યું છે. તેવું સાંભળીને બોલ્યાં જે, હે મહારાજ ! તમો તો દયાળુ છો સત્ય સંકલ્પ છો અને અક્ષરાધિપતિ પૂર્ણપુરુષોત્તમ છો અને સર્વે અવતારના કારણ છો. એમ કહીને શ્રીજી મહારાજને બેઠાં થકાં બે હાથ જોડીને પગે લાગતાં હતાં. ત્યાર પછી શ્રીજી મહારાજ પોતાના જમણા નેત્રમાં અનેક કોટી બ્રહ્માંડ એક કાલાવચ્છિન દેખાડતા હતા તે મહા અદ્ભુત ઐશ્વર્ય જોઇને ગદ્ગદ્ કંઠ થઇ ગયાં. અને બે નેત્રમાંથી આંસુની ધારા ચાલતી હતી. એવાં થકાં ચરણારવિંદમાં પોતાનું મસ્તક મૂકીને પગે લાગતાં સતાં, એક પ્રહરવાર પ્રાર્થના કરતાં હતાં. એવી રીતે બીજી વખત અમો તથા ભાઇ રઘુવીરજી તથા ગોપાળજીભાઇ એ આદિક તથા કેટલાકજન છપૈયાપુર-વાસી ધર્મકુળ તથા મામાના પુત્ર મંછારામ તથા કન્હિરામ એ સર્વેને સાથે લઈને બન્ને સદ્ગુરૂ વડતાલ ગામને વિષે તેડી લાવીને શ્રીજીમહારાજનો મેળાપ કરાવતા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ


