🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી! નીલકંઠ બ્રહ્મચારી એટલું કાર્ય ત્યાં કરીને ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે વચ્ચે એક મોટી નદી આવી. તે નદીના કિનારા ઉપર વટેશ્વર મહાદેવનું મંદિર હતું. તેમાં ઉતારો કરીને નદીમાં સ્નાન કરવા ગયા. ત્યારે તે મંદિરમાં એક બ્રાહ્મણ કેટલાંક વર્ષથી દ્રવ્યની પ્રાપ્તિ માટે શિવજીની પૂજા કરતો હતો. તેના ઉપર શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા જે, હે વિપ્ર ! તમો ઘણા દિવસથી નિષ્કામ ભાવે અમારી પૂજા કરો છો. તેનું ફળ મળવાનો આજે સમય આવ્યો છે. એમ કહીને પોતાનો હાથ લાંબો કરીને કહ્યું જે, આ નદીમાં સ્નાન કરે છે તે મારા ઇષ્ટદેવ છે અને સાક્ષાત્ અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન છે. તેમની તમો મન, કર્મ, વચને કરીને સેવા કરીને રાજી કરો. તમારો મનોરથ સફળ કરશે, એવું વચન સાંભળીને તે બ્રાહ્મણ આનંદ પામતો સતો વિશ્વાસ લાવીને તત્કાળ શ્રીનીલકંઠ બ્રહ્મચારીની પાસે જઈને વિનંતીપૂર્વક પગે લાગીને બોલ્યો જે, હે દીનબંધો ! તમો તો સાક્ષાત્ પરમેશ્વર છો. અને જગતના આધાર છો. માટે હું શિવજીના કહેવાથી તમારી પાસે આવ્યો છું અને તમો મારો સંકલ્પ સત્ય કરો. ત્યારે બોલ્યા જે, હે વિપ્ર ! આ નાશવંત પદાર્થમાં શું માગો છો ? ફરીથી આવો યોગ તમોને મળવાનો નથી. માટે તમારા જીવનું રૂંડું થાય તેવું કંઇક માગો.તેવું સાંભળીને બોલ્યો જે, હે મહારાજ ! જીવનું સારૂં કરવું તે તો તમારા હાથમાં જ છે. પરંતુ મને તો ધનની લોલુપતા ઘણી રહે છે. માટે હે મહારાજ ! મને તો દ્રવ્ય આપો. તે સાંભળીને દયાળુ એવા જે, શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે એ બ્રાહ્મણની અતિ દ્રવ્યની આતુરતા જોઇને કહ્યું જે, હે વિપ્ર ! આ મંદિરની સમીપે જમણી બાજુએ પાંચ હાથ છેટે ખોદજો એટલે જોઇશે તેટલું દ્રવ્ય પ્રાપ્ત થશે. પરંતુ હે વિપ્ર ! જા, તારા તપના બળથી અમો મળ્યા તેથી તારો મોક્ષ પણ થશે. એવી રીતે બ્રાહ્મણને બે વર આપીને ત્યાં થકી મંદિરમાં આવીને પોતાનો નિત્યનિયમ પૂજાપાઠ કરી રહ્યા કે તુરત પિનાકીએ આવીને પ્રાર્થના કરીને વનફળ આપ્યાં. તે ઠાકોરજીને નૈવેદ્ય કરીને પોતે જમતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ


