🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એવી રીતે સર્વે યોગીઓને આશીર્વાદ આપીને ત્યાં થકી આગળ ચાલ્યા, તે ઉત્તર દિશા તરફથી આવતા અને મલીન આશયવાળા કેટલાક અઘોરી આવીને શ્રીબાલાજોગીને ઘેરી લેતા હતા. ત્યારે પોતાની ઇચ્છા થકી તત્કાળ મહાવીર સ્વામી(હનુમાનજી) આવીને તે સર્વે અઘોરીને મહા ક્રોધ કરીને ભય દેખાડતા હતા એટલે તે મહા ત્રાસ પામીને નાસી ગયા. પછી બાલાજોગી પાસે આવીને પગે લાગીને બોલ્યા જે, હે મહારાજ ! જ્યારે તમારે જરૂર પડે ત્યારે મને સંભારજો. હું આવીને તમારા પ્રતાપથી રક્ષા કરીશ. એમ કહીને બે કંદમૂળ આપીને અદ્રશ્ય થઇ ગયા. પછી ત્યાંથી ચાલ્યા તે આગળ મહા ઘોર વન આવ્યું, તેમાં ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ ચાલ્યા ત્યારે ચોથે દિવસે એક નદી આવી એટલે તે નદીમાં સ્નાન કર્યું. પછી નિત્યવિધિ પૂજાપાઠ કરીને શ્રીઠાકોરજીને કંદમૂળ જમાડીને પોતે જમતા હતા. પછી ત્યાંથી આગળ ચાલ્યા, તે એક મોટા પીપળાના વૃક્ષ નીચે એક કૂવામાં પોતાના પગ લાંબા કરીને એક પુરુષ બેઠો હતો. તેને જોઈને બાલાજોગી બોલ્યા જે, હે ભાઈ ! તમો શા માટે આત્મઘાત કરો છો? તમને ભગવાન મળ્યા છે તે ભગવાનનું ભજન કરો તો તમારૂં કલ્યાણ થાય. તેવું સાંભળીને તરત તે પુરુષ ત્યાંથી ઉઠીને બાલાજોગીને પગે લાગીને બોલ્યો જે, હે બાલાજોગી ! આવા મહા વિકટ વનમાં તમો કોણ દયાળુ છો ? હું તો ભગવાન મળે તે માટે ઉપાય કરતો હતો. એમ કહેતાં તરત શ્રીબાલાજોગીની મૂર્તિમાંથી એક સામટું તેજ નીકળવા માંડયું. તે જોઈને તે મુમુક્ષુ પુરુષ મહા આનંદ પામીને ચરણારવિંદમાં પોતાનું મસ્તક મૂકીને બોલ્યો જે, હે દીનબંધુ ! તમો તો મારી રક્ષા કરવા સારૂં અહીં પધાર્યા છો. ત્યારે પ્રસન્ન થયેલા બાલા બ્રહ્મચારી તેને તપનો વિધિ બતાવીને તપને અંતે મને પામશો. એવા આશીર્વાદ આપતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ


