🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
શ્રી ભુજ નગરને વિશે પધાર્યા એવા જે શ્રીજીમહારાજ તે જે તે રથકાર સુંદરજીભાઇને ઘેર રહ્યા સતા, બીજે દિવસે સાંજની વખતે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, હે સ્વામી ! અમારે શરીરે લગારેક તાવની કસર થઇ આવી છે. માટે એકાંતમાં આસન કરાવી આપો તો ઠીક.
ત્યારે તે ડહેલામાં ઉગમણી કોરે ઓસરી હતી તેમાં આસન કરાવ્યું. પછી સ્વામીને કહ્યું જે, અમારા માટે મરચાં શેર ૪ ચાર તથા બે ત્રણ દિવસનું ખાટું હોય તેવું દહીં તે પણ શેર ૫ પાંચ રીતે મંગાવી આપો. પછી સુંદરજીભાઇના ઘેરથી એ સર્વે સામાન મંગાવી આપ્યો. એટલે તે જોઇને તુરત સૂતેલા હતા તે બેઠા થયા અને તે મરચાંને ખુબ ઝીણાં વટાવ્યાં અને બાજરાના રોટલા કરાવ્યા. અને દહીં એ સર્વે જમી ગયા. અને એમ બોલ્યા જે, હે સ્વામી ! હવે અમારો તાવ જશે. તેવું સાંભળીને સુંદરજીભાઇ બોલ્યા જે, હે મહારાજ ! તમો તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો. તે તમોને કંઈ ન થાય અને બીજાના તો તત્કાળ પ્રાણ નીકળી જાય. ત્યારે એમ બોલ્યા જે, એકરસ ચિદ્દન જે બ્રહ્મસ્વરૂપ છે તે મારા દીઠામાં આવે છે. અને ગોલોકાદિક અક્ષરધામ તે પણ મારા દીઠામાં આવે છે. એવી રીતની ઘણીક મર્મ ભરેલી વાર્તા કરી તે સાંભળીને સ્વામી બોલ્યા જે, હે સુંદરજીભાઇ ! કેવી રૂડી વાર્તા કરી. તે સમજીને નિશ્ચય રાખજો, એવી રીતે કેટલાક દિવસ ત્યાં રહીને સર્વે હરિભક્તોને પ્રસન્ન કરતા, ત્યાં થકી સર્વે સંત મંડળે સહિત ચાલ્યા તે ગામ માનકુવા પધારતા હતા. અને ત્યાં અદાભાઇના દરબારમાં ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને ચારે બાજુ સંત હરિભક્તો બેઠા. પછી ઘડી એક વાત કરી. તે સાંભળીને અદાભાઇએ પોતાના ઘેર રસોઈ કરાવી હતી તે જમવા તેડી ગયા. તે જમીને પાછા ઉતારા ઉપર આવ્યા અને સાંજની વખતે તે ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને સર્વે સંત તથા હરિભક્તો આવીને પ્રથમની જેમ બેઠા. પછી સંતમંડળ ઝાંઝ-પખાજ લઈને કીર્તન ગાવા લાગ્યા. તે ઘણીકવાર સુધી કીર્તન ગાયાં. પછી તે કીર્તન રખાવીને શ્રીજી મહારાજ બોલ્યા જે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ જે, પરમેશ્વરને રાજી કરવાને સર્વે ઇચ્છે છે અને જે હરિભક્ત હોય તે એમ જાણે છે જે, પરમેશ્વર શો ઉપાય કરીએ તો રાજી થાય. જુઓને નારદસનકાદિક તેમણે પણ તપ કરીને ભગવાનને રાજી કર્યા છે. માટે અંતરમાંથી પ્રવૃતિમાત્રનો ત્યાગ કરીને સર્વે સંગ છોડીને કોઇ સારી ગુફા તથા એકાંત ઠેકાણું હોય ત્યાં વાસ કરીને અષ્ટાંગ યોગ સાધીને પોતાના અંતર શત્રુ જે કામક્રોધાદિક તેને જીતીને, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખે તેણે કરીને ભગવાન અતિશય રાજી થાય છે. એમ કહીને વળી બોલ્યા જે, યોગને વિષે પ્રવર્ત્યા જે સંત તેને ટાઢય, તડકો, વરસાદ, માન, અપમાન, ભૂખ, તરસ, હર્ષ, શોક એ આદિક જે દુઃખ આવે ત્યારે શૂરવીરની પેઠે સહન કરવું અને એમ જાણવું જે, હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. અને આ દેહને અને મારે કંઇ સંબંધ નથી. આવી રીતે માનીને ભગવાનનું ભજન કરવું. બીજું આ સંસારને વિષે કેટલાક શૂરા થાય છે અને કેટલીક સતીઓ થાય છે. અને હિંમત વિનાના દાંતે તરણાં લઇને સંતાતા ફરે છે તેની લોકમાં બહુ હાંશી અને અપકીર્તિ થાય છે. અને અસદ્ગતિને પામે છે. માટે દેહના સુખની લાલચ ત્યાગ કરવી અને માંદા થાશું અથવા વૃદ્ધ થાશું ત્યારે ચાકરી કોણ કરશે ? એવો સંકલ્પ કોઇ દિવસ ન કરવો અને એમ વિચારવું જે, જેણે માતાના ગર્ભમાં જઠરાગ્નિ થકી રક્ષા કરી છે તેના તેજ વળી રક્ષા કરશે. એ દીશની ઘણીક વાર્તા કરી. તે સાંભળીને સર્વે રાજી થતા હતા. એવી રીતે અઢીમાસ પર્યંત અદાભાઇના દરબારમાં રહીને સર્વે હરિજનની સેવા અંગીકાર કરતા સતા, પાછા શ્રીભુજનગરને વિષે પધારતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


