🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! એવી રીતે શ્રીભુજનગરને વિષે સર્વે સંત સહિત ત્યાં અગીયાર માસ રહ્યા થકા, ત્યાંના સર્વે હરિભક્ત બાઇ-ભાઇ આદિકને પોતાનું મહા અદ્ભૂત ચરિત્ર દેખાડીને સર્વેની સેવા અંગીકાર કરતા સતા, પોતાના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંતને સોરઠ, હાલાર, ઝાલાવાડ, કાઠિયાવાડ, ભાલ, ગુજરાત અને દંઢાવ્ય એ આદિક દેશમાં ઘણાંક ગામોને વિષે મોકલતા હતા અને પોતે ત્યાં થકી ચાલ્યા તે ગામ ખોખરે થઇને ગામ ભચાઉ પધારતા હતા. અને ત્યાં કેટલાક દિવસ રહીને ત્યાંના સર્વે હરિભક્ત બાઇભાઇને પોતાનો મહા અલૌકિક પ્રતાપ જણાવતા સતા, પોતાના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવીને તે સર્વેની સેવા અંગીકાર કરતા સતા, ત્યાં થકી ચાલ્યા તે ગામ કંથકોટમાં મૂળજી ઠક્કરના ઘરે પધાર્યા અને ત્યાં એક માસ રહીને તેમની સેવા અંગીકાર કરીને ત્યાં થકી ચાલ્યા તે ગામ આધોઇ પધારતા હતા. અને લાધાજીના દરબારમાં દોઢ માસ પર્યંત રહીને કબીરીયા સાથે ચર્ચા કરીને તેનો પરાજય કરતા હતા.અને ત્યાં થકી ચાલ્યા તે ગામ આડેસર તથા સાંતલપુર થઇને ગામ ગોત્રકામાં જઇ સદાવ્રત લઈને જમતા હતા અને ત્યાં કેટલાક દિવસ રહ્યા. અને શ્રીજી મહારાજના હાથમાં માળા જોઇને સર્વે હરિભક્તો બોલ્યા જે, હે મહારાજ ! અમો તો તમારૂં ભજન કરીએ છીએ અને તમારી માળા ફેરવીએ છીએ, પણ તમો કોનું ભજન કરીને માળા ફેરવો છો ? ત્યારે બોલ્યા જે, અમો તો ભક્તજનનું ભજન કરીએ છીએ. એવી રીતે ત્યાં કેટલાક દિવસ રહીને સર્વે હરિભક્તોને સુખ આપતા થકા ત્યાં થકી ચાલ્યા તે ગામ ધમડકે પધાર્યા અને રાયધણજીના દરબારમાં બે માસ રહીને ત્યાં થકી ચાલ્યા તે ગામ અંજારને વિષે પધાર્યા અને ત્યાં ચાગબાઈના ઘેર થાળ જમીને ગામની આથમણી ભાગોળે પીપળાના વૃક્ષ નીચે પાટ ઉપર ગાદીતકીયે સહિત ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સંત તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી અને તે સભામાં પોતે વાત કરવા લાગ્યા. તેવા સમયને વિષે ગામ કાળાતળાવના હરભમ સુથાર રામાનંદ સ્વામીના સત્સંગી હતા. તે આવીને શ્રીજી મહારાજનાં દર્શન કરીને સભામાં બેઠા. તેને કેટલીક વાર થઇ એટલે પોતાના મનમાં એવો સંકલ્પ થયો જે, હું આટલા ગાઉથી ચાલીને આવ્યો, પરંતુ મહારાજે મને એમ ન કહ્યું જે, આવો ભગત કેમ છે? એવો ઘાટ થયો. ત્યારે તેના અંતરનો ઘાટ શ્રીજી મહારાજ અન્તર્યામીપણે જાણીને વાત કરતા હતા તે વાત કરવી રહેવા દઇને, મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, હે સ્વામી ! અમારો દેશ અહીંથી કેટલો છેટો છે ? ત્યારે સ્વામી બે હાથ જોડીને વિનંતીપૂર્વક બોલ્યા જે, હે મહારાજ ! લાખ મણ લોઢાનો ગોળો ત્યાં થકી પડતો મૂકીએ તે વાયુને લહરકે ઘસાઇને પૃથ્વીમાં રજ ભેળો ભળી જાય એટલે છેટે તમારો દેશ છે. ત્યારે બોલ્યા જે, એટલે છેટેથી અમો અહીં આવ્યા છીએ તે અમોને કોઇક ગાળો દે છે અને કોઇક ધૂળ નાખે છે અને તેમાં કોઇક તો અમારૂં અપમાન પણ કરે છે. તે અપમાન અમો અતિ જરણા કરીને સહન કરીએ છીએ. તેમાં કેટલાક જીવ એમ સંકલ્પ કરતા હશે જે, અમો આટલા ગાઉથી ચાલીને આવ્યા પણ મહારાજે મને બોલાવ્યો નહીં. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી. ત્યારે તે વાર્તા સમજીને અતિ નિર્માની થકા બે હાથ જોડીને હરભમ સુથાર બોલ્યા જે, હે મહારાજ ! હું તો તમારો સેવક છું. અને હવે મારા અંતરનો ઘાટ ટળી ગયો. પછી શ્રીજી મહારાજે તેમને તત્કાળ સમાધિ કરાવીને અક્ષરધામને વિષે અતિ તેજોમય દિવ્ય સિંહાસન ઉપર અનંત કોટી મુક્તથી વિંટાણા થકા બિરાજમાન એવું ઘડી એક પોતાનું મહા અદ્ભુત રૂપે દર્શન આપીને પાછું તે ઐશ્વર્ય છુપાવી લીધું. એટલે તત્કાળ સમાધીમાંથી જાગીને આનંદ પામતા સતા વારંવાર પગે લાગીને શ્રીજી મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરીને રસોઇ આપી રાજી કરીને પોતાને ગામ ગયા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ


