🥀श्री हरि चरित्र-whatsapp🥀:
Jay Swaminarayan:
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે શ્રીજી મહારાજે ગામ શ્રીઅસલાલીને વિષે પોતાના બે દત્તપુત્રોને દેશના વિભાગ કરી આપ્યા, અને સાધુ, બ્રહ્મચારી, પાળા, પણ અડધો અડધ વહેંચી આપ્યા. તેમાં મુક્તાનંદ સ્વામી તથા ગોપાલાનંદ સ્વામી એ બે સદ્ગુરૂને મધ્યસ્થ રાખ્યા, અને એક સમૈયો વડતાલમાં કરવો અને એક સમૈયો અમદાવાદમાં કરવો એવી વાતનો ઠરાવ કરતા હતા. ત્યાર પછી પ્રથમ રામવનમીનો સમૈયો આવ્યો ત્યારે તે સમૈયો કરવા સારૂ વડતાલ આવ્યા અને તે સમયે રામપ્રતાપભાઇ પણ સાથે હતા. ત્યારે શ્રીજી મહારાજની પૂજા થાય તે ભેગી રામપ્રતાપ-ભાઇની પણ પૂજા થાય અને ભેટ પણ આવતી જાય, તે વાતની શંકા થવાથી રામપ્રતાપભાઈ રીસાઈ ચાલી નીકળ્યા. અને તેમની સાથે સુવાસિનીબાઇ પણ ચાલી નિસર્યાં. તે વાતની મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી એ બે સદ્ગુરૂને ખબર પડી. ત્યારે તેમણે જઇને શ્રીજી મહારાજને કહ્યું જે, હે મહારાજ ! ભાઈ તો રીસાઇને અમદાવાદ ગયા. માટે આ તો બહુજ ખોટું થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, હે સ્વામિન્ ! અમારૂં વચન તો ભાઈ માનશે નહીં. માટે તમો બન્ને મોટેરા સદ્ગુરૂઓ જાઓ અને ભાઇને સમજાવીને પાછા વાળી લાવો, તમારૂં કહ્યું માનશે. તેવું સાંભળીને તે બન્ને સદ્ગુરૂ ઉતાવળા થકા ત્યાંથી ચાલ્યા તે ભાઇને થોડેક દૂર ગામ બામરોલીના કૂવાની સમીપે પહોંચી મળ્યા. અને બહુ પ્રકારે સમજાવ્યા તો પણ પાછા વળ્યા નહિ. ત્યારે મુક્તાનંદ સ્વામી વિનંતિ પૂર્વક બોલ્યા જે, હે દાદા રામપ્રતાપભાઇ ! તમો આટલો ક્રોધ કેમ રાખો છો ? ત્યારે બોલ્યા જે હે સ્વામી ! અમારામાં તો એકસો ગાડાં ક્રોધનાં છે. તેમાંથી એકગાડું બ્રહ્માંડમાં વહેંચ્યું છે. તેમાંથી શિવ, બ્રહ્મા, મનુષ્ય, દેવ, એ સર્વેમાં ક્રોધ આવ્યો છે. અને બીજાં નવાણું ગાડાં ક્રોધનાં અમારી પાસે છે. તે તમો ક્યાં જાણતા નથી ? માટે તમારે કંઈ મને કહેવું નહીં. અને આ પચાસ કરોડ પૃથ્વીને હું એકરૂપે મારા મસ્તક ઉપર સરસવના દાણાની માફક ધારણ કરી રહ્યો છું અને વળી આ એકરૂપે હું તમારી પાસે ઊભો છું. એમ કહીને પોતાનું મહા અલૌકિક શેષજીરૂપે દર્શન દેતા હતા. તે મહા અદ્ભુત પ્રતાપ જોઇને સ્વામી તો મહા આશ્ચર્ય પામી ગયા. અને વિંનતિપૂર્વક બે હાથ જોડીને પગે લાગી સ્તુતિ કરીને પાછા આવીને તે વાત વિસ્તારે સહિત શ્રીજી મહારાજને કહેતા હતા. ત્યારે બોલ્યા જે, હે સ્વામી ! જુઓ અમો કહેતા હતા જે, અમારા ભાઈ નહીં માને. એ તો સાક્ષાત્ સંકર્ષણનો અવતાર છે.માટે તેમની પ્રકૃતિ સામુ જોવું નહિં. એવી રીતે ભાઇનાં બહુ વખાણ કરીને પાળા ભગુજી પાસે પોતાનો રોઝો ઘોડો મંગાવ્યો અને તે ઘોડા ઉપર સર્વે સામાન મંડાવીને પોતાને બેસવાની જે ગાડી તે જોડાવીને, ગામ ડાંગરવાના અમરાજી તથા ગામ કણભાના ઉમાભાઇ એ બે ગરાસીયાને હથિયાર બંધાવીને કહ્યું જે, હે અમરાજી ! આ ઘોડા ઉપર ભાઈને સમજાવીને બેસારજો અને આ ગાડીમાં તેમનાં પત્નિ સુવાસિનીબાઇને બેસારજો અને તેમને સુખેથી અમદાવાદ પહોંચાડી આવો. એમ કહીને મોકલ્યા. પછી તેમણે જઈને ભાઈને વિનંતિ કરીને ઘોડા ઉપર બેસાર્યા અને દાદીમાને તે ગાદીમાં બેસાર્યા. પછી ત્યાં થકી ચાલ્યા તે ગામ નડીયાદ અને મહેમદાબાદના વચ્ચે શેઢી નદીના સમીપે આવ્યા ત્યારે સાંજ પડી ગઇ. તે સમયે એક મોટા મહુડાના વૃક્ષ નીચે કેટલાક ચોર પોતાના હથિયારે સહિત બેઠા હતા. તેમને દેખીને ઉમાભાઇના મનમાં એવો સંકલ્પ થયો જે, જુઓ, આ રામપ્રતાપભાઇએ મુક્તાનંદ સ્વામીનું વચન માન્યું નહીં અને આ સામા વૃક્ષ નીચે ઘણાક ચોર બેઠેલા છે. હવે કનડશે ખરા. એવી રીતનો સંકલ્પ કરતા સતા આગળ ચાલતા હતા તે ઊભા રહ્યા અને ભાઇના મુખ સામું જોયું. ત્યારે ભાઇ અંતર્યામીપણે તેમનો સંકલ્પ જાણીને બોલ્યા જે, હે ઉમાજી ! તમોને શો સંકલ્પ થાય છે ? તમો કંઈએ ચોરથી ડરશો નહીં, આપણને તે શું કરવાના છે ? તેવું સાંભળીને ઉમાભાઈ તો મહા આશ્ચર્ય પામી ગયા અને અતિ હિંમત આવી ગઇ. એવા થકા બોલ્યા જે, હે દાદા ! ડર તો કંઇ લાગતો નથી. પરંતુ આપણે થોડાક જણ છીએ અને તે ચોર તો ચાલીશ પચાસના આશરે છે માટે ધીંગાણું કરશે તો કોઇકને વાગશે એટલે મરી પણ જશે. એમ કહેતા સતા એ સર્વે ચોરના નજીક ગયા ત્યારે તેમણે જાણ્યું જે, આ મોટા ઘોડા ઉપર બેઠેલા છે તે કોઇક તાલુકાદાર છે. તે વડોદરાથી અમદાવાદ જતા હશે અને આ ગાડીમાં તેમના રૂપીયા દાગીના પણ હશે માટે ચાલો આપણે સર્વે લૂટી લઇએ અને એ તો ચાર પાંચ જણ છે, તે એમનાથી શું થવાનું છે ? એવી રીતનો વિચાર કરીને તે સર્વે ચોર એકદમ હથિયાર જે તીર-કમાન લઇને ત્યાં થકી તત્કાળ ઊભા થયા. તે જોઈને ભાઈ બોલ્યા જે, હે અમરાજી ! આ ચોર તમારાથી પાછા નહીં હઠે. માટે તમો ચારે જણ આ ગાડીપાસે ઉભા રહો અને લાવો તમારી તરવાર તે મારાથી પાછા હઠશે. આવી રીતે મહાશૂરવીરનું વચન બોલતા સતા પોતે ચડપ લઇને ઘોડા ઉપરથી હેઠા ઉતર્યા અને ઉમાભાઈના હાથમાં ઘોડાની સરક આપી. અમરાજીના હાથમાંથી તરવાર લીધી અને તે જોઈને અમરાજીના મનમાં એમ થયું જે, અહો! આ તો મહા જુલમ થયો. જો ભાઇને કંઇક થશે.
તો જગતમાં મારી આબરૂ જશે અને એમ કહેવાશે જે, ડાંગરવાનો અમરો ભેગો હતો અને રામપ્રતાપભાઇને વાગ્યું.
માટે હું ભાઇના હાથમાંથી તરવાર પાછી લઉં અને આ સર્વે ચોરને પાછા હઠાવું. એમ જાણીને ઉતાવળા થકા ભાઈના હાથમાંથી તરવાર લેવા ગયા. ત્યારે ભાઈ પોતાની ભ્રકુટી ચડાવીને બે નેત્ર લાલ કરીને બોલ્યા જે, ખબડદાર જો આવ્યા તો મારી નાખીશ. એવી રીતે હાકોટા કરીને બોલ્યા, કે તરત અમરાજી તો ખચકાઈને ત્યાં ને ત્યાં સજ્જડ થઇગયા.
તે જોઇને ચોરે જાણ્યું જે, આ તો બન્ને મહા શૂરવીર જણાય છે. એમ જાણીને સર્વે ચોર સામટા ભેગા થઈને એકદમ ભાઇના નજીક આવી ગયા. ત્યારે પોતાના અંતરમાં શ્રીજી મહારાજને સંભાળ્યા કે, તરત શ્રીજી મહારાજ ભાઈના બળની વિશેષ પ્રેરણા કરતા હતા. એવા થકા ભાઇ આનંદ પામતા સતા એક મોટો મહુડાનો વૃક્ષ હતો તેની પાસે જઇને પોતાના જમણા પગનું એક ઠેબું માર્યું કે તરત તે મહુડો મૂળથી ઉખડીને તે સર્વે ચોર ઉપર પડયો. તેથી સર્વે ચોર દબાઇને લોચો થઇ ગયા. એવી રીતનું ઐશ્ચર્ય દેખાડીને ત્યાં થકી ચાલ્યા, તે મોટા મહેમદાવાદમાં બહેચર ભટ્ટના ડેલામાં આવીને રાત્રિ રહ્યા અને દુર્લભરામ આદિક સર્વે સત્સંગીને તે પ્રતાપની વાર્તા કરી. તે સાંભળીને સર્વે જન મહા આશ્ચર્ય પામતા હતા અને ભાઈનો મહિમા બહુ સમજીને હેતે સહિત ભાઇની બહુ સેવા કરીને રાજી કરતા હતા. ત્યાર પછી ત્યાંના સર્વે હરિભક્તોની સેવા અંગીકાર કરીને ચાલ્યા તે ગામ શ્રી જેતલપુરને વિષે આવ્યા અને ત્યાં મંદિરમાં ઉતારો કરીને કેટલાક દિવસ રહેતા સતા, ત્યાંના હરિભક્તની સેવા અંગીકાર કરીને શ્રીઅમદાવાદને વિષે પધારતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ


