ShareChat
click to see wallet page
search
🥀श्री हरि चरित्र-whatsapp🥀: Jay Swaminarayan: Jay Swaminarayan: 🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...             વળી એક સમયે પોતાને નોકરી કરવાનો વિચાર થવાથી માતાપિતાની આશા માગીને ઘનશ્યામ મહારાજને પૂછીને રામપ્રતાપભાઈ હિંદીપુરના રાજ્યમાં રાજાને ત્યાં જઈને નોકરીમાં રહેતા હતા. ત્યારે તે રાજાએ તેમને તથા પોતાના બીજા નોકરો પાસે નિશાન પડાવ્યાં. તેમાં બીજા કોઈ નિશાન પાડી શક્યા નહીં. અને રામપ્રતાપ-ભાઈએ તો એકદમ સાઈઠે નિશાન પાડયાં. અને બીજી અનેક રીતે પરીક્ષા લીધી, તેમાં નિષ્ણાત હોવાથી પ્રણામ કરીને, મહા શૂરવીર છે અને બળવાન છે અને લડાઈના કામમાં ઘણા હોશિયાર જાણીને લશ્કરમાં સર્વેના ઉપરી બનાવ્યા. અને પગાર પણ રૂપીયા ૬૦ (સાઈઠ) કરીને રાખ્યા. ત્યારે પોતાનાં સર્વે હથિયાર સજીને નિર્ભય થઈને નોકરી કરતા હતા. એમ કરતાં રામપ્રતાપને ગયે આઠ માસ થયા પરંતુ કંઇ સમાચાર આવ્યા નહીં. ત્યારે ભક્તિમાતા બોલ્યાં જે, હજી સુધી રામપ્રતાપની ખબર આવી નથી. એમ કહે છે તેટલામાં તો ભાઈએ લખેલો પત્ર આવ્યો. તે વાંચી ધર્મદેવે સર્વેને સમાચાર કહ્યા. તે સાંભળીને સંબંધીજન બહુ રાજી થયાં અને કહેવા લાગ્યાં જે, ભાઈનો આ પત્ર આવ્યો છે માટે તેમની ખબર કાઢી આવો. એમ કહીને ભાતુ કરી આપ્યું તે લઇને ધર્મદેવ વશરામ તરવાડી વગેરે સર્વે સગા સંબંધીને મળીને ચાલ્યા, તે વખતે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે દાદા ! ભાઈને મળવા હું પણ સાથે આવીશ. એમ કહીને રૂદન કરવા લાગ્યા. ત્યારે ભક્તિમાતાએ કહ્યું જે, લઇ જાઓ. તમો સાથે છો એટલે શી ફીકર છે ? એમ કહીને સાથે જવા તૈયાર કર્યા. ત્યારે ધર્મદેવ તેમને લઈને ચાલ્યા તે આગળ ચાર ગાઉ ગયા, ત્યારે પોતે થાકી ગયા. ત્યારે ધર્મદેવે કહ્યું જે, હે ઘનશ્યામ ! આ રીતે ચાલશો તો શી રીતે ભાઈને ભેગા થશો ? હજી તો ગામની સીમ છે. માટે ચાલો પાછા મૂકી આવું. તમારાથી પાર પડશે નહીં. કારણ કે હજી તો અહીંથી દક્ષિણ દેશમાં પાંચશો ગાઉ દૂર હિન્દીપુર છે. માટે તમારાથી ચલાશે નહીં. ત્યારે બોલ્યા જે, હે દાદા ! તમો જેટલું ચાલો તેટલું હું પણ ચાલું તો કેમ ? ત્યારે ધર્મદેવ બોલ્યા જે, ભાઈ ! ત્યારે તો બહુ સારૂં. એમ કહીને બન્ને જણ સાથે ચાલ્યા. તે રાત્રે મુકામ કરતા સતા દોઢ માસ થયો, ત્યારે હિન્દીપુર પહોંચ્યા. પછી ત્યાં જઇને દરબારમાં ખબર કાઢી. ત્યારે રાજાએ કહ્યું જે, તમારા રામપ્રતાપભાઇને મોટા લશ્કરના ઉપરી કરીને અમોએ સ્થાપ્યા છે. તે અહીંથી પંદર ગાઉ ઉપર એક ગામના રાજાને અને અમારે જમીન બાબત તકરાર છે તે સામસામાં લશ્કર ભેગાં થયાં છે, ને હવે થોડાક દિવસમાં લડાઇ થવાની છે. માટે તમો અહીં રહો તો દરબારમાંથી સિધાનો સમાન અમો અપાવીશું અને તમારી બન્ને જણની સરભરા સારી રીતે રખાવીશું અને જો ત્યાં જવું હોય તો તમારી મરજી. ત્યારે ધર્મદેવે કહ્યું જે, હે ઘનશ્યામ ! તમો તો અહીં દરબારમાં આ રાજા પાસે રહો. ત્યારે બોલ્યા જે, ના, મારે તો મોટાભાઈને મળવું છે. એમ કહીને બન્ને જણ સાથે ચાલ્યા. ત્યારે રાજાએ ધર્મદેવને બેસવા ગાડી આપી અને પોતાના બે અસ્વારોને સાથે મોકલ્યા. તેની સાથે લશ્કરમાં બીજે દિવસે પહોંચીને રામપ્રતાપભાઈને મળતા હતા, ત્યારે ભાઈ મળીને બહુ રાજી થયા અને બોલ્યા જે, હે દાદા ! તમો આ ઘનશ્યામભાઇને અહીં શું કરવા લાવ્યા ? કારણ કે આવતી કાલે સવારે અહીં લડાઇ થવાની છે. ત્યારે ધર્મદેવે કહ્યું જે, મેં તો ઘેર ઘણી ના પાડી પણ ન રહ્યા. તથા રાજા પાસે પણ રહ્યા નહીં. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે મોટાભાઈ ! તો સાઈઠ રૂપિયાનો પગાર મંડાવીને નોકરી ઉપર આવ્યા છો તો ખરા. પરંતુ જે વખતે ખરી પળ આવે ને તક સંચવાય તો સારૂં. એમ કહીને વળી બોલ્યા જે, તમારી શી મરજી છે ? ત્યારે ભાઈ બોલ્યા જે, હે ઘનશ્યામ ! તમો અને દાદા બન્ને જણ પાછા શહેરમાં જાઓ. ત્યારે બોલ્યા જે, ભાઇ ! દાદાને જવું હોય તો ભલે જાય. પરંતુ હુંતો નહીં જાઉં. અમો અહીં શું કરવા આવ્યા છીએ તે તમોને ખબર નથી. એવું મર્મ ભરેલું વચન સાંભળીને તે લશ્કરના બીજા કેટલાક મોટા મોટા લશ્કરી બોલ્યા જે, હે ભાઈ ! આ તો કોઇ ચમત્કારી છે, માટે તમારી પાસે રહેવા દ્યો. એમ કહીને રૂડી રસોઇ કરાવીને જમાડતા હતા. ત્યાર પછી રાત પડી ત્યારે સર્વે ભેગા મળીને વિચાર કરવા લાગ્યા જે, હવે આપણે સવારે શું કરવું ? એમ કહે છે તેટલામાં તો પાસેના ગામડામાં લશ્કર આવે છે એવી વાતો ચાલી. તેના ભયથી સર્વે ગામડાંના લોકો પોતપોતાનો જીવ સાચવતા તત્કાળ નાસી ગયા, એવી ખબર આવી ત્યારે તે સર્વે લશ્કરના સિપાઇઓ ત્યાં જઈ પહોંચ્યા. તેમાં જેને જે વસ્તુ હાથમાં આવી તે લઈ આવ્યા અને ઘનશ્યામ મહારાજ તો એક કંદોઇના ઘરમાંથી દહીંનું ભરેલું ગોરસું ઉપાડી લાવ્યા. ત્યારે રામપ્રતાપભાઈ બોલ્યા જે, હે ઘનશ્યામ ! તમો આમાં શું લાવ્યા ? ત્યારે બોલ્યા જે, હે મોટાભાઈ ! કાલે સવારે લડાઇ થવાની છે માટે આતો અમો શુકન જાણીને દહીં લાવ્યા છીએ. એણે કરીને તમારો જય થશે. અને બીજું એમ છે જે, આ સર્વે માણસો માલમિલ્કત લાવ્યા હશે, પરંતુ લશ્કરમાં લડતાં મરણ પામ્યો તો કોણ જાણે તે માલ કોણ ખાશે. માટે આતો તત્કાળ પ્રથમ આપણે જમવામાં કામ આવશે. એમ કહે છે તે સાંભળીને પાછા સર્વે ભેગા થઈને ઘનશ્યામ મહારાજને પૂછવા લાગ્યા જે, હે ભાઈ! હવે તો તમો કહો તેમ કરીએ. ત્યારે બોલ્યા જે, હું કહું તેમ કરો તો તમારો જરૂર વિજય થાય. એમ કહીને વળી બોલ્યા જે, આઠહજાર બરકમદાર પહેલવાનોને સાથે લ્યો અને અમો પણ તમારી સાથે આવીશું અને આ સર્વે બીજાં માણસોને અહીં રહેવા દો. ત્યારે તેમણે કહ્યું જે, બહુ સારૂં. એમ કહીને પોતે લાવેલું દહીં રામપ્રતાપભાઈ આદિક સર્વે જમીને તૈયાર થઇને ચાલ્યા, તે જ્યાં એક ગાઉને આશરે સામા રાજાનું લશ્કર છે તેની સમીપે જઇને બોલ્યા જે, હે ભાઈ! તમારે સર્વેને સો સો બંદુકના અવાજ એકદમ સામટા કરવા, પરંતુ વચ્ચે ખાલી પડવા દેવું નહીં. એવી રીતે એક એકને હજાર ભડાકા કરવા અને ચાલતા રહેવું. તેવું સાંભળીને તે જ પ્રમાણે ભડાકા કરતા સતા આગળ ચાલ્યા, તે સામા લશ્કરવાળા એવો ભય પામી ગયા જે, આતો લાખો માણસો આવે છે. એમ જાણીને પોતાનાં હથિયાર આદિક સર્વે સામાન પડતો મૂકીને એમને એમ નાસી ગયા તે કોઈ કોઈના સામું જોવા રહ્યા નહીં અને મરવાની બીકે નાઠા તે સવાર સુધી જાણે અવાજ એમને એમ થતા આવે છે અને ગોળીઓ પણ ઉપર સણણણ કરતી ચાલી આવે છે. એવી રીતે તેમને પોતાનું ઐશ્વર્ય જણાવીને કાઢી મૂકતા હતા, પછી તો તે સ્થળે સામા ભાગમાં સર્વે પહોંચી ગયા. ત્યારે તેમના હથિયાર તરવારો, બંદુકો, હાથી, ઘોડા, વેલ્યું, ગાડાં, ઊંટ, તંબુ, તોપો, દારૂગોળો તે સર્વેને ઘનશ્યામ મહારાજની આજ્ઞાથી તે રાજાના લશ્કરવાળા ઉપાડી લઈને પોતાનું નિશાન તે જગ્યાએ રોપાવતા હતા. એવી રીતે જીત કરાવીને પાછા વળ્યા તે લશ્કરમાં આવીને સર્વે ભેગા થયા, ત્યારે મોટા મોટા લશ્કરમાં ફોજના દીવાન, જમાદાર, નાયક તે સર્વે ઘનશ્યામ મહારાજને પાસે બેસારીને અધિક હેત દેખાડતા સતા બોલ્યા જે, હે રામપ્રતાપજી ! આ તમારા ઘનશ્યામભાઈ આવ્યા તે આપણી જીત થઇ. એમ કહેતા હતા અને પોતાના રાજાને ત્યાં સમાચાર મોકલ્યા. ત્યારે રાજા પોતાની જીત સાંભળીને બહુ પ્રસન્ન થયા અને વાજતે ગાજતે સન્માન કરવાના સમયને વિષે રાજા બોલ્યા જે, આપણી શી રીતે જીત થઇ ? ત્યારે દીવાને કહ્યું જે, આ રામપ્રતાપભાઇના નાના ભાઇ ઘનશ્યામપ્રસાદના પ્રતાપ વડે આપણી જીત થઇ. એવું સાંભળીને બહુ રાજી થઈને બન્ને ભાઇને ભારે પોશાક આપતા હતા. ત્યારે તેમાં વસ્ત્ર ઘરેણાં ને એક હજાર રૂપિયા ભાઈઓને ભારે ભારે સરપાવ આપ્યો. ત્યારે તે રાજકચેરીમાં બેઠેલા સભાસદો તે સર્વ પોતાના મનમાં જેવો ભાવ, તેવી રીતે ઘનશ્યામ મહારાજને દેખતા હતા. ત્યારે તો રાજા પોતે પોતાના સુહૃદ અને મહાકાન્તિવાળા આવા જોઈને તે કચેરીમાં ઉભા થઈને સર્વે દેખતે સતે પોતાના હાથમાં મોતીની માળા લઇને પહેરાવતા સતા, પોતાના બે હાથ જોડીને નમસ્કાર કરતા હતા. પછી આપ્યો જે મુકામ તેમાં રસોઇ કરીને બન્ને પુત્ર સહિત ધર્મદેવ જમ્યા. પછી બીજે દિવસે રામપ્રતાપભાઈ રાજા પાસે રજા માગવા ગયા જે, હવે મને ઘણા દિવસો થયા, માટે મારા પિતા તથા ભાઈની સાથે ઘેર જવાનો વિચાર છે. ત્યારે અતિ પ્રસન્ન થઈને તે રાજાએ રજા આપી અને ધર્મદેવ પ્રત્યે બોલ્યા જે, તમારા આવવાથી તો અમારી લાજ રહી. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, લાજ તો ભગવાન રાખનારા છે અમો શું રાખીશું ? એમ કહ્યું તે સાંભળીને રાજા ઘણા રાજી થયા અને બોલ્યા જે, હે ઘનશ્યામ મને આપનું દર્શન આપીને કૃતાર્થ કર્યો અને મારી જીત કરાવી તેથી તમો સાક્ષાત્ ઇશ્વર છો. એમ કહીને તે રાજાએ વળાવ્યા થકા તે ધીમે ધીમે ગાડીમાં બેસીને કાશીપુરમાં આવીને પથ્થર ગલીમાં પોતાના ગોર દેવદત્તના ઘેર ઉતારો કરીને ગંગા નદીમાં મણીકર્ણિકા ઘાટે સ્નાન કરીને મહાદેવજીનાં દર્શન કરીને પછી ઉતારે આવીને રસોઇ કરીને જમતા સતા, કેટલાક દિવસ તે તીર્થમાં રહીને ત્યાં થકી ચાલ્યા તે છપૈયાપુરમાં આવતા હતા. ત્યારે ભક્તિમાતા તેમને આવ્યા જાણીને સુવાસિનીબાઇ પાસે ગરમ પાણી મુકાવીને નવરાવીને રસોઇ કરીને જમાડતાં હતાં. તે જમી ચળુ કરીને પાનબીડી જમતા સતા, આંબલીના વૃક્ષ હેઠે ચોતરા ઉપર જઈને પોતાના સખાઓ આવેલા છે તેમણે સહિત બેઠા અને હિન્દીપુરની લડાઇની વાર્તા કરવા લાગ્યા. તે સમયે ભક્તિમાતા આવીને મસ્તક ઉપર જમણો હાથ મૂકીને બોલ્યાં જે, હે ઘનશ્યામભાઈ ! આ તમારા વાંસામાં શું વાગ્યું છે ? ત્યારે કહ્યું જે, હે દીદી ! ગાડા ઉપરથી રાત્રીને વિષે પડી ગયો હતો તેથી બાવળની શુળ લાગી હતી. એમ કહીને સખાએ સહિત નારાયણ સરોવરમાં સ્નાન કરવા જતા હતા.                             🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - तितली संग खेल रहे घनश्याम धनुर्मास... ७th Day Shree Swaminarayan Gurukul Rajkot Sanslhan V9rf GurukutSuraf तितली संग खेल रहे घनश्याम धनुर्मास... ७th Day Shree Swaminarayan Gurukul Rajkot Sanslhan V9rf GurukutSuraf - ShareChat