🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયને વિષે રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજને સાથે લઇ જન્મસ્થાનક, હનુમાનગઢી આદિક મંદિરે દર્શન કરવા ગયા, તે સમયે હનુમાનગઢીમાં અધ્યાત્મ રામાયણની કથા વંચાતી હતી. એટલે ઘનશ્યામ મહારાજ તો હનુમાનજીનાં દર્શન કર્યા સિવાય સભામાં કથા સાંભળવા બેસી ગયા. ત્યારે મોટાભાઈ બોલ્યા જે, હે ઘનશ્યામ ! ચાલો આપણે સર્વ મંદિરે દર્શન કરી આવીએ. અને પછી તમો સુખેથી કથા સાંભળજો. આજે દ્વાદશીનાં પારણાં છે. માટે આપણાં દીદી રાહ જોશે. તેવું સાંભળીને બોલ્યા જે, હે ભાઇ ! તમારે બહુ ઉતાવળ હોય તો જાઓ અને અમો તો આ અધ્યાયમાં વૈરાગ્યની વાર્તા બહુ સારી આવે છે, તે સાંભળીને દર્શન કરીને આવીશું. એમ કહ્યું એટલે ભાઈ તો ત્યાં થકી ચાલ્યા તે જન્મસ્થાનકે ગયા. ત્યાં મંદિરમાં સિંહાસન ઉપર રામલક્ષ્મણની સમીપે ઘનશ્યામ મહારાજનાં બાળસ્વરૂપે વસ્ત્ર ઘરેણાં સહિત દર્શન થયાં. તે જોઇને આશ્ચર્ય પામી, ત્યાંથી ચાલ્યા તે કનકભુવન ગયા. ત્યાં પણ તેવાં ને તેવાં દર્શન થયાં. એવી રીતે કેટલાંક મંદિરોમાં દીઠા. પછી ઉતાવળા પાછા હનુમાનગઢીમાં આવ્યા. ત્યાં તો વળી સભામાં બિરાજેલા જોયા. તે ઐશ્વર્ય જોઈને ઘેર આવ્યા. ત્યાંતો વળી ઓસરીની ઝેર ઉપર પોતાના પિતાની સાથે વાર્તા કરતા જોયા. પછી સમીપે આવીને બોલ્યા જે, હે ઘનશ્યામભાઈ ! તમો કયારના ઘેર આવ્યા છો ? ત્યારે બોલ્યા જે, અમો તો કયારનાય બધાય મંદિરોમાં દર્શન કરીને ઘેર આવ્યા છીએ. અને જેટલી રામાયણની કથા મેં સાંભળી હતી. તેટલી કથા આપણા દાદાને કહી સંભળાવી. તે જો તમે ન માનો તો દાદાને પૂછો. તે સાંભળીને રામપ્રતાપભાઇ મહા આશ્ચર્ય પામી તે વાર્તા પોતાનાં માતુશ્રીને કહેતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ


