🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે ભાઈ! હવે આ જીવને ઉપદેશને માટે સારઅસારની વાર્તા કહું તે સાંભળો. પ્રથમ ચાર વેદ હતા. તેનો શ્રીવ્યાસ મુનિએ વિભાગ કર્યો.
તેમાંથી પોતે અઢાર પુરાણ કર્યા તથા ષડ્ગાસ્ત્રો કર્યા તથા મહાભારત કર્યું તથા બાર સ્કંધનું શ્રીમદ્ ભાગવત કર્યું તથા શ્રીમદ્ ભગવદ્ગીતા કરી તથા ગરૂડપુરાણ કર્યું તથા સત્ અસત્ની વિક્તિ કરી તથા સાધુ-અસાધુની વિક્તિ કરી. તેમાં કોઇક આશંકા કરે જે, સત્-અસત્ તે શું ? તો વ્યાસજીએ કરેલાં શાસ્ત્ર સત્ય છે અને તે વ્યાસ કૃતિને મળતી આવે જે વાણી તે સત્ય છે. અને તે વિના બીજી વાણી હોય તે અસત્ય છે. માટે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં ભગવાનના અવતાર હોય અથવા ગીતા-ભાગવતમાં બ્રહ્મ કહ્યા હોય અને જીવનું કલ્યાણ કરે તેવા પણ હોય, તેમાં ભેખધારી અસાધુ ગીતા ભાગવતના ભણેલા ઇન્દ્રિયોના ભોગને અર્થે શાસ્ત્રના અર્થને અનર્થ કહી દેખાડે છે. ત્યારે કોઇક કહે, અર્થના અનર્થ તે શું કરતા હશે ? તે દ્રષ્ટાંત કહીએ છીએ જે.
એક પંડિત હતો. તે ધર્મશાળામાં ભાગવતની કથા કરતો હતો. તે કથામાં એક વિધવા બાઈ નિત્યે કથા સાંભળવા માટે આવતી હતી. અને તે વિધવાની પાડોસણ બીજી વિધવા બાઈ હતી. તે કથા સાંભળવા માટે કોઇ દિવસ આવે નહીં. ત્યારે તે બાઇએ કહ્યું જે, ભટ્ટજી કથા સારી કરે છે અને તું કથા સાંભળવા કેમ આવતી નથી? ત્યારે તે બાઇના કહેવાથી તે વિધવા બાઇ બીજે દિવસે કથા સાંભળવા ગઇ એટલે તેજ દિવસે યમપુરીનો અધ્યાય આવ્યો. તેમાં યમના માર વર્ણવ્યા જે, જે પુરૂષ પારકી સ્ત્રીઓનો સંગ કરે છે તેને લોહની સ્ત્રી અગ્નિ જેવી તપાવીને બાથ ભરાવે છે. તથા જે સ્ત્રી પરપુરૂષનો સંગ કરે છે તેને લોહનો પુરૂષ અગ્નિવર્ણ કરીને તે પુરૂષ સાથે બાથ ભરાવે છે.એવી રીતે યમના દુઃખનું વર્ણન આવ્યું. તેને સાંભળીને પેલી પડોસણ બાઇ તો અંતઃકરણમાં મહાભય પામી ગઈ. તે કયા કારણથી ભય પામી તો, જે એ બાઇને અને તે પંડિત એ બન્ને જણને લગવાડ હતો. પછી તે બાઇ તો તત્કાળ ત્યાંથી ઊઠીને પોતાને ઘેર ગઈ. અને એમ બોલી જે, આજ મારા પિટયાને નહીં પેસવા દઉં બાપરે, યમના માર કેમ ખવાય ? ત્યાર પછી વાળું પાણી કરીને સાંકડ બંધ કરીને સૂઇ ગઇ. પછી ઘડીકવાર થઇ એટલે પેલો પંડિત કથાની સમાપ્તી કરીને સંધ્યા વખતે તે બાઇના ઘરે આવીને સાંકડ ખટખટાવી. એટલે તે બાઇ બોલી જે, આજે તો હું કમાડ નહીં ઉઘાડું અને કહ્યું જે બાપ રે, યમના માર ન ખવાય. કેમ જે, આજે હું કથા સાંભળવા આવી હતી. તેમાં બહુ પ્રકારે યમપુરીનું દુઃખ સાંભળ્યું અને મહાદુઃખ દીઠું. ત્યારે ભટ્ટજી બોલ્યા જે, તમોએ કયાં સુધી કથા સાંભળી હતી ? ત્યારે તે બાઈ બોલી જે, યમપુરીનો અધ્યાય સાંભળીને ઘરે આવતી રહી. એટલે તે ભટ્ટે કહ્યું જે, પછી બીજા અધ્યાયમાં તો પોતે ભગવાનને રીસ બહુ ચડી. તેથી યમદૂતોને મારી કાઢ્યા અને સર્વે નરકના કુંડ પૂરી નાખ્યા. એવી રીતની વાર્તા કથામાં આવી અને બરાબર થાળી જેવું ચોખું ચંદન કરી નાખ્યું. તે સાંભળીને તે બાઇ ઉમંગની ભરી બોલી જે અહો. ત્યારે તો બહુ સારૂં થયું અને તુરત સાંકડ ઉઘાડી. તે જુઓ, આ અર્થનો અનર્થ કર્યો કહેવાય.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


