🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એક સમયે ગ્વાલિયર પરગણે ગામ ધુવાબરાઇને વિષે એક મિશ્ર બ્રાહ્મણ તાલુકાદાર હતો. તે મહાશક્તિ પંથી હતો. અને જોબનધનના જોરમાં ચોરી અવેરી, મદ્ય-માંસમાં ભરપુર ફસાયેલો અને મહાકુકર્મી હતો. તે એક દિવસે શિવજીના ચોતરા ઉપર બેસીને લીલાગરભાંગ ઘુંટતો હતો. તે સમયે ચાર યમદૂત ક્રોધના ભર્યા હથિયાર સહિત વિકરાળરૂપે તેને લેવા માટે આવ્યા અને એકદમ જેર ઉપરથી હડસેલી પાડીને પાટવે પાટવે મારવા લાગ્યા. ત્યારે બરાડા પાડતો થકો એમ બોલ્યો જે, ઓય બાપરે ! મને આ ચાર સિપાઇઓએ મારી નાખ્યો. તે કોઇ હોય તો મને છોડાવો. એવી રીતે ઉચ્ચ સ્વરે બોલે, તે સાંભળીને તેનાં સગાંસંબંધી સર્વે ભેગાં થયાં અને કહેવા લાગ્યાં જે, હે કાલીપ્રસાદ! તને શું થાય છે ? ત્યારે તે બોલ્યો જે, હે માતાપિતા ! હે ભાઇઓ ! આ કાળા ડગલાવાળા ચાર સિપાઈ મને મારી નાખે છે, તેથી મને છોડાવો. ત્યારે તેમણે કહ્યું જે, રામ રામ કર. અહીં તો કોઇ સિપાઇ નથી અને કોણ તને મારે છે ? એમ કહીને તેને ઉપાડીને ઘરમાં લઇ ગયા અને ખાટલામાં સુવાડીને ચારે બાજુ દબાવીને સર્વે બેઠા. છતાંપણ તે યમના દૂત એમને એમ મારતા હતા, ત્યારે તે વાતની એકબીજાના કહેવાથી બધા ગામમાં ખબર પડી એટલે બીજાં કેટલાંક માણસો તેને જોવા સારૂં તેના ઘેર આવતાં હતાં. ત્યારે તેને જોઈને એમ બોલે જે, હે દાદા ! આ હજારો માણસ નિર્ભય થઈને ઉભાં ઉભાં જુએ છે, પરંતુ આ ચાર સિપાઇઓને કોઇ દૂર કરતા નથી. એમ કહીને ગાળો દેવા લાગ્યો. તેવું સાંભળીને સર્વે માણસોના મનમાં એમ થયું જે, આમને તો ગાંડીયો તાવ આવ્યો છે તેથી મુંઝારો થઇ ગયો છે. એમ કહીને પોતપોતાને ઘેર સર્વે ગયા. ત્યારે સવારમાં એક બાઇ શ્રીજી મહારાજનાં દર્શન કરેલી અને મહારાજનાં દ્રઢ નિશ્ચયવાળી એવી તે બાઈ જોવા માટે આવી. ત્યારે તે બાઇને જોઇને તે યમદૂત તત્કાળ તેની પાસેથી દૂર થઇ ગયા. ત્યારે તે બ્રાહ્મણ તત્કાળ ઉઠી ઉભો થઇને બોલ્યો જે, હે ડોસીમા ! અહિં તમારા આવવાથી આ ચાર સિપાઈ મને મારતા હતા તે બહાર નાસી ગયા માટે તમો બેસો. તેવું સાંભળીને તે બાઇએ જાણ્યું જે, આ બ્રાહ્મણ બહુ પાપી છે, તેને ધર્મરાજાએ પોતાના ચાર યમદૂત તેડવા માટે મોકલ્યા હશે, અને હું અહીં આવી તે મને શ્રીજી મહારાજની આશ્રિત જાણીને યમદૂત નાસી ગયા એવો પોતાના મનમાં વિચાર કરીને ત્યાં બેઠી. અને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાર્તા કરીને નિયમ ધરાવીને કહ્યું જે, હવે તમોને આ સ્વામિનારાયણ નામનો મંત્ર આપું છું. તે મંત્રનો ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખેથી ઉચ્ચારણ કરજ્યો. એટલે તે સિપાઇઓ નહીં મારે, ત્યારે ભયને કારણે તે બાઇના કહેવા પ્રમાણે ભજન કરવા લાગ્યા. એટલામાં તો તે યમના દૂત ત્યાંથી મૂર્તિમાન ભાગ્યા. તેને સર્વે પ્રત્યક્ષ દેખતા હતા. તેવું મહા ચમત્કારી ચરિત્ર જોઇને સર્વે મનુષ્યો પ્રગટ શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતાં હતાં.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


