🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- ૦૧
ભગવાનની કરુણા અપાર છે. મનુષ્યના ભરણપોષણ માટે ભગવાને સૂર્ય-ચંદ્ર, ધન-ધાન્ય-વનસ્પતિ, ધરતી-આકાશની રચના કરી, તો તે સાથે ભગવાને મનુષ્યમાં એક એવી વૃત્તિ મૂકી કે જેથી તે સતત વધુ ને વધુ સુખ મેળવવા પ્રવૃત્ત થાય. ભગવાનની અપાર કરુણાનો જ આ એક અંશ છે. એ વૃત્તિને આધારે મનુષ્યની સુખની ખોજ શરૂ થાય છે. આ ખોજની સામે ભગવાન વધુમાં વધુ સુખ જેમાં રહેલું છે તેવું પોતાનું સ્વરૂપ પણ ઓળખાવે છે. પરમ સુખમય ભગવત્સ્વરૂપની ઓળખાણ એ ભગવત્કૃપાનો જ ભાગ છે.
આ જગતના જીવો પરમ સુખમય પોતાના સ્વરૂપને જાણી શકે તેવી કરુણા કરી પરમ કૃપાળુ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી આ પૃથ્વી ઉપર પધાર્યા. સાથે પોતાના અક્ષરધામથી મુક્તોને પણ લાવ્યા. એ મુક્તોએ એ મહાપ્રભુજીને જેવા છે તેવા મુમુક્ષુઓને ઓળખાવ્યા. ભગવત્ ભક્તિ-તપ વગેરેથી જીવ જેમ જેમ ધોવાઈ શુદ્ધ થતા જાય તેમ તેમ આ સ્વરૂપની ઓળખાણ થતી જાય. આથી શ્રી-હરિજીએ પોતાના મુક્તોને આ લોકમાં મોકલવાનું ચાલુ રાખ્યું, જે પણ એ મહાપ્રભુજીની પરમ કરુણા જ!
સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિ મહામુક્ત હતા, અને અનેક જીવોનાં આત્યંતિક કલ્યાણ અર્થે જ શ્રીહરિની ઇચ્છાથી પ્રગટ થયા હતા.
અમદાવાદ શહેરથી જેતલપુર જતા, નેશનલ હાઇવે ઉપર, અમદાવાદથી દસ-બાર કિલોમીટરના અંતરે અસલાલીનામનું ગામ આવેલું છે. શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની ચરણરજથી આ ગામ ઘણીવાર અંકિત થયેલું છે. અમદાવાદ-જેતલપુર જતા-આવતા ઘણીવાર શ્રીહરિજી અસલાલી પધારતા. સંવત ૧૮૮૨ ના ચૈત્ર સુદ બીજને દિવસે શ્રીહરિજી સંતહરિ-ભક્તોના મંડળે સહિત અમદાવાદથી અસલાલી પધાર્યા હતા. ગામની બહાર ઉત્તર દિશા તરફ આવેલા આંબાવાડિયામાં મોટો મંચ બાંધેલો હતો ત્યાં શ્રીહરિજી બિરાજ્યા. ગામના હરિભક્તો વેણીભાઈ, લાલભાઈ, કાળીદાસભાઈ, ગોપાલભાઈ, ખુશાલભાઈ, ભગાભાઈ આદિએ ચંદન-કુંકુમ-હાર-તોરાથી શ્રીહરિજીની પૂજા કરી. તે વખતે સભા થઈ અને શ્રીહરિજીએ જે વાત કરી તે અસલાલીના વચનામૃત તરીકે સંગ્રહિત થઈ છે. શ્રીજીએ કહ્યું:
“ભગવાનને ભજીને જે બ્રહ્માંડની ઉત્પત્તિના સામર્થ્યને ઈચ્છે તે ભક્તને સામર્ધ્યાર્થી કહીએ ને કનિષ્ઠ કહીએ. અને જે કેવળ આત્મારૂપ થઈને ભગવાનને ભજે તે તો કૈવલ્યાર્થી જાણવો ને તે ભક્ત તો મધ્યમ છે. અને ત્રીજો જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિષે નિષ્ઠા રાખે તે ભગવત્ નિષ્ઠાર્થી જાણવો ને એ ભક્ત અતિ શ્રેષ્ઠ છે ને અતિ ઉત્તમ છે.”
ચકોર જેમ એક નજરે ચંદ્રમાને જોઈ રહે છે તે રીતે સૌ હરિભક્તો શ્રીહરિજીના મુખકમળ નીરખી રહ્યા છે ને શ્રીહરિજીની પરમ પાવનકારી વાણીને અંતરતમના ઊંડાણમાં સંગ્રહી રહ્યા છે. એ સભામાં તે ગામના પૂંજાભાઈ પટેલ નામના અમીન કુટુંબના લેઉઆ પાટીદાર પણ બેઠા છે. તેમને શ્રીહરિજીની ભગવત્ નિષ્ઠાર્થી થવાની વાત અંતરમાં જડાઈ જાય છે. શ્રીહરિજી તો ત્યાર પછી જેતલપુર પધારી જાય છે, પણ એ દિવ્ય સ્વરૂપ પૂંજાભાઈના અંતરમાંથી ખસતું નથી.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


