#📵ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ રોકવા કેન્દ્ર સરકારે કડક પગલું ભરીને દેશભરમાં ટેલિગ્રામ (Telegram) એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. આગામી 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષાને સુરક્ષિત રાખવા અને નકલખોરીનું નેટવર્ક તોડવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ભલામણ કરી હતી. આ ભલામણના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે, જેને NTA દ્વારા પણ આવકારવામાં આવ્યો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ મળેલી કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને આ પ્લેટફોર્મ પર કડક અને સમયબદ્ધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર, ભારતમાં ટેલિગ્રામ પર 30 જૂન, 2026 સુધી જૂના મેસેજ સુધારવાનું (એડિટ કરવાનું) ફીચર બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી નકલખોરી કરતા તત્વો અને ચીટિંગ રેકેટ્સ પરીક્ષા પૂરી થયા પછી આ ફીચરનો દુરુપયોગ કરીને નકલી 'પેપર લીક' થયાનો ખોટો ભ્રમ ઊભો કરતા હતા.
આ છેતરપિંડી અંતર્ગત ટેલિગ્રામ ચેનલના એડમિન અગાઉ મોકલેલા કોઈ સામાન્ય મેસેજને એડિટ કરીને તેની અંદર ઓરિજિનલ પ્રશ્નપત્રની PDF ફાઈલ અપલોડ કરી દેતા હતા. આ પ્રક્રિયામાં મેસેજનો અસલી સમય (ટાઈમ સ્ટેમ્પ) બદલાતો ન હોવાથી મેસેજ જૂનો જ દેખાતો હતો. પરીક્ષા પૂરી થયા પછી આ એડિટ કરેલી ચેટને સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને એવો જૂઠો દાવો કરાતો હતો કે પેપર પરીક્ષા પહેલાં જ લીક થઈ ગયું હતું. સરકારના આ કડક પગલાના કારણે હવે સોશિયલ મીડિયા પર આ પ્રકારે અફવાઓ અને જુઠ્ઠાણાં ફેલાવવાનો રસ્તો બંધ થઈ જશે.NTAના જણાવ્યા અનુસાર, પેપર લીક કરનારા શંકાસ્પદ ચેનલો પર એક પછી એક સખત કાર્યવાહી કરવા છતાં પણ જ્યારે ખતરો પૂરેપૂરો ટળ્યો નહીં, ત્યારે છેવટે આખા પ્લેટફોર્મ પર જ અસ્થાયી પ્રતિબંધ મૂકવો પડ્યો છે. ટેલિગ્રામ પર 'પેપર લીક' અને 'રી-એક્ઝામ 2026' જેવા ભ્રામક નામો ધરાવતી ચેનલો બનાવીને ઉમેદવારો પાસેથી નકલી પેપરના નામે હજારો અને લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા. NTAના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધથી એપ્લિકેશનનો સાચો ઉપયોગ કરનારા સામાન્ય લોકોને થોડી મુશ્કેલી પડશે, પરંતુ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ નિર્ણય માત્ર પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જ લેવાયો છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે 21 જૂન. 2026ના રોજ લેવાનારી NEETની પુનઃપરીક્ષા તેના નક્કી કરેલા સમયે જ યોજાશે, તેથી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહીને માત્ર NTAની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી પર જ ભરોસો રાખવો.
#🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી



