🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૯
સરાથી બીજા ગામોમાં ફરતા ફરતા સ્વામી શ્રી જન્માષ્ટમીના સમૈયે મૂળી પધાર્યા. મનસુખભાઈ એ વખતે મૂળી દર્શને આવેલા. સ્વામીશ્રીના દર્શન કર્યા. સ્વામીશ્રી કહે : “તમને સરામાં વાત કહી હતી તે યાદ છે કે નહિ ? ” મનસુખભાઈ કહે : “યાદ છે, વળી એ પણ યાદ છે કે આપે મારો હાથ ઝાલ્યો છે. હવે તે મૂકશો નહીં.” સ્વામીશ્રી પ્રસન્ન થઈને કહે : “ભલે, પણ અમે કહીએ તેમ કરશો?” મનસુખભાઈ કહે : “હા, જરૂર” ત્યારે સ્વામીશ્રીએ મનસુખભાઈને મુક્તરાજ અબજીબાપાશ્રીના મહિમાની વાત કરી ને તેમના દર્શન-સમાગમ કરવા જવા ખાસ ભલામણ કરી. મનસુખભાઇ ત્યાર પછી સ્વામીશ્રીની જોડે જ વૃષપુર બાપાશ્રીના દર્શને ગયેલા ને દિવ્યભાવથી સુખિયા થયેલા.
મૂળીમાં સભામંડપમાં સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજી વાતો કરતા હતા તેમાં મુક્તરાજ અબજીબાપાશ્રીના મહિમાની વાન પણ કરી. તે વખતે કોઈક હરિભક્તને સંકલ્પ થયો કે “શાસ્ત્રવેત્તા સંત-હરિભક્ત હોય, તેઓ શાસ્ત્રમાંથી ભગવાનનું સ્વરૂપ સમજી શકે, પણ અબજીબાપા જેવા જે ભણ્યા જ ન હોય તે શાસ્ત્રને જાણ્યા વિના શું સમજે?'' સ્વામીશ્રી તે સંકલ્પને અંતર્યામીપણે જાણી ગયા ને કહેવા લાગ્યા : "પરોક્ષશાસ્ત્રમાં મહામાયા ને મૂળપુરુષ સુધીનું વર્ણન કર્યું છે. તે શાસ્ત્ર જાણનારા મૂળપુરુષને જ પુરુષોત્તમ ભગવાન જાણે છે, પરંતુ મૂળપુરુષથી પર મહાકાળ છે, તેથી પર નરનારાયણ છે, તેથી પર વાસુદેવનારાયણ છે, તેથી મર મૂળઅક્ષર છે ને તે સર્વે અનંત છે, ને તેથી પર તેજના સમૂહરૂપ શ્રીજીમહારાજનું અક્ષરધામ છે. તેમાં અનંતકોટિ મુક્ત ને નિત્યમુક્ત તેમણે નિર'તર સેવ્યા એવા શ્રી સ્વામિ-નારાયણ ભગવાન વિરાજમાન છે. તેમને અનાદિ શ્રીકૃષ્ણ કહ્યા છે. તે વાત શ્રીજીમહારાજ અને તેમના સિદ્ધ મુક્તોથી જ સમજાય છે. તે શ્રીજીમહારાજે ગઢડા મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહ્યું છે કે ‘તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ.' આ જે વાત કરી છે તે પોતાના અનાદિ મુક્તની સ્થિતિની વાત કરી છે. શ્રીજીમહારાજના અનાદિ મુક્તો તો આ પૃથ્વી ઉપર વિચરતા હોય તો ય મૂર્તિમાં જ છે ને મૂર્તિના સુખમાં થીજેલા છે, માતાના ઉદરમાં હોય ત્યારે પણ શ્રીજીમહારાજની મૂર્તિને દેખે ને તે મૂર્તિના સુખે સુખી હોય. માતાના ઉદરમાં આવ્યા મોરે પણ તે મૂર્તિમાં જ હતા ને મૂર્તિનું સુખ ભોગવતા હતા. આથી આવા અનાદિ મુક્ત જે શ્રીજીમહારાજની ઇચ્છાથી પૃથ્વી ઉપર અનંત જીવોના આત્યંતિક કલ્યાણ માટે વિચરતા હોય તેમની મોટપ કાંઈ શાસ્ત્ર ભણવે કરીને નથી, તેમની મોટપ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સુખમાં રમે છે તેની છે. મુક્તરાજ અબજીબાપાશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનનીઇચ્છાથી આ પૃથ્વી ઉપર દર્શન દે છે, ને અનંત જીવોને શ્રીહરિજીના સુખે સુખિયા કરે છે, ને પોતે તો સદાય એ સુખમાં જ રમે છે.” આ વાત સાંભળીને સભામાં બેઠેલા તે હરિભકતે પોતાનું માન મૂકીને સ્વામીશ્રીને દંડવત્ કરી પ્રાર્થના કરી, સ્વામીશ્રીની માફી માગી સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


