બંગાળમાં મમતાના પરાજયના બીજનું વાવેતર ૧૯૮૦ના દાયકામાં થઈ ગયું હતું !! શાહબાનો કેસ ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો બિટવીન ધ લાઇન્સ: સુનીલ જોશી ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં કાનપુર બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. આ ઉમેદવારનું નામ આરિફ મોહમ્મદ ખાન. તેમના હરીફ ઉમેદવાર જનતા પાર્ટી (ભારતીય જનતા પાર્ટી નહીં) ના મુસ્લિમ ઉમેદવાર મકબૂલ હુસેન કુરેશી હતા. તમને આ ઐતિહાસિક રાજકીય સંદર્ભ આપવાનું કારણ છે. ભારતની જનતા ૧૯૪૭ના આઝાદીના સમયના દેશના ભાગલા ભૂલી જવાની તૈયારીમાં હતી. જે લોકસભા વિસ્તારમાંથી કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર આરિફ મોહમ્મદખાન ચૂંટાયા હતા. તેમની સામે બીજા નંબરે મત મેળવનાર જનતા પાર્ટીના ઉમેદવાર પણ મુસ્લિમ હતા એ મતક્ષેત્રની વોટિંગ પેટર્ન તમને ખબર છે? સૌથી વધુ મતદાર હિન્દુ ૮૨.૪ ટકા હતા. મુસ્લિમ ૧૨.૩ ટકા, ખ્રિસ્તી ૨.૪૩ ટકા અને શીખ ૧.૯ ટકા મતદારો હતા. જે મત ક્ષેત્રમાં ૮૨ ટકા મતદાર હિન્દુ હોય ત્યાં આજે કોઈ પક્ષ મુસ્લિમ ઉમેદવાર મૂકવાની હિંમત કરે? કરે તો તે જીતી શકે? આજની સ્થિતિ શું છે? તેના આંકડા હું આગળ આપીશ. હાલ તમને કહું કે ખાસ કરીને હિન્દુ મતદારો આઝાદીના ભાગલાના દિવસો ભૂલી જવા માંગતા હતા. પાકિસ્તાન ધર્મના આધારે મુસ્લિમ આબાદીનો દેશ બન્યો. છતાં જે મુસ્લિમોને ભારતમાં રહેવું હોય તેમને માટે ભારતમાં રહેવાની છૂટ હતી. ભારતના હિન્દુઓએ મુસ્લિમ નેતૃત્વને અને મુસ્લિમોને મેઈન સ્ટ્રીમમાં સમાવેશ કરવાની પહેલ કરી હતી. પણ રાજકારણ અહીંથી જ શરૂ થયું. આજે પશ્ચિમ બંગાળના જે પરિણામો આવ્યા છે તે ફરી એક વખત હિન્દુ ઓળખ અને મુસ્લિમ પહેચાન ઉપર આવીને ઊભા છે. દેશ ફરી એક વખત સાંપ્રદાયિકતામાં વહેંચાઈ રહ્યો છે. અહીંથી ખતરનાક રાજકારણના વિષનું વાવેતર થયું હતું. જેની આપણે વિગતે વાત કરીશું. તમને થોડા તથ્યો આંકડાથી જ રજૂ કરું. ૧૯૮૦થી ૧૯૮૪ની સાતમી લોકસભામાં ૪૯ સાંસદ મુસ્લિમ હતા. લોકસભાના કુલ સભ્યોની સંખ્યા ૫૪૩ હતી. ૨૦૧૩ની સાલમાં દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં કુલ મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૩૩૯ હતી. ૨૦૨૬ની સાલમાં આ સિનારિયો જોઈએ. દેશમાં આજે મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૨૫૫ થઈ ગઈ છે. જ્યારે હાલની લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા ૨૪ થઈ ગઈ છે. ૧૯૮૦ની કટઑફ ડેટ મેં આ માટે જ લીધી. ૪૯ સાંસદોમાંથી ૨૪ સાંસદ ઘટીને કેમ થયા? ૫૦ ટકાનો ડાઉનફોલ કેમ? ધારાસભ્યોની સંખ્યા ઓલ ટાઈમ હાઈ ૩૩૯થી ઘટીને ૨૫૫ કેમ થઈ ગઈ? ભારતમાં મુસ્લિમોની વસ્તીની તુલનાએ સત્તામાં ભાગીદારી કેમ ઘટી? મુસ્લિમોની વસ્તી તો વધી છે. તો તેમની બેઠક પણ વધવી જોઈએ. તેને બદલે રિવર્સ ટ્રેન્ડ છે. આજે દેશમાં મુસ્લિમોની વસ્તી ૨૦ કરોડથી વધુ છે. મુસ્લિમ સમાજની સત્તામાં ભાગીદારી ઘટી છે. સત્તામાં ભાગીદારી ૪ ટકાની આસપાસ છે. આ ડ્રાસ્ટિક ચેન્જ કેમ આવ્યો? ૧૯૮૦માં ૮૪ ટકા વસ્તી ધરાવતી હિન્દુ બેઠક ઉપર સુધારાવાદી મુસ્લિમ સ્કોલર ચૂંટણી લડી શકે અને જીતી શકે એ માહોલ અચાનક કેમ ગાયબ થઈ ગયો? તેને માટે જવાબદાર છે મુસ્લિમ સમાજના કટ્ટરવાદી નેતાઓ, કોંગ્રેસના તત્કાલીન નેતાઓ અને સરેરાશ મુસ્લિમ સમાજનું તેમના નેતાઓ પાછળ દોરવાઈ જવું. મુસ્લિમ સમાજનું મૂક સમર્થન. સામા પક્ષે આ મુદ્દાનું રાજકીય ધ્રુવીકરણ કરવાનું સંઘ, જે તે સમયનું જનસંઘ બાદમાં ભાજપની થિંક ટૅન્કનું કામ છે. ભારતમાં વસી ગયેલા મુસ્લિમોને હિન્દુ સમાજ અને સમગ્ર દેશે સ્વીકારવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૪૭-૪૮, ૧૯૬૫ અને ૧૯૭૧ ત્રણ વખત પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું. એક મુસ્લિમ રાષ્ટ્રનું હિન્દુ બહુમતીવાળા બિનસાંપ્રદાયિક બંધારણ ધરાવતા ભારત દેશ ઉપર આ આક્રમણ હતું. ભારત બિનસાંપ્રદાયિકતાની વિચારધારામાં સફળ ન થાય તેમાં ડીપ સ્ટેટને પણ રસ હતો. અંગ્રેજોની માફક આ દેશને ધર્મ અને પ્રાંત, જાતિવાદના આધારે તોડવાની એક સોચી સમજી સાજિશ હતી. પણ ૧૯૮૦ સુધીમાં આમ છતાં લગભગ આઝાદી સમયના એ હિન્દુ મુસ્લિમ દંગાઓ અને હિંસાની ભાવનાને ધરબી દેવાઈ હતી. કહોને કે હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ક્યાંક ને ક્યાંક બ્રિજિંગ બનાવી રહ્યા હતા. જે ખાઈ હતી તે પૂરવાની કોશિશ થતી હતી. તેના પરિણામ સ્વરૂપે જ ૧૯૮૦માં આરિફ મોહમ્મદ ખાન ૮૨ ટકા હિન્દુ મતદારો હોવા છતાં કાનપુરથી કોંગ્રેસમાંથી જીતી શક્યા હતા. હવે આવીએ આજની સ્થિતિમાં. આજે ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૬૩ હતી તે ઘટીને ૩૧ થઈ ગઈ છે. લગભગ અડધાથી વધુ. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોની સંખ્યા આ ચૂંટણીમાં ઘટીને ૫૯માંથી ૩૭ થઈ ગઈ છે. બિહારમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૧૯ હતી તે ઘટીને ૧૧ થઈ ગઈ છે. રાજસ્થાનમાં પણ તેમાં ગિરાવટ આવી છે. રાજસ્થાનમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૧૧માંથી ૬ થઈ ગઈ છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાતમાં ૧૮૨ કુલ ધારાસભ્યોમાંથી એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. ઈમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જમાલપુર અમદાવાદથી ચૂંટાયા છે. ૧૯૮૦માં ગુજરાત વિધાનસભામાં ૧૨ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા. અગેઈન ૧૯૮૦ની સાલ યાદ રાખજો. તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોનો મોટો હિસ્સો : તાજેતરમાં આસામ, કેરાલા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સહુથી વધુ મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા. આસામમાં કોંગ્રેસના ૧૯ ઉમેદવારમાંથી ૧૮ મુસ્લિમ ઉમેદવારો ધારાસભામાં ચૂંટાયા. કેરાલામાં યુડીએફ અને કોંગ્રેસનું એલાયન્સ છે. જેમાં ૩૦ મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. આમાંથી ૮ કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર છે. વેસ્ટ બંગાળમાં કોંગ્રેસના બે ધારાસભ્યો વિજયી થયા છે. આ બન્ને મુસ્લિમ છે. તામિલનાડુમાં કોંગ્રેસના એક મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયા છે. કર્ણાટકની છેલ્લી વિધાનસભામાં પણ મુસ્લિમ ધારાસભ્યો ઘટ્યા છે. એ ૩૬માંથી ૩૪ થયા છે. છત્તીસગઢમાં એક મુસ્લિમ ધારાસભ્ય છે. સાત રાજ્યો જેમાં અરુણાચલ પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને છત્તીસગઢમાં હાલ એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી. જો કે, તામિલનાડુમાં એક મુસ્લિમ ધારાસભ્ય વધ્યા છે. ૮ હતા તે ૯ થયા છે. જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ મુસ્લિમ ધારાસભ્યો હોવા છતાં તેની સંખ્યા ૫૮ હતી તે ઘટીને ૫૧ થઈ છે. પાર્ટીવાઈઝ ચિત્ર : રાજકીય પક્ષ પ્રમાણે દેશમાં કુલ ધારાસભ્યોની સંખ્યા જોઈએ તો કોંગ્રેસના સહુથી વધુ ૬૧ ધારાસભ્ય મુસ્લિમ છે. નેશનલ કોન્ફરન્સના ૩૯, તૃણમૂલ કોંગ્રેસના તથા સમાજવાદીના ૩૪-૩૪ ધારાસભ્ય છે. જો કે ભાજપ પણ જરૂર પડે છે ત્યાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે છે. ભાજપના બે ધારાસભ્ય મુસ્લિમ છે. એક મણિપુરમાં અને એક ત્રિપુરામાં છે. ભાજપ પણ તકવાદી રાજકારણ કરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે છે. પણ વિધાનસભામાં મુસ્લિમ ઉમેદવારની જરૂર એટલે નથી પડતી કે તેમની સંખ્યાને મતદાનમાં કાઉન્ટર કરી શકાય છે. આ સમગ્ર ચિત્ર જોઈએ તો કેટલીક બાબત ઊડીને આંખે વળગે છે. સહુ પ્રથમ દેશમાં ભાજપ હિન્દુવાદી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે. કોંગ્રેસ દેશમાં મુસ્લિમ તરફી પાર્ટી તરીકે સ્થાપિત થઈ રહી છે. પ્રાદેશિક પાર્ટીઓ પણ મુસ્લિમ બહુમતી હોય ત્યાં સફળ થવામાં મુસ્લિમ મતનું રાજકારણ જ રમે છે. પણ એવું તે શું થયું કે? ૧૯૮૦માં હિન્દુ સમાજે જેમને લગભગ સ્વીકારી લીધા હતા એ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓનું અચાનક પતન થઈ રહ્યું છે. વધુને વધુ રાજ્યોમાં ભાજપનું શાસન આવી રહ્યું છે. હાલ દેશમાં ૨૨ રાજ્યોમાં ભાજપનું શાસન છે. દેશની કુલ વસ્તી ૧૪૫ કરોડમાંથી ૧૧૦ કરોડની વસ્તી ભાજપ અથવા તેની યુતિ સરકારોની હેઠળ આવે છે. ભાજપનો ઉદય અને મુસ્લિમ પરસ્ત પાર્ટીઓની પીછેહઠનો ઇતિહાસ પાછળના ૪૬ વર્ષના શાસનમાં પથરાયો છે. તેનો બે ચાર ફકરાઓમાં સમાવેશ ન કરી શકાય. આથી આ વખતે આ જ શ્રેણીમાં મેં આગળ વધુ લેખ ક્રમશ: આપવાનો નિર્ણય કર્યો છે. આગામી અંકમાં ભારતીય રાજકારણના આમૂલ પરિવર્તન અને ભાજપની ઝળહળતી સફળતાની બાબતો લઈને બીટીએલના વાચકો સમક્ષ આવીશ. અલબત્ત તેમાં પણ તથ્યો અને ઐતિહાસિક શિફ્ટના કારણો અને તેનો ટાઈમલાઈન પ્રમાણે પ્રવાસ હશે. એક વાત ચોક્કસ છે કે ભારત ઐતિહાસિક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતનો ઈતિહાસ ફરી એક વખત લખવાની શરૂઆત થઈ ચૂકી છે. હા એટલું ચોક્કસ કહી દઉં કે બંગાળમાં મમતાના પરાજયના બીજનું વાવેતર પણ રાજીવ ગાંધી સરકારમાં થયું હતું. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને રોકી અને ખાસ ઑર્ડિનન્સ દ્વારા તેમાં ફેરફાર કરી હળવો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ તુષ્ટિકરણ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવી તોડવાની રાજીવ ગાંધી સરકારની નીતિએ દેશની રાજનીતિને આજની સ્થિતિએ લાવી દીધી છે. આગળના લેખમાં શાહબાનો કેસ અને તેના આઘાત-પ્રત્યાઘાત જોઈશું. જયહિન્દ જયભારત
માલાભાઈ (દિલીપ) બારડ ૯૯૦૪૪૭૦૯૪૬