ખોડિયાર માં જયંતિ
25 Posts • 309 views
c.j. jadav
153 views 31 minutes ago
🍃🍃🌼🍃🍃 મહાસુદ-૮ ખોડીયારમાં ની પ્રાગટય કથા...             ભાવનગર પંથકમાં બોટાદ અને પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આધશક્તિ માં ખોડિયારનું પ્રાગટય સ્થાનક છે. વિ.સં. ૮૩૬ ના મહાસુદ-૮ ( આઠમ )ના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઇ મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણુ દૂર કર્યું હતું. સાત બહેનો અને એકભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાનીબેન એ જોગમાયા ખોડિયારમાં છે. આજે પણ આ નાનકડા ગામમાં ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવાય છે. વલ્લભીપુર (ભાવનગર)માં મૈત્રેય વંશના શિલાદિત્ય રાજા સાહિત્ય, સંગીત અને કળાકારીગરીના ઉપાસક હતા. તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારને પ્રથમ સ્થાન મળતું હતું. મામડિયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિથી જીવનાર નેક ઇમાનદાર હતો. તે મહાદેવનો પરમ ઉપાશક હતો. આવા સદગુણોના સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું. તેઓ રાજાના પરમમિત્ર ગણાતા હતા. રાજ દરબારમાં કોઇકે રાજાને કહ્યું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે છે. મામડિયો ચારણ વાંઝિયો છે. આ જાણીને ધીમે ધીમે મામડિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા - લાગ્યો. એક દિવસ મામડિયાએ પૂછ્યું કે રાજા સાહેબ ? આપ મારા પ્રત્યે ઉદાસ કેમ લાગો છો ? રાજાએ કહ્યું કે તું વાંઝિયો છે. વાંઝિયાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે અને અપશુકન ગણાય છે. એમ શાસ્ત્ર કહે છે. મામડિયો નિરાશ થઇ ઘરે આવ્યો. પત્ની દેવળબાને વાત કરી. બંનેને દુ:ખ થયું. પછી તેમણે ભગવાન શિવજીની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ નહિ આપો તો કમળપૂજા કરીશ. મામડિયાએ અન્નજળનો ત્યાગ કર્યો. આઠ દિવસ પછી પ્રસન્ન થયેલાં મહાદેવે વરદાન આપ્યું કે તે આઠ દિવસ સુધી આકરૂં તપ કર્યું છે તો હું તને આંઠ સંતાનો આપું છું. સાત દીકરીઓ અને એક દીકરો. સાત દીકરીઓમા સૌથી નાની દીકરી "જોગમાયા મહાશક્તિ" નો અવતાર હશે તે દુનિયાના દુખો મટાડશે. હે મામડિયા તું ઘરે જા અને આઠ પારણા બંધાવજે. મહાદેવની કૃપાથી આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ (ખોડિયાર). સાત દીકરીઓ અને દીકરાનું નામ મેરખિયો. ખોડિયાર મા પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયા. નાનપણથી જ તેમણે અનેક દુ:ખિયાના દુઃખો મટાડ્યા. અનેક પરચાઓ પૂર્યા. એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંસ દીધો હતો. માં ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થઇ જાય. માઁ ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું. તેમને સમુદ્રમાં મગરે મદદ કરી હતી. એટલે તેમના વાહન તરીકે ઓળખાય છે. અમરકૂપો લઇને ઝડપથી આવતાં કોઇક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યાં. આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી ( લંગડી ) આવી. ત્યારથી માતાજી "ખોડિયાર માં" કહેવાયા. ભાવનગરના રાજાએ માતાજીને પોતાના મહેલમાં લઇ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિઆગ્રહથી માતાજીએ આવવા હા પાડી પણ શરત કરી કે હું તારી સાથે તારા સ્થાને આવીશ તે સમયે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ. જ્યારે તુંપાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહિ આવું. તે જગ્યાએ મારું સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યાં છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઇ કે માતાજી મારી પાછળ આવતાં નથી. એટલે રાજાએ પાછળ ફરીને જોયું. માતાજી ત્યાં ઉભાં થઇ ગયાં અને રાજાને કહ્યું કે રાજા ? તેં મારી શરતનો ભંગ કર્યો છે. હવે હું અહિંથી આગળ નહિ આવું. આ મારું સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ "રાજપરા" ધામ છે. આજે વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો આવે છે. લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ માઁ જોગમાયા ખોડિયાર સાક્ષાત દર્શન દેતાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધરાવાળી, માતેલ ધરાવાળી અને ગળધરાવાળી માઁ આધશક્તિ જોગમાયા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી માતાજી છે. સૌની મનોકામના પૂરી કરનાર દયાળુ માઁ છે. દર વર્ષે  ખોડિયાર માઁની જન્મજયંતિ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનોમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. ૯-૨-૨૦૨૨ને બુધવાર મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિ મનાવીને માનીકૃપા અને આશીર્વાદ મેળવીશું. જય ખોડીયારમાં...                        🍃🍃🌼🍃🍃 #ખોડિયાર માં જયંતિ #🎈🎂ખોડિયાર જયંતિ 🎂🎈
4 likes
1 share