𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜
#😱ખાણીપીણીના ભાવમાં તોતિંગ, પંજાબી સબ્જી, પિત્ઝા, સેન્ડવીચના ભાવમાં તોતિંગ વધારો આવશે:એનાલોગ પનીર પર પ્રતિબંધથી રસોડાથી લઈને રેસ્ટોરન્ટને અસર, રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટરના વપરાશ પર મૂકેલા પ્રતિબંધની સીધી અસર હવે ખાણીપીણીના બજેટ પર પડશે. અત્યાર સુધી નાના લારી-ગલ્લાં, કેફે અને ક્લાઉડ કિચનમાં એનાલોગ પનીર-ચીઝ-બટરનો ઉપયોગ થતો હતો, જેના કારણે ગ્રાહકોને વાનગીઓ વ્યાજબી ભાવે મળતી હતી, પરંતુ હવે ફરજિયાત શુદ્ધ 'મિલ્ક પનીર' અને ઓરિજિનલ ચીઝ-બટર વાપરવું ફરજિયાત બનતાં લોકોને દરેક વાનગી પર રુ. 20થી 60 સુધીનો ભાવવધારો ચૂકવવો પડશે.
પનીર, ચીઝ અને બટરના ઉપયોગથી બનતી પંજાબી સબ્જી, સેન્ડવીચ અને પિત્ઝા મોંઘા થશે. પનીર બટર મસાલા જે અત્યાર સુધી 220 રૂપિયામાં મળતું હતું તે હવે 260 રૂપિયા, જ્યારે 200 રૂપિયાની ચીઝ ક્લબ સેન્ડવીચ વધીને 240 રૂપિયા સુધી પહોંચી જશે તો માર્ગરીટા પિત્ઝાનો ભાવ 150થી 180 સુધી પહોંચી જશે. આમ, અસલી સ્વાદ અને સ્વાસ્થ્ય માટે લોકોએ વધારે પૈસા ખર્ચવા પડશે.દક્ષિણ ગુજરાતમાં આશરે 3,000 હોટેલ-રેસ્ટોરન્ટ અને એકલા સુરત શહેરમાં 5000થી વધુ લારી, ક્લાઉડ કિચન અને નાના આઉટલેટ્સ છે, જ્યાં દૈનિક ટનબંધ ચીઝ-પનીર વપરાય છે. દક્ષિણ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે. જે નાના વેપારીઓ કે રેસ્ટોરન્ટ્સ અત્યાર સુધી પોતાની રેસિપી મુજબ એનાલોગ પનીર વાપરતા હતા, તેમને હવે ફરજિયાત મિલ્ક પનીર જ વાપરવું પડશે. જોકે, જે મોટા રેસ્ટોરન્ટ્સ પહેલેથી જ ઓરિજિનલ મિલ્ક પનીર વાપરતા હતા, તેમના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય.વડોદરા હોટેલ ઓનર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ હેમલ મહેતાએ જણાવ્યું હતું કે, એનાલોગ પનીર કોઈ જાણીતી બ્રાન્ડ બનાવતી નથી. તે માત્ર લોકલ મિશ્રણ તરીકે તૈયાર થતું હોય છે. તેથી તેમાં કયા પ્રકારના ઘટકો વપરાય છે, તેની કોઈ સ્પષ્ટ માહિતી ગ્રાહક કે વેપારી પાસે હોતી નથી. સરકારે પનીર માટે લો-ફેટ, મીડિયમ-ફેટ અને ફૂલ-ફેટ જેવા વિકલ્પો આપ્યા છે. જો રેસ્ટોરન્ટ લો-ફેટ પનીરનો ઉપયોગ કરે, તો તેનો ભાવ એનાલોગ પનીરની આસપાસ જ રહે છે. અમે જે મીડિયમ-ફેટ પનીર વાપરીએ છીએ તે એનાલોગ પનીર કરતાં માત્ર ₹30થી ₹40 જેટલું જ મોંઘું હોય છે. આથી આ પ્રતિબંધની મુખ્ય અસર ઢાબા અને લારીવાળા પર પડી શકે છે. તે લોકો કોસ્ટ-ટુ-કોસ્ટ જાળવવા માટે તેમજ બગાડ ઘટાડવા માટે એનાલોગ પનીરનો વધુ ઉપયોગ કરતા હોય છે, કારણ કે એનાલોગ પનીર જલ્દી ખરાબ થતું નથી.સરકારના આ નિર્ણય અંગે અમે હોટેલ સંચાલકોના પણ મંતવ્ય જાણ્યા હતા. સુરતમાં 10 વર્ષથી ફાસ્ટફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વિનાયકભાઈએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા સ્પર્ધકો સામે નિર્ણય યોગ્ય છે અને માર્કેટમાં વ્યાજબી રેટ્સ નક્કી થશે.અમદાવાદમાં ધ ગ્રાન્ડ ભગવતી હોટલના સંચાલક નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, સરકારે આ ખૂબ જ સારું કામ કર્યું છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હવે ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાથી લોકોની હેલ્થ સાથે ચેડા નહીં થાય. અત્યારના લોકો હેલ્થને લઈને ખૂબ જ સજાગ થઈ ગયા છે.વડોદરામાં હોટેલ માલિક બાલકૃષ્ણ શાહે જણાવ્યું હતું કે, અસલી પનીર અને એનાલોગ પનીરના ભાવમાં બહુ મોટો ફરક પડે છે. અસલી પનીર ₹320થી ₹335 પ્રતિ કિલો આવે છે, જ્યારે એનાલોગ પનીર ₹210થી ₹220માં મળે છે. એટલે કે કિલોએ ₹100થી ₹120નો તફાવત હોય છે. જે લોકો સસ્તું વેચતા હોય તે જ સસ્તું પનીર શોધે છે. એનાલોગ પનીરના પ્રતિબંધથી થાળી કે પનીરના સબ્જીના ભાવમાં વધારો નહીં થાય કે કોઈ અસર નહીં થાય.આ નિર્ણય બાદ હવે સુરતમાં દૂધની દૈનિક ડિમાન્ડમાં મોટો વધારો થવાની શક્યતા છે. અત્યાર સુધી સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં એનાલોગ પનીર તથા ચીઝ બનાવવા માટે દૂધના બદલે વનસ્પતિ ઘી કે પામ ઓઇલ જેવા ખાદ્ય તેલોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ બાદ તમામ વેપારીઓ અને ઉત્પાદકોએ પનીર તથા ચીઝ બનાવવા માટે શુદ્ધ દૂધનો જ ઉપયોગ કરવો પડશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં જ દૂધની માગમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. હાલના આંકડા મુજબ સુરત શહેરમાં સુમુલ ડેરી, વિજય ડેરી તેમજ મહારાષ્ટ્રથી આયાત કરવામાં આવતા દૂધ મળીને પ્રતિદિન 15 લાખ લિટરથી પણ વધુ દૂધનો સપ્લાય કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે પ્રતિબંધિત એનાલોગ ઉત્પાદનોની જગ્યાએ અસલી પનીર-ચીઝ બનાવવા માટે માત્ર શુદ્ધ દૂધનો જ ઉપયોગ શરૂ થશે, ત્યારે દૂધની દૈનિક વપરાશનો આ આંકડો આગામી દિવસોમાં ઘણો ઊંચો જઈ શકે છે.
#🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🏥 હેલ્થ અપડેટ્સ #🥗 પોષ્ટીક આહાર