c.j. jadav
692 views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           એમ કરતાં કેટલાક દિવસ વીતી ગયા પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી તો ઉતાવળા થકા મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા. જે, હે સ્વામિન્ ! તમો રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. ત્યારે અમો તમારી વૃત્તિ ભેગી અમારી વૃત્તિ મેળવીને રામાનંદ સ્વામીનાં દર્શન તમારી કૃપાથી કરીશું. પછી જ્યારે સ્વામી ધ્યાન કરવા બેઠા તે વખતે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તો અન્તર્દષ્ટિ કરીને રામાનંદ સ્વામીનું દર્શન શ્રીભુજનગરમાં ગંગારામ મલ્લને ઘેરે યથાર્થ કરતા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે બ્રહ્મચારી ! કહો, સ્વામીની મૂર્તિ કેવી છે ? ત્યારે બોલ્યા જે, રાતાં કમળ જેવાં બે ચરણ છે. અને બે પાનીથી આરંભીને અંગુઠા પર્યંત તે ચરણમાં મોટી ઉભી ઉર્ધ્વરેખાઓ છે. અને મૂર્તિ ઘણી પુષ્ટ છે. અને શ્વેત ધોતી પહેરી છે. ને સુધા ગોરા નહીં તેમ સુધા શ્યામ પણ નહીં, લગારેક ભીનેવાન મૂર્તિ છે. તેવું સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પોતાના મનમાં વિચાર કર્યો જે, હજી તો રામાનંદ સ્વામીનું પ્રત્યક્ષ દર્શન થયું નથી અને જેવી સ્વામીની મૂર્તિ છે, તેવીજ વર્ણન કરી દેખાડી, માટે આ બહુ મોટા છે અને નિશ્ચય કોઇ ઇશ્વરનો અવતાર છે, કાં તો રામાનંદ સ્વામી બીજે સ્વરૂપે આપણી પરીક્ષા લેવા આવ્યા છે. એમ જાણીને પગે લાગતા હતા. હે ભાઇ ! શ્રીનીલકંઠ બ્રહ્મચારી વનમાંથી જ્યારે શ્રીલોજપુર આવ્યા ત્યારે તપે કરીને નાડીઓ બહાર દેખાતી હતી.અને શરીર બહુ કૃશ હતું. અને જો સ્નાન કરવા પધાર્યા હોય તો પાછા જાયગામાં આવવાની કંઈ ખબર રહેતી નહીં. અથવા રસ્તામાં ચાલતાં કંઇ ઠેસ વાગે તો તેની પણ સુરત રહે નહીં.સ્વામી આદિક સર્વે સંતને એમ વાત કરે જે, હે સંતો ! જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મને તો હથેળીમાં જળના ટીપાની જેમ દેખું છું. અને તમારું મન જ્યાં જ્યાં જાય છે તેને પણ હું દેખું છું. એવી રીતે પોતે અદ્ભુત સામર્થ્યવાળા હતા તો પણ પોતે સ્ત્રી માત્રનો ત્યાગ રાખતા. અને જો કોઈ સ્ત્રી ઉપરવાસ નીકળી હોય અને તેના દેહની ગંધ આવે તો, તે દિવસે પેટમાં અન્ન રહે નહીં. એવા મહા વૈરાગ્યવાન અને અતિ સમર્થ હતા. અને જે જે સારૂં પદાર્થ હોય તેને અતિ તુચ્છ અને માયિક જાણીને પોતાને બંધન કરવા સમર્થ નથી. છતાંપણ તેનો અતિશય ત્યાગ રાખતા. અને ભાગવત ધર્મ પ્રવર્તાવવા માટે પોતે પ્રગટ થયા છે માટે જો એવો ત્યાગ પોતે ન રાખે તો બીજામાં પણ એમ પ્રવર્તે કારણ કે, ગીતામાં એમ કહ્યું છે જે, શ્રેષ્ઠ એવો જે પુરુષ થયો તે જે જે આચરણ કરે છે તે તે આચરણને બીજો મનુષ્ય કરે છે. અને તે શ્રેષ્ઠ પુરુષ જે જે પ્રમાણે કરે છે તે તે પ્રમાણે લોક અનુસરે છે.                       🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ