c.j. jadav
661 views
🍃🍃🌼🍃🍃 🥀ફાગણ સુદ - ૧૧ આમલકી એકાદશી.                  રાજા  માંધાતા વશિષ્ઠમુની ને પૂછે છે હે ભગવન ? આપ મને આ ફાગણ સુદ - ૧૧ ના વ્રતની કથા કહેવાની કૃપા કરો. તથા આ વ્રતનું શું પુણ્ય મળે તે પણ મને કહો.              વશિષ્ઠજી કહે છે હે રાજન ? ફાગણ સુદી - ૧૧ એકાદશી નું નામ છે આમલકી એકાદશી. આ એકાદશીનું વ્રત મહાપાપોનો નાશ કરનારું  છે. મોક્ષ આપનારું  છે. આ વ્રત કરનારને એક હજાર ગાયોનું દાન આપવાનું પુણ્ય મળે છે.              હે રાજન ? વૈદીશ નામે સુંદર મોટું શહેર હતું. તે શહેરમાં ચારેય વર્ણના લોકો સુખ પૂર્વક રહેતા હતા. અહીં ચૈત્રરથ નામે સોમવંશી રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનિષ્ઠ અને સત્યપ્રતિગ્ય હતો. શાસ્ત્ર અને શસ્ર વિદ્યામાં કુશળ હતો. તેનામાં દશ હજાર હાથીનું બળ હતુ. પ્રજા સર્વ રીતે સુખી હતી. કોઈ લોભી કે નિર્ધન ન હતું. બધી પ્રજા વિષ્ણુ ભક્તિ કરનારી હતી. રાજા અને પ્રજા બધાય વર્ષની બધી એકાદશીના વ્રત ઉપવાસ અને જાગરણ કરીને વિધિ પૂર્વક કરતા. બધાય નિરોગી હતા. ક્યારેય દુષ્કાળ પડતો નહિ.             એકવાર ફાગણ સુદ આમલકી એકાદશી આવી. આખા  શહેરમાં બધાએ નિયમથી ઉપવાસ કર્યો. રાજાએ અને પ્રજાએ નદીમાં સ્નાન કરીને દેવાલાયમાં જઈને સુગંધી જળથી ભરેલો, પંચ રત્ન મુકેલો , ચંદન વાળો ઘડો તેની સ્થાપના કરી. પરશુરામજીની મૂર્તિને નમસ્કાર કર્યા. પછી આમળાના વૃક્ષને કહ્યું હે આમળા ? તમે બ્રહ્માજી થી ઉતપન્ન થયા છો. તમે પરશુરામ દ્વારા પુજીત છો તેથી હું આપને પ્રદક્ષિણા કરું છું. આવી રીતે બધાય પૂજન - ભજન - કીર્તન કરે છે ત્યાં આખા દિવસનો ભૂખ્યો એક પારધી ત્યાં આવ્યો. અહીં ઘણા માણસો વિધિ પૂર્વક પૂજન કરતા હતા. વિષ્ણુભગવાનની મૂર્તિ , સ્થાપિત કરેલો ઘડો , આમળાનું વૃક્ષ આ બધું જોયું. તેથી તે ત્યાં રોકાયો. તેણે કથામાં બધું  મહાત્મ્ય સાંભળ્યું. આમ આખી રાત બધા માણસો સાથે તે પારધીને પણ જાગરણ થયું.            સવારે બધા માણસો સ્નાન કરીને પોતપોતાના ઘરે ગયા. પારધી પણ ઘરે ગયો ને શાંતિથી ભોજન કર્યું. પારધીથી અનાયાસે આમલકી એકાદશીનું વ્રત થઈ ગયું. પછી જ્યારે તેનું આયુષ્ય પૂરું થયું ત્યારે તેને તે પારધીનું શરીર છૂટી ગયું ને આ આમલકી એકાદશીના વ્રતના પુણ્યથી તે જયંતિ નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો. તેનું નામ વસુરથ. આ વસુરથ રાજા ના રાજ્યમાં એક લાખ ગામ હતા. ધન - ધાન્ય અને ખૂબ જ સમૃદ્ધિ હતી. રાજા પણ ધર્મનિષ્ઠ અને વિષ્ણુભક્ત હતો.           એકવાર વનમાં જતાં ભૂલો પડ્યો. રાત્રી પડી ગઈ ને માર્ગ મળ્યો નહિ તેથી તે વનમાં જ એક સલામત જગ્યાએ સુઈ ગયો. તે વનમાં રહેનારા કેટલાક મલેચ્છો આવ્યા જે તેના પૂર્વના વૈરી હતા. તે બધા હથિયારોથી રાજાને મારવા લાગ્યા. ખબ જ મારીને થાકી ગયા પરંતુ વસુરથને કાંઈ જ થયું નહિ. આથી મલેચ્છો બધા દિન જેવા થઈ ગયા.            એટલામાં રાજાના શરીરમાંથી સુંદર સ્ત્રી નીકળી. ચંદન ચરચેલું ને દિવ્ય અલંકારો ધારણ કરેલા. હાથમાં ચક્ર હોવાથી કાળ રાત્રી જેવી જણાતી હતી. તેણે બધા મલેચ્છોને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મલેચ્છોને નષ્ટ થયેલા જોયા. તેથી મનમાં વિચાર કરે જે આ મારી રક્ષા કરનારું કોણ હશે ? ત્યાં આકાશવાણી થઈ કે તારી રક્ષા કરનાર ભગવાન નારાયણ સિવાય બીજું કોઈ નથી. પછી તે રાજા  સકુશળ પોતાના નગરમાં આવ્યો. ઘણા વર્ષ રાજ્ય સુખ ભોગવી ને વિષ્ણુ લોકમાં ગયો. આવી રીતે જે કોઈ આમલાકી એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં અને પરલોકમાં મહાસુખ પામે છે.            આવી રીતે બ્રહ્માંડપુરાણમાં ફાગણ સુદ - ૧૧ આમલકી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.                   🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ