🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
બાલાજોગી ચાલ્યા તે કેટલાક દિવસ વિત્યાબાદ એક મોટું શહેર આવ્યું. તે શહેરમાં એક મોટું મંદિર હતું તેમાં જઈને પોતે ઉતારો કર્યો. ત્યારે તે મંદિરની ગાદી ઉપર એક આચાર્ય બેઠેલા હતા તેમને શ્રીબાલાજોગીએ જઈને એમ કહ્યું જે, આ દેહમાં સુષુમ્નાનાડી ક્યાં રહે છે? અને તેમાં પ્રવેશ કેવી રીતે થાય છે? ત્યારે તેમણે કહ્યું જે, એ વાતને તો આગળ અમારા ગુરુ જાણતા હતા અને હવે તો એ વાતની અહીં કોઇને ખબર નથી. તેવું સાંભળીને તે આચાર્યના શિષ્ય બોલ્યા જે, તમો આજે અહિં આવ્યા છો અને આવો પ્રશ્ન પૂછીને અમારા ગુરુની લાજ લીધી. ત્યારે પોતે બોલ્યા જે, ગુરુનું પ્રયોજન તો એજ છે જે, શિષ્યના સંશયને ટાળે તે ગુરુ કહેવાય. તેવું સાંભળીને તે આચાર્ય સહિત તે સર્વે અતિ રાજી થયા અને બોલ્યા જે, હે બ્રહ્મચારી ! તમારો ગુરુદ્વારો કયાં છે? ત્યારે શ્રીમદ્ભાગવતનો શ્લોક બોલ્યા જે;
गुरुर्न सः स्यात् पिता न सः स्यात् ।
એ શ્લોક બોલીને કહ્યું જે, ગુરુ અને ગુરુદ્વારો એ બન્ને મિથ્યા છે. જે કાળના મુખમાંથી છોડાવે તેજ સાચા ગુરુ છે. ત્યારે બોલ્યા જે, હા, એ વાત સાચી છે, પરંતુ પુછવાની એવી રીત છે. એમ કહીને બહુ જ્ઞાની જાણીને રૂડાં ભોજન બનાવીને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને હેતે સહિત જમાડતા હતા. પછી સાંજના સમયે તે આચાર્યને મહા વિદ્વાન જાણીને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા. ત્યારે બાલાજોગીએ કહ્યું જે, જીવનું રૂપ કરો, માયાનું રૂપ કરો, અને બ્રહ્મનું નિરૂપણ કરો. અને જો ખોટા ઉત્તર કરશો તો હું સર્વને જેમ હથેળીમાં જળનું ટીપું દેખાય તેમ દેખું છું. ત્યારે બોલ્યા જે, એનાં સ્વરૂપ તો મારા ગુરુ યથાર્થ જાણતા હતા. તેવું સાંભળીને પોતાના મનમાં જાણ્યું જે, આમાં કંઈ દમ લાગતો નથી. એમ જાણીને કેટલાક દિવસ ત્યાં રહીને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવતા હતા.
🍃🍃🌼🍃🍃
#✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર