c.j. jadav
1.3K views
11 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....             વળી એક સમયે હિન્દુસ્તાન દેશમાં ગોરખપુર પરગણે નગરગામના બે પુરબીયા બ્રાહ્મણ વડોદરા શહેરમાં સયાજીરાવને ત્યાં નોકરી કરવા રહેલા હતા. તે બંને બ્રાહ્મણ હંમેશાં આપણા મંદિરમાં આવીને શ્રીઠાકોરજીનાં દર્શન કરીને ગોપાળાનંદ સ્વામીને ચમત્કારી જાણીને સભામાં બેસતા અને સ્વામીની વાર્તાઓ સાંભળતા હતા. એમ કરતાં કેટલાક દિવસ વિતી ગયા પછી તેમણે સાધુ બહુ પવિત્ર જાણીને ઠાકોરજીના થાળ કરાવીને તે સર્વે સંતને રસોઈ આપીને જમાડતા હતા. અને પોતે પણ તે ઠાકોરજીનું પ્રસાદીનું અન્ન જમ્યા તેથી પોતાનાં અંતઃકરણ શુદ્ધ થયાં. અને સ્વામીનું ઘણું માહાત્મ્ય જાણીને નિર્માની થઇ નિત્યે સેવા કરતા. ત્યારે સ્વામીએ તેમને પૂર્વના મુમુક્ષુ જાણીને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો કરીને ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. ત્યારે તેઓ સ્વામીના હાથે નિયમ ધારીને કંઠીઓ બાંધીને સત્સંગી થયા. પછી સ્વામીએ કોઠારી પાસેથી કંઠીઓ, માળાઓ તથા મૂર્તિઓ મંગાવીને એ બંનેને આપી અને પૂજા કરવાનો વિધિ સ્વામી તેમને બતાવતા હતા. પછી એક દિવસે તેમણે સ્વામીને કહ્યું જે, હે સ્વામી ! શ્રીજી મહારાજને કેવા સમજવા? ત્યારે સ્વામી હસીને એમ બોલ્યા જે, આ શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અને પોતાના અક્ષરધામ-માંથી અનંત મુક્તોને સાથે લઇને અહીં અનંત જીવોના ઉધ્ધાર માટે પધાર્યા છે. એવી રીતે સ્વામીએ શ્રીજી મહારાજના મહિમાની ઘણીક વાર્તા કરીને શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. ત્યાર પછી કેટલાક દિવસ વિતી ગયા પછી પોતાના દેશમાં જવાની તૈયારી કરીને ઠાકોરજીનાં દર્શન કરવા મંદિરમાં આવ્યા. અને ઠાકોરજીનાં ગદ્ગદ્ કંઠે પ્રેમે સહિત દર્શન કરીને પોતાની શ્રદ્ધા પ્રમાણે ભેટ મૂકીને, ત્યાં થકી સ્વામી પાસે આવીને દંડવત્ કરી, પગે લાગીને બોલ્યા જે, સ્વામિન્! હવે તો અમારા દેશમાં જઇએ છીએ અને તમો અમારા ઉપર કૃપાદ્રષ્ટિ રાખીને અંત સમયે તેડવા આવજો. ત્યારે સ્વામી બોલ્યા જે, તમો બન્ને જણ આવો ને આવો સત્સંગ રાખીને શ્રીજી મહારાજનું સુખેથી ભજન કરજો એટલે શ્રીજી મહારાજને સાથે લઇને તેડવા આવીશું. એવી રીતનો આશીર્વાદ દઇને બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલી એક દોહા-ચોપાઈની શિક્ષાપત્રી તથા બ્રહ્મવિલાસ તથા વિવેકચિંતામણી એ ત્રણ ગ્રંથ આપીને બોલ્યા જે, આ ત્રણ ગ્રંથ નિત્ય પ્રત્યે વાંચીને મનન કરજો. એટલે તમારૂ પરમ કલ્યાણ થશે. અને અયોધ્યાપુરીથી બે યોજન ઉત્તરમાં છપૈયાપુરને વિષે શ્રીજી મહારાજે પોતે શ્રીધર્મભક્તિને ઘેર જન્મ ધારણ કર્યો છે, તે જન્મસ્થાનકનાં દર્શન કરીને તમારા ગામ જજો. તમોને કંઈક ચમત્કાર તે છપૈયાપુરના મંદિરમાં જણાશે. એમ કહ્યું ત્યારે તે સાંભળીને બહુ રાજી થયા અને વિનંતીપૂર્વક પગે લાગીને ચાલ્યા તે કેટલેક દિવસે છપૈયાપુરને વિષે આવ્યા અને ત્યાં નારાયણ સરોવરમાં વિધિપૂર્વક સ્નાન કરીને મંદિરમાં આવીને ઘનશ્યામ મહારાજનાં દર્શન કર્યાં કે, તુરત સર્વે મૂર્તિઓમાંથી તેજના અંબાર નીકળવા માંડયા તે બધાય મંદિરમાં તેજ ભરાઇ ગયું અને ત્યાં સ્વામીને પણ મહાઅલૌકિકરૂપે દેખ્યા, એવું થોડીવાર તેજમાં દર્શન થયું. પછી તે સર્વે તેજ પોતપોતાને વિષે સમાવી લીધું. તેવું મહાઅલૌકિક આશ્ચર્ય જોઈને આનંદ પામતા થકા તે તીર્થમાં કેટલાક દિવસ રહીને, નવા થાળ કરાવીને ઘનશ્યામ મહારાજને જમાડીને રાજી કરતા હતા. પછી છાપો લઈને પોતાને ગામ ગયા. તેમાંથી એક જણ કલકત્તામાં જઇને ગંગાના પુલની બાજુના પરામાં મોટો અમલદાર થયો અને તેની આયુષ્ય ખૂટવાથી તેને એક દિવસ બહુ તાવ આવ્યો. ત્યારે સ્વામી શ્રીજી મહારાજને લઇને અનંત વિમાન સહિત આવ્યા અને દર્શન દઈને બોલ્યા જે, હે રામરતન ! ચાલો. ત્યારે તેણે બે હાથ જોડીને કહ્યું જે, હે સ્વામી ! આ તમારી આપેલી શ્રીજી મહારાજની પૂજા તે મારી પાસે છે તે મારો દેહ પડ્યા પછી એ પૂજાની સેવા કોણ કરે ? અને મારૂં ગામ અહીંથી સાતસો ગાઉ દૂર છે.માટે હે સ્વામી ! કૃપા કરીને તે ગામમાં જઈને મારો મોટો પુત્ર રામઅવધ છે તેને આ પૂજા આપીને કહેજો જે, તારા પિતાને તો અમો પ્રબોધિની એકાદશીના દિવસે કલકત્તામાંથી અમારા અક્ષરધામમાં તેડી ગયા અને તમો સર્વે સ્નાન કરો અને આ પૂજાની સેવા નિત્યે નિયમ પૂર્વક કરો. એમ કહેજો એટલે અન્ન વસ્ત્ર સુખેથી મળે અને સાડા નવસો રૂપીયાની સોનામહોરો વડોદરાથી લાવીને બળદ બાંધવાની ગમાણના ખૂણામાં ભીંતની સમીપે ઘાલી છે તે કાઢી લે. આ સર્વે સમાચાર કૃપા કરીને કહી આવો અને પછી મને તેડી જાઓ. તેવું સાંભળીને સ્વામી તેના કહેવા પ્રમાણે કરીને તેડી ગયા.                           🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા