🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
હે રામશરણજી! ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે નશીદપુર શહેરમાં જતા હતા. અને તે શહેરની ભાગોળે એક મોટી વાવ હતી. તેના કાંઠા ઉપર બેસીને સ્નાન કરતા સતા પોતાનો નિત્યવિધિ કરવા લાગ્યા. તે સમયે તે ગામનો રાજા પોતાની સાથે કેટલાક સ્વાર લઇને વનમાં પાપ કરવા ગયેલો, તેથી બહુ થાકી ગયેલો એવો તે વાવ ઉપર આવીને બેઠો. ત્યારે મહાદુષ્ટ બુદ્ધિવાળો જાણીને પોતા થકી દૂર કરવા સારૂં શ્રીનીલકંઠ બ્રહ્મચારીએ પ્રેર્યો સતો, ઉભો થઈને ઘોડા ઉપર બેઠો કે તત્કાળ તે ઘોડા સહિત એમ ને એમ આકાશમાર્ગે ઉંચો ચડવા લાગ્યો, એટલે થોડેક દૂર ગયો ત્યારે પવનના ઝપાટાથી કપડાં ફાટીગયાં. અને આંખમાં ધૂળ ભરાઈ ગઈ તેથી મહા ત્રાસને પામતો હતો. તે વાતની શહેરમાં ખબર પડવાથી હજારો માણસો દોડીને જોવા માટે ગામમાંથી બહાર નીકળ્યાં, ત્યારે તો રાજાના નોકર વિગેરે સગાં-સંબંધિ બહુ ખેદ પામી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યાં. એટલે તે
સમયમાં શ્રીનીલકંઠ બ્રહ્મચારી પોતે નાસિકાગ્રવૃતિ રાખીને પોતાના આસન ઉપર બેઠા હતા. તેમને જોઈને સર્વેજન વિનંતિ કરવા લાગ્યાં જે,હે બ્રહ્મચારી ! આ બિચારો રાજા ઘોડા સહિત આકાશમાં ઉંચો બહુ દુઃખ પામે છે. તેના ઉપર દયા કરીને સુખી કરો. આવું વચન સાંભળીને પોતે સંકલ્પ કર્યો કે તત્કાળ તે રાજા ઘોડા સહિત નીચે ઉતરીને પ્રેમમગ્ન થઇ, શ્રીનીલકંઠ બ્રહ્મચારી પાસે આવીને નમસ્કાર કરવા લાગ્યો. અને સર્વેના સાંભળતાં બોલ્યો જે, આ બાલાયોગીએ મારા ઉપર દયા કરીને આકાશમાં મારી રક્ષા કરીને અહીં ઉતારી લાવ્યા. તેવું સાંભળીને સર્વે મહા વિસ્મય પામી ગયાં. અને અતિ નિર્માની થઈને પગે લાગતાં હતાં. ત્યાર પછી તે રાજા શ્રીનીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યો જે, હે બાલાયોગી ! તમો મારા દરબારમાં પધારો અને દયા કરીને ભોજન કરો. ત્યારે બોલ્યા જે, હે રાજન્ ! તેં ઘણું પાપ કર્યું છે. માટે પાપીના દરબારમાં અમો જતા નથી. એવું સાંભળીને તે સર્વે જન તથા રાજા શ્રીબાલાયોગીના કહેવા પ્રમાણે પાપ ન કરવું એવો નિયમ રાખતા હતા. ત્યારે પ્રસન્ન થયેલા બ્રહ્મચારી રાજાના દરબારમાં ગયા. ત્યારે રાજા દિલગીર થઈને એમ બોલ્યો જે, હે કૃપાનાથ! મારા ઉપર દયા કરીને દરબારમાં ભોજન કરો. એમ કહીને ઘરમાં જઈને પોતાની રાણી પ્રત્યે બોલ્યો જે, તમો શ્રદ્ધાપૂર્વક મન, કર્મ વચને કરીને આ બાલાયોગીની સેવા કરો. અને રૂડાં ભોજન કરીને હેત સહિત જમાડો. એવું પોતાના સ્વામીનું વચન સાંભળીને રાણી રસોઈ બનાવીને બ્રહ્મચારી તથા રાજાને જમાડતાં હતાં. પછી ચળુ કરીને રાજાએ સહિત શ્રીનીલકંઠ બ્રહ્મચારી આસન ઉપર આવીને બિરાજ્યા. ત્યારે સમગ્ર રાણીઓ તથા રાજા હાથ જોડીને બોલ્યા જે, હે બાલા બ્રહ્મચારી ! તમો અમારા ઉપર કૃપા કરીને અમારી ચાર કન્યાઓ છે તે ગ્રહણ કરો, અને અમારા દરબારમાં રહેતા થકા રાજઅધિકાર ભોગવો. ત્યારે બોલ્યા જે, જેમ ભગવાનની મરજી હશે તેમ થશે, તમે જમી આવો. પછી રાણીઓ તથા કન્યાઓ સરવે જમવા સારૂ રસોડામાં ગયાં. ત્યાંતો દિવ્ય દેહે કરીને ભક્તિમાતા તથા ધર્મદેવ તે પોતાના પુત્રરૂપે જે બાલાજોગી તેમની ઇચ્છાથી ભોજન કરીને અદ્રશ્ય થયાં. તે મહા આશ્ચર્ય જોઈને તે રાણીઓ બાલાજોગી પાસે આવીને તે વાત કહેતાં હતાં. ત્યારે બોલ્યા જે, એતો અમારાં માતાપિતા સદાય અમારી સાથે રહે છે. તે તમારો ભાવ જોઈને જમવા માટે આવ્યાં હતાં. એમ બોલ્યા. પછી રાત્રિ પડી એટલે બાલાજોગીને આસન પાથરી આપીને તે ઉપર સુવડાવ્યા અને રાજા પોતે મહેલમાં ગયો. ત્યારે સર્વેને નિદ્રામાં લય થયેલાં જાણીને બાલાજોગીએ જાણ્યું જે, આમાંથી બન્ધન થશે. એમ જાણીને પોતાનો સામાન સર્વે લઇને ત્યાંથી ચાલી નિસર્યા. ત્યારે દરવાજે ઉભેલા પહેરેદારો સર્વે સમાધિમાં સ્થિર થઇ ગયા અને દરવાજાનાં તાળાં પણ એની મેળે ઉઘડી ગયાં. એવી રીતે નિરબંધ એવા બાલાજોગી તે ત્યાંથી તત્કાળ ચાલી નીકળ્યા. પછી સવારે રાજાને ખબર પડી, તેથી પોતાની રાણી તથા પોતે રાજા ઘણું કલ્પાંત કરતાં સતાં, હેત પૂર્વક શ્રીનીલકંઠ બ્રહ્મચારીને શોધવા લાગ્યાં અને બોલ્યાં જે, હે બાલાયોગી ! તમો અહીંથી ક્યાં ગયા ? એવી રીતે ખોળતાં ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ વિતી ગઇ. પરંતુ કયાંય પત્તો લાગ્યો નહીં. ત્યારે અતિ સ્નેહના ભર્યા રાજાએ સહિત રાણી શ્રીનીલકંઠ બ્રહ્મચારીની ઇચ્છા થકી પોતાના દેહનો ત્યાગ કરીને અક્ષરધામને પામતાં હતાં.
🍃🍃🌼🍃🍃
#✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗