c.j. jadav
891 views
1 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         રામશરણજી ! વળી એક સમયે શ્રીજી મહારાજ શ્રીભુજ-નગરમાં ગંગારામભાઈના ઘેર બિરાજમાન હતા. તે સમયે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમો છપૈયાપુરને વિષે ધર્મભક્તિને ઘેર જન્મ ધારણ કર્યો. તે જન્મ ધારણ કરીને ત્યાં અનંત પ્રકારનાં બાળ-ચરિત્ર કર્યા તથા અમોને યજ્ઞોપવિત દીધી તથા અમારાં માતાપિતા ને દેહ ત્યાગ કરાવીને અમો વનવિચરણ કરવા માટે નીકળ્યા તે જનકપુરી થઈને, ફરતા ફરતા હિમાલયની ઝાડી ઉલ્લંઘીને પુલહાશ્રમને પામ્યા. અને ત્યાં ગંડકી નદીને કીનારે જ્યાં ભરતજીએ તપ કર્યું છે. ત્યાં અમો એક પગે ઉભા રહીને બાહુ ઉંચા રાખીને કેટલાક માસ તપ કર્યું, ત્યારે અમારા ઉપર સૂર્યનારાયણ પ્રસન્ન થયા. તે થકી વર પામીને ચાલ્યા તે કેટલાક દિવસે ફરત ફરતા નવલખા પર્વત ઉપર ચઢ્યા અને ત્યાં નવલાખ જોગી અમારે અર્થે તપ કરતા હતા તેમને સિદ્ધગતી આપીને ત્યાં થકી ચાલ્યા, તે શ્રીજગન્નાથપુરીમાં આવ્યા અને ત્યાં કેટલાક પૃથ્વીના ભારરૂપ અસુરોને પરસ્પર મોહ પમાડીને નાશ કરતા થકા ચાલ્યા, તે દક્ષિણ દેશને ઉલ્લંઘીને રૈવતાચલ પર્વતની છાયામાં પીપલાણા ગામને વિષે શ્રીરામાનંદ સ્વામીને મળ્યા. એવી રીતે ઘણીક લીલાની વાર્તા કરીને મૌન રહ્યા. ત્યારે સ્વામીએ જાણ્યું જે, મેં પ્રશ્ન પૂછયો તેનો ઉતર ન કર્યો અને આતો મહારાજે બીજી વાત કરી. ત્યારે સ્વામીએ ફરીથી પૂછ્યું જે, હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજે પ્રથમ જેવી લીલાની વાર્તા કરી હતી તેવીજ રીતે વળી ફરીથી તેની તે વાર્તા કરતા હતા. છતાં પણ સ્વામીને સમજણ પડી નહીં. ત્યારે અતિવૃદ્ધ સદાનંદ સ્વામીએ કહ્યું જે, હે સ્વામી !શ્રીજી મહારાજે કેવી રૂડી શાંતિ થવાના ઉપાયની વાર્તા કરી પણ તમોને સમજણ ન પડી. જુઓને, પૂર્વે પણ શ્રીવ્યાસ મુનિએ સત્તર પુરાણ કર્યાં પરંતુ પોતાને શાંતિ થઇ નહીં. ત્યારે નારદજીએ કહ્યું જે, તમોએ શ્રીકૃષ્ણ ભગવાનનાં બાળ ચરિત્રોનું વર્ણન કર્યું નથી. ત્યાં સુધી તમોએ કંઇ કર્યું નથી. તેવું સાંભળીને શ્રીમદ્ભાગવત કર્યું. ત્યારે પોતાને શાંતિ થઇ. તેમ આપણે પણ શ્રીજી મહારાજનાં બાળ-ચરિત્રનું અંતરમાં ચિંતવન કરવું અને તે લીલા નિત્યે ગાવી અને સાંભળવી, એવી ઘણીક મહિમાની વાર્તા કરતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા બરાબર સમજાતી હતી. ત્યારે પોતે જાણ્યું જે, આ શ્રીજી મહારાજનાં બાળચરિત્રમાં જેવી શાંતિ છે તેવી શાંતિ કોઇ પદાર્થમાં નથી. એમ જાણીને શ્રીજી મહારાજને અતિ પ્રેમમગ્ન થઇને દંડવત્ સ્તુતિ કરીને પોતાનો અપરાધ ક્ષમા કરાવીને, બે હાથ જોડીને પગે લાગતા હતા. ત્યાર પછી શ્રીજી મહારાજના જન્મથી આરંભીને સ્વધામમાં પધાર્યા ત્યાં સુધીનાં ચરિત્રનું શાસ્ત્ર ધર્માખ્યાન પોતે કરતા હતા. હે રામશરણજી ! આ શ્રીજી મહારાજનાં બાળચરિત્ર જે કોઈ જન રોગાદિકે કરીને મહા કષ્ટને પામેલો હોય તથા રાજ્યસમૃદ્ધિએ કરીને અવરાઇ ગયેલો હોય તે સર્વેજન શ્રદ્ધાએ સહિત પ્રેમમગ્ન થઈ ગાશે, સાંભળશે તથા જે કોઈ પ્રાણી અતિશય પાપી હોય તેના કાનમાં અજાણ્યે શબ્દ પડશે એટલે તેની સર્વે પિતૃઓ સહિત ઈકોતેર પેઢીનો ઉદ્ધાર થશે. અને અત્યંત મોક્ષ જે અક્ષરધામ તેને પામશે.                               🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ