🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! એક સમયે ગ્વાલીયર પરગણે, ગામ બામરોલીનો ગિરધારી નામનો ગુર્જર સારો સત્સંગી શ્રીજી મહારાજને મળેલો હતો. તે પોતાની સ્ત્રી સાથે લઈને પોતાના સાસરેથી તેડીને પોતાના ઘેર આવતાં રાત પડી ગઇ. એટલે વચ્ચે કોઇ એક ગામમાં એક રજપુતના ઘેર બન્ને જણ રાત્રિ રહ્યાં. ત્યારે તે સ્ત્રીને જોઇને તે રજપુતની નજર બગડી. પછી તે સવારે વહેલા ઉઠીને તે બે સ્ત્રી-પુરુષ ચાલ્યાં. ત્યારે અંધારું ઘણું જોઈને સ્ત્રી બોલી જે, હજી તો રાત્રી વધારે છે. અને તે રજપુતની નજર મને સારી જણાઈ નથી. માટે માર્ગમાં જતાં કંઇ વિઘ્ન થશે, તેથી સવાર થવા દઈને ચાલો. અગર કોઇક વળાવો સાથે લઇને ચાલો. એમ બોલી પરંતુ તે બાઇની વાત નહીં માનીને તે ગિરધારી તો પોતાની હોંશીયારી જણાવીને આગળ ચાલ્યો. ત્યારે તે બાઇ પણ અંતઃકરણમાં શ્રીજી મહારાજનું સ્મરણ કરતી સતી વાંસે ચાલી. તે પાંચ ગાઉ ગયાં ત્યારે એક નદી આવી. તેમાં સ્નાન કરીને પૂજા કરીને ટીમણ કરવા બેઠાં. તે સમયે પેલો રજપુત મોટા ઘોડા ઉપર બેસીને હાથમાં મોટો ભાલો લઈને ઉતાવળો થકો આવ્યો. તેને જોઈને બાઈ તો પોતાનો ધર્મ સાચવવા માટે એક શિવજીના મંદિરમાં પેસી ગઇ અને અંદરથી સાંકળ વાસી દીધી. ત્યારે ગિરધારીના પાસે તે રજપુત આવીને છાતીમાં ભાલો મારીને તેને મારી નાખ્યો. એટલે ગિરધારી તો એમને એમ શ્રીજી મહારાજને સંભારતો થકો પોતાનો દેહ મૂકી દીધો. પછી તે રજપુત મંદિરની સમીપે જઈને બોલ્યો જે, હે સ્ત્રી! તું બારણું ઉઘાડ. તારા પતિને તો મેં મારી નાખ્યો. તું કંઇ ચિંતા કરીશ નહીં. એમ બોલ્યો. તે મહા કઠોર વચન સાંભળીને તે બાઈના અંતઃકરણમાં મહાત્રાસ ઉત્પન્ન થયો. જે, હવે મારા પતિને તો તેણે જરૂર મારી નાખ્યો હશે. માટે હે શિવજી ! ભોળાનાથ! હે દયાળુ ! હું તો તમારા શરણે આવી છું અને આ પાપી મારી લાજ લેવા માટે આવ્યો છે. હું તો પતિવ્રતા છું. એવી રીતે રોતી થકી પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ તેમનું ઉચ્ચ સ્વરે સ્મરણ કરી બોલી જે, હે શ્રીજી મહારાજ ! તમે આ સમયે મારી સહાય કરો, નહી તો હું જીભ કરડીને મરીશ. પણ મારો પતિવ્રતાનો ધર્મ હું નહીં મુકું. હે મહારાજ ! તમે કયાં ગયા ? આવો ઉતાવળા, એવી રીતની શ્રીજી મહારાજની પ્રાર્થના કરે છે, એટલામાં તો તે બાઈની પ્રાર્થના સાંભળીને ઉતાવળા થકા આવીને તે રજપુતને મદનો ભરેલો જોઇને તેને મંદિરના થાંભલા સાથે સજ્જડ પત્થર જેવો કરીને તે બાઇને પોતાનું દર્શન આપીને બોલ્યા જે, તારો પતિ મરી ગયો છે. પરંતુ તેની ઉપર વસ્ત્ર ઓઢાડીને પાંચ પરિક્રમા અમારૂં નામ લઇને ફરજે એટલે નેત્ર ઉઘાડીને તુરત બેઠો થશે. પછી તેના ઘોડા ઉપર બેસીને તમો બન્ને જણ તમારે ઘેર જજો. અને સુખેથી અમારૂં ભજન કરજ્યો. રજપુતને તો અમોએ પત્થર કરી નાખ્યો છે એટલે તેનાથી કંઇ ડરશો નહીં. તેનો જીવ નીકળી ગયો છે એમ કહીને તે બાઈને વિશ્વાસ આવવા માટે તે સાંકળ પોતે ઉઘાડીને અદ્રશ્ય થઇ ગયા.તેવો પ્રગટ શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને તે બાઈ આનંદ પામતી થકી બહાર આવીને શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે પોતાના પતિના ઉપર કપડું ઓઢાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ પોતાના મુખેથી ઉચ્ચારણ કરતી થકી પરિક્રમા ફરવા લાગી. પછી કેટલોક સમય થયો એટલે તે ગિરધારી આળસ મરડીને બે નેત્ર ઉઘાડીને બેઠો થયો અને શ્રીજી મહારાજના અક્ષરધામની વાર્તા કહીં. તે સાંભળીને તે બાઈ પણ પોતાની જે રીતે શ્રીજી મહારાજે રક્ષા કરી તે વાત પણ કહેતી હતી. તે સાંભળીને આનંદ પામતો થકો તે ગિરધારી તે ઘોડા ઉપર બેસીને પોતાના ગામ જઈને તે વાર્તા રૂપી ચરિત્ર સર્વેને કહેતો હતો.
🍃🍃🌼🍃🍃
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗