🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી! વળી એક સમયે લખનૌ પરગણે, ગામ નિમાપુરમાં એક સારા ક્ષત્રિય સત્સંગી હતા. તેના ઘરમાં લાહ્ય થઇ અને ઘર ઘાસથી છાયેલું હતું તેથી અકસ્માત અગ્નિ થયો. અને તે સમયે તેની સ્ત્રીને બાળક જન્મેલું હતું અને બાઇ ઓરડામાં બાળક સહિત સૂતેલી હતી. તે ચારે બાજુ અગ્નિ જોઇને મૂંઝાઇ ગઇ અને બહાર નીકળવાના ઘણા ઉપાય કર્યા પરંતુ કયાંય નીકળવાની જગ્યા નહીં. પછી બૂમ પાડતી થકી નિરાશ થઇને રોવા લાગી અને પોતાના મનમાં જાણ્યું જે, હવે જરૂર હું મારા પુત્ર સહિત બળી મરીશ, માટે મારા ઇષ્ટદેવને સંભારવા, જેમ તેમણે ધાર્યું હશે તેમ થશે. આવી રીતની ધીરજ લાવીને તે બાઈ ઉચ્ચ સ્વરથી પોતાના ઇષ્ટદેવ જે સ્વામિનારાયણ ભગવાન તેમનું નામ લઇને પુત્રને છાતીમાં ભીડીને પાછી તે ખાટલામાં સૂઇ રહી. અને એક ગોદડું ઓઢીને શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા લાગી જે, હે ભક્તિધર્મના પુત્ર! હે ઘનશ્યામ મહારાજ ! જેમ તમોએ કુંભારના નિભાડામાં બિલાડીનાં બચ્ચાંની રક્ષા કરી હતી. તેમ આ બળતા અગ્નિ થકી બાળકે સહિત તમો મારી રક્ષા કરો. હે શ્રીજી મહારાજ ! તમોએ વળી જેમ ગજને ગ્રાહના મુખ થકી છોડાવ્યો હતો તેમ તમો મારી રક્ષા કરો. હે સહજાનંદ સ્વામી ! તમોએ વળી જેમ પ્રાદની રક્ષા કરી તેમ મારી તમો રક્ષા કરો. એવી રીતનાં શ્રીજી મહારાજનાં નામો લઇને પ્રાર્થના કરતી થકી એમને એમ બાઈને નિદ્રા આવી ગઇ. તે સમયમાં શ્રીજી મહારાજ પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને ખરા સમયે તત્કાળ આવીને તે બાઈની રક્ષા કરી અને સમીપે બેઠા. અને તે ઘર બધુંય સળગી રહ્યું એટલે તે બાઇને જગાડીને પોતાનું દર્શન દઈ, જળપાન કરાવીને બોલ્યા જે, હવે તમો કંઈ ચિંતા કરશો નહીં. આ રીતે જ અમોને સંભારજો. એમ કહીને અદ્રશ્ય થઇ ગયા. તેને થોડીકવાર થઈ એટલે બહારથી માણસો તે ઘરમાં ગયા. ત્યારે તે ઓરડામાં જઈને જુએ તો ખાટલાના પાયા પણ બળી ગયેલ અને ઓઢેલાં ગોદડાં ઉપર દેવતા પડેલા તેને એક બાજુ કાઢી નાખીને જુએ છે, ત્યાં તો ગોદડું ભીનું જોયું અને તે બાઇ બોલી જે, હું તો જાગું છું. એમ કહીને બેઠી થઇ અને શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા તે સર્વેને કહી. તે સાંભળીને મહા આશ્ચર્ય પામતા હતા. તે પ્રતાપ જોઈને પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરવા લાગ્યા.
🍃🍃🌼🍃🍃
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗