🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે છપૈયા પુરમાં મોતી તરવાડી ના ઘરે ભાઈ માધવચરણ ના વિવાહ હતા. તે વિવાહની કંકોત્રી અયોધ્યાપુરીમાં ધર્મદેવના ઘરે આવી. ત્યારે તે કંકોતરી વાંચીને પોતાના બે પુત્રોને સાથે લઈને ચાલ્યા. તે રસ્તામાં આવતાં ધર્મદેવના શરીરે થોડીક તાવની કસર જણાતી હતી. તેથી ચાલી શકાયું નહિં. ત્યારે સર્વે એક વડના વૃક્ષ નીચે બેઠા, પછી રામપ્રતાપભાઈને કહ્યું જે, હે રામપ્રતાપ ! તમો પાણી લાવો, મને તરસ બહુ લાગી છે.ત્યારે ભાઈએ ચારે બાજુ એક ગાઉ ફરતાં જોયું, પરંતુ કયાંય પાણી મળ્યું નહિં. તેથી લોટો દોરી ખાલી હાથમાં લઈને નિરાશ થઈને પાછા આવતા દેખીને ઘનશ્યામ મહારાજ મનમાં વિચાર કરવા લાગ્યા જે, આ મોટાભાઈને પાણી ન મળ્યું અને દાદા બહુ તરસ્યા થયા છે. એમ સંકલ્પ કરતાં તુરત રસ્તાને કિનારે ખેતરમાં એક કૂવો માલૂમ પડતો હતો. ત્યારે તેમાંથી ભાઈ પાણીનો લોટો ભરી લાવી, ગાળીને પોતાના પિતાને જળપાન કરાવતા હતા. પછી તો જળપાન કરીને શાંતિ થઈ એટલે તે વૃક્ષ ઉપર સુડા, પોપટ, મેના વિગેરે હજારો પક્ષી બોલવા લાગ્યાં, તેના શોર થકી પાછી કસર જણાઈ. ત્યારે ધર્મદેવે કહ્યું જે, આ પક્ષીને વૃક્ષ પરથી ઉડાડી મૂકો તો ક્ષણવાર નિદ્રા આવે અને સારૂં થાય. ત્યારે ભાઇ પક્ષીઓને ઉડાડવા લાગ્યા.તે વખતે પક્ષીઓ ઉડી ઉડીને પાછાં ત્યાં ને ત્યાં બેસતાં હતાં. પરંતુ ઉડીને આઘાં ન ગયાં. ત્યારે ઘનશ્યામ મહારાજ પોતે સર્વે પક્ષીઓને સમાધિ કરાવતા હતા. ત્યારે પક્ષીઓ શાંતિથી એમ ને એમ બોલ્યા વિના બેસી રહ્યાં. પછી ધર્મદેવને બે ઘડી નિદ્રા આવી ગઇ. ત્યાર પછી ઉઠીને પાણીથી પોતાનું મુખ ધોઇને જળપાન કરીને ચાલવાની તૈયારી કરી. તે સમયે શ્રીહરિની ઇચ્છાથી તે સર્વે પક્ષીઓ તત્કાળ સમાધિમાંથી જાગીને ઉડી ગયાં. તે મહા અદ્ભુત ચરિત્ર જોઇને નાગપુર ગામના ક્ષત્રી દુનિયાસંગ તથા સાહેબદીન, છોટુ પાંડે આદિક કેટલાક જન આશ્ચર્ય પામતા સતા પોતપોતાના ખેતરમાંથી ઘરે જઈને તે વાર્તા સર્વેને કહેતા હતા. ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે છપૈયાપુરમાં આવતા હતા. અને મોતી તરવાડીએ બોલાવ્યા થકા ભોજન કરાવીને પાનબીડીઓ આપી, તે લઈને ચોતરા ઉપર બેઠા. પછી બીજા દિવસે ધર્મદેવ પોતાના બન્ને પુત્ર સહિત નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. તે સમયે પાણી થોડું હતું તેથી માછલાં આદિક જીવો તપીને સરોવરમાં મરતાં જોઇને ધર્મદેવના મનમાં ઘણી દયા આવી ગઈ અને એમ બોલ્યા જે, અરે ભગવન્ ! વરસાદને હજી વાર છે. અને આ બિચારા જીવો તાપે તપીને મરી જાય છે. એવો સંકલ્પ પોતાના પિતાનો અન્તર્યામીપણે જાણીને ઘનશ્યામ મહારાજ તળાવના વચ્ચે ઉભા રહીને પોતાના જમણા પગથી પૃથ્વી ઉપર અંગુઠો દબાવતા હતા કે તત્કાળ પાતાળગંગા ધારા રૂપે આવતાં હતાં. ત્યારે ધર્મદેવ તે પ્રવાહને ઉંચો ઉછળતો જોઈને મહા આશ્ચર્ય પામ્યા જે, આ તે શું ? ત્યારે શ્રીહરિ બોલ્યા જે, હે દાદા ! તમારા અંતઃકરણનો ઘાટ જોઈને પાતાળમાંથી ગંગાજીને અમોએ બોલાવ્યાં છે, તે જ્યાં સુધી તમારી મરજી હોય ત્યાં સુધી રાખીએ. એવું સાંભળીને પ્રસન્ન થયા થકા બોલ્યા જે, નારાયણ સરોવરમાં ત્રણ ધનુષ્યવા પાણી થાય એટલે બંધ કરો. ત્યારે તેવી રીતે પાણી ભરાઇ ગયા પછી ઘનશ્યામ મહારાજ પોતાની ઇચ્છા થકી બંધ કરતા હતા. હજારો પક્ષીઓ તરસ્યાં થયેલાં તે ભગવાનની પ્રસાદી જાણીને તત્કાળ નારાયણ સરોવરમાં આવીને જળપાન કરીને પોતપોતાની જાતીના શબ્દ બોલીને શ્રીહરિને પ્રસન્ન કરતાં હતાં. ત્યારે તેમાં કેટલાક પોપટ, મેના આદિક ચતુર પક્ષીઓને જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે દાદા ! આ પોપટમાં શુકદેવજી પોપટનું રૂપ ધારણ કરીને અમારાં દર્શન કરવા સારૂં આવ્યા છે. એવું સાંભળીને તત્કાળ પોપટ રૂપી શુકદેવજી આવીને ધર્મકુંવર પાસે બેસતા હતા. ત્યારે તે પોપટને પોતાના હાથમાં લઇને આખા શરીરે હાથ ફેરવતા થકા બોલ્યા જે, હે શુકદેવજી! તમો પાછા સત્સંગમાં આવજો. તમારૂં શુકમુનિ એવું નામ ધરાવીને મારી સમીપમાં સદાકાળ તમને રાખીશ. એમ કહીને તે પોપટને છુટો મૂક્યો. એટલે સર્વેને દેખતાં સતાં તત્કાળ તે પોપટ અદ્રશ્ય થઈ ગયો. એવું ચરિત્ર જોઇને ધર્મદેવ આદિક તે તળાવ ઉપર આવેલાં જન સર્વે મહા આશ્ચર્ય પામતાં હતાં.
🍃🍃🌼🍃🍃
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર