🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૩૩
એક શ્રી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની સારપ્ય જીવને ન રહે તેની સ્વામીશ્રી બહુ જ કાળજી કરતા હતા. આ કાળજીને કારણે ક્યારેક સ્વામીશ્રીને ન સમજનાર એમ માની બેસે કે સ્વામીશ્રી બીજા અવતારાદિકનો દ્રોહ કરે છે. પણ તેવું કશું સ્વામીશ્રીના મનમાં હતું જ નહીં. હા, એક વાત તો ખરી કે તેમના મનમાં એક શ્રીહરિ સિવાય બીજા કોઈનો ભાર હતો નહીં. પણ કોઈનો દ્રોહ કરવાનું કારણ તેમને શા માટે હોય? સર્વોપરી અને અવતારી એવા જે ભગવાન શ્રી સ્વામિનારાયણના પોતે અનાદિમુક્ત હતા, અને પોતે એમ જ કહેતા કે મુક્ત તો મૂર્તિમાં સુખ જ માણે છે, અને મુક્તનું દ્વાર લઈને મહારાજ પોતે જ સર્વે ક્રિયાઓ કરે છે. જેની આ સ્થિતિ હોય તેને કોઈનો દ્રોહ કરવાપણું રહ્યું જ ક્યાં? જેને ગીતામાં સ્થિતપ્રજ્ઞની સ્થિતિ કહેલ છે. તેવા સ્થિતપ્રજ્ઞ સ્વામીશ્રીને કહેવા તે તેમની સ્થિતિનું પૂરું વર્ણન ન કહેવાય. સ્વામીશ્રી તો તેથી પણ ઉચ્ચતર સ્થિતિમાં સદાય રહેતા હતા. તેમની સ્થિતિ અલૌકિક હતી.
મોરબીમાં આઠ દિવસ રહી બાપાશ્રી, સ્વામીશ્રી તથા સંતમંડળ ગઢડા ગયા. બળદેવભાઈ પણ તેમની સાથે ગયા.
રેલગાડીમાં તથા ગઢડામાં બાપાશ્રીની તથા સ્વામીશ્રીની વાતોનો લાભ મળ્યા જ કરતો. પોતે બધું જોઈને જ કહેતા હોય તેવી બાપાશ્રીની તથા સ્વામીશ્રીની વાતો સાંભળી બળદેવભાઈની મનની શંકાઓ નિમૂળ થઈ ગઈ, અને તેમની સાથે ઘણો સ્નેહ બંધાઈ ગયો. ગઢડાથી જૂનાગઢ, ગોંડળ, રાજકોટ થઈને પાછા મોરબી આવ્યા. ત્યાંથી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સ્વામીશ્રી, સંતમંડળ તથા બળદેવ-ભાઈ અમદાવાદ આવ્યા.
થોડા દિવસ અમદાવાદ રહીને સ્વામીશ્રી પોતાના મંડળે સહિત ગામડે સત્સંગ કરાવવા નીકળ્યા. દશક્રોઈ તાલુકાના ગામોમાં ફરતા ફરતા સ્વામીશ્રી માતર તાલુકામાં આવ્યા. નવાગામ, ગોભલજ, વડાલા થઈ સ્વામીશ્રી ઢઠાલ આવ્યા. આ દરમ્યાન સ્વામીશ્રીજ તબિયત સારી રહેતી નહીં, અને ક્રમળાના ચિહનો જણાયા. દેહનો મૂળથી જ અનાદર, તેથી દવા બરાબર થઈ નહીં, અને કમળામાંથી કમળી થઈ ગઈ. કમળીનું દર્દ સામાન્ય રીતે જીવલેણ નીવડે છે. પોતે વિચાર કર્યો જે આમે કમળી થઈ છે તે દેહ રહેવાનો નથી, માટે કચ્છમાં જઈને બાપાશ્રી પાસે દેહ ત્યાગ કરીએ. પછી અમદાવાદ આવ્યા ત્યારે ચિતારા સ્વામી હરગોવિંદદાસજી વૈદ્ય હતા તેમણે કહ્યું જે હું અમુક દવા-ભસ્મ આપું તે તમો ખાવ તો તે તમારો ક્રમળીનો રોગ મટી જાય, ને જો નહિ ખાવ તો શિયાળા-ઉનાળામાં કમળી નહીં વરતાય પણ ચોમાસામાં જરૂર દેહ પડી જશે. પણ પોતે તો બાપાશ્રી પાસે જવાનો વિચાર દઢ રાખ્યો ને દવા લીધી નહી'.
પોતાના અને સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામીના મંડળે સહિત સ્વામીશ્રી કચ્છમાં આવવા નીકળ્યા. મોરબીથી નવલખી જઈ આગબોટમાં બેઠા, આગબોટ ચાલી જતી હતી તેમાં નહેરમાં સામેથી વહાણ આવ્યું ને પવનની દિશા બદલાતા તે આગબોટ સાથે ભટકાયું અને તેનો થાંભલો આગબોટમાં ભરાયો ને આગ-બોટ આડી થઈ ગઈ! સૌએ જાણ્યું કે હમણા બૂડીશું. ત્યારે સ્વામીશ્રી આદિ સંતોએ મહારાજ અને બાપાશ્રીને સંભારવા માંડયા, ત્યાં તો એ થાંભલો ભાંગ્યો ને આગબોટ સરખી થઈ ચાલવા લાગી. બધાને થયું કે આ સાધુઓના પ્રતાપે જ આપણે બચ્યા. અંજારના એક ભાટિયા કુટુંબ મિલકત સહિત તે વહાણમાં હતા. તેમણે તો આ અદ્ભુત બચાવ થયો તેથી સ્વામીશ્રીને બહુ જ પ્રાર્થના કરી. સ્વામીશ્રી તેમના ઉપર રાજી થયા ને શ્રીહરિના પ્રતાપની વાતો કરી, બાપાશ્રીની ઓળખાણ કરાવી.
🍃🍃🌼🍃🍃
#🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗