🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૩૨
સ્વામી ઇશ્વરચરણદાસજી મહારાજની નવી નવી લીલાના વર્ણનોની જ વાતો કરે. સાંભળનારાઓને એમ જ થાય કે આટલી બધી વિગતો તેમણે વાંચી ક્યારે હશે ? અને વાંચ્યા બાદ યાદ પણ કેમ રહી હશે? કેવળ નજરે જોનાર જ એટલી વિગત યાદ રાખી શકે. વળી વાતો કરે ત્યારે જરા પણ સમય બીજા કશામાં જવા ન દે. કેવળ શ્રીજીની જ વાતો ચાલે. આગળ ઉપર પછી જ્યારે જ્ઞાન અને સિદ્ધાંતને લગતી વાતો કરવા માંડી ત્યારે ને વાતો પણ તેટલી જ છટા અને તત્પરતાથી કરતા. મૃત્યુલોક અને જીવોથી માંડીને અક્ષરધામ અને શ્રીહરિની મૂર્તિ પર્યંતની ભૂમિકાઓ અને તે તે ભૂમિકાઓના અધિપતિઓની સ્પષ્ટ વિગત કહી સંભળાવતા, અને પછી સાંભળનારાઓને આડું-અવળું પૂછી તે વિગતો કંઠસ્થ કરાવી દે ત્યારે જંપે. શ્રીહરિની ઉપાસના બાબત નેમને જે તાન અને વેગ હતાં તેવાં તાન ને વેગ ભાગ્યે જ બીજે કયાંય દેખાય છે. જુદા જુદા ધામાધિપતિઓ અને ઐશ્વયાર્થીઓના અધિકારો તથા ભૂમિકાઓ બાબત જરા પણ અચકાયા વગર સ્પષ્ટતા કરી દેતા. સાંભળનારાઓમાં કોઈને રુચશે કે નહિ તેની તેઓશ્રી ફિકર કરતાં જ નહિ. એક ગામમાં એક પ્રસંગે સભામાં વચનામૃત વંચાતું હતું. તે ઉપરથી શ્રીજીની સર્વોપરીતાની વાતનો પ્રસંગ નીકળતાં પોતે વાત કરવા લાગ્યા. તેમાંથી કેટલીક વાત ત્યાંના હરિભક્તોમાંથી કેટલાકને રુચિકર ન લાગી. તેમાં એક અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ પણ હતા. તેમણે ચર્ચા કરવા માંડી એટલે સ્વામીશ્રીએ તેના સ્પષ્ટ ઉત્તર દેવા માંડયા. તેથી તે નિરુત્તર તો થઈ ગયા, પણ પોતાનો વાંધો પકડી બેઠા; એટલે સ્વામીશ્રીને બીજાઓએ કહ્યું કે હવે વાતો બંધ રાખો. એટલે સ્વામીશ્રીએ શાંતિથી કહ્યું કે વાતો કરવા નો આવ્યા છીએ, ને કોઈને ખોટું લાગવાની બીકે બંધ કરીએ તો બીજા જેને સાંભળવી હોય તેનું શું? માટે વાતો કર્યા વગર કેમ ચાલે? એટલે તે પ્રતિષ્ઠિત ગૃહસ્થે કહ્યું કે તો પછી તે મુદ્દા સિવાય બીજી વાતો કરો. એટલે સ્વામીશ્રીએ વગર વિલંબે જ શાંતિથી કહી દીધું કે વાતો તો જે હૃદયમાંથી નીકળે તે જ કરાય. ન સાંભળવું હોય તે ઊઠી જઈ શકે. આખી સભા આ સાંભળીને આશ્ચર્યચકિત જ થઈ ગઈ સ્વામીશ્રી પોતાના નિર્ણયમાં કેવા અડગ છે. જે વ્યક્તિની સામે એક શબ્દ ઉચ્ચારવા કોઈ હિંમત ન કરે તેને પણ ચોખ્ખું સંભળાવી દીધું અને તે પણ કોઈ જાતના ગર્વ કે આવેગથી નહીં પણ વિન્રમતાથી સામાન્ય રીતે કહેતા હોય તેમ શાંતિપૂર્વક જ. આવાં તો તેમનાં ધીરજ અને દઢતા હતાં. તેમને કોઈ પ્રત્યે દ્વેષ કે અવગણના હતી જ નહીં. પણ પોતાને જે કાર્ય કરવાનું હતું તે ઉપર જ નજર રહેતી, અને તેમાં જે કાંઈ વિરોધ ઉપસ્થિત થાય તેની તદ્દન અવ-ગણના જ કરતા. પોતે તો સ્ટીમરોલરની પેઠે પોતાના માર્ગે જ જતા.
વચનામૃતો ૨૭૩ તો તેમને જિહુવાગ્રે હતાં. કયા વચનામૃતમાં કયા પ્રશ્નના જવાબમાં શું બાબત કહેવાઈ છે તે બતાવવું તેમને રમત જેવું હતું. શાસ્ત્રાર્થ કરવા આવનાર છેવટ તેમને પગે પડીને જ જતા. કદાચ સ્વામીશ્રીને અભિપ્રાય તે પૂરો કબૂલ રાખે કે ન પણ રાખે, છતાં સ્વામીશ્રીના જ્ઞાનભંડારથી તો ડધાઈ જ જતા, અને છેવટ તેઓને કહેતા સાંભળ્યા છે કે 'આપનો આટલો અભ્યાસ અમે ધાર્યો ન હતો.’ આમ દેખાવમાં કોઈને એમ ન થાય કે સ્વામીશ્રી ઊંડા અભ્યાસી હશે, છતાં જ્યારે પ્રસંગ આવે ત્યારે વાગ્ધારા છૂટે તે એટલી એકધારી ને ધોધબંધ હોય કે સામાને અવાક્ થવું જ પડે.
🍃🍃🌼🍃🍃
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર