c.j. jadav
1.3K views
1 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૭ એક મોડી રાત્રે મુક્તરાજશ્રી સૂતેલા હતા ત્યાંથી ઊઠીને માથે પાઘડી બાંધવા માંડ્યા. સ્વામી ઈશ્વરચરણદાસજી એ વખતે માળા ફેરવતા હતા. તેમણે આ જોયું, તેથી પોતે ઊઠ્યા. તે વખતે ઘડિયાળમાં જોયું તો રાત્રિનો દોઢ વાગ્યો હતો. સ્વામીશ્રી વિચાર કરે છે કે અત્યારે અડધી રાત્રે ભાઈશ્રી ક્યાં જતા હશે? એમ જાણી ભાઈશ્રી પાસે આવી પૂછ્યું. તો કહે: “સ્વામી! મારે વાડીએ જવું પડશે. ” સ્વામીશ્રી કહે: “અત્યારે?” તો કહે: “સુવર વાડીમાં પેઠા છે તે બાજરાનો બગાડ કરે છે ને છોકરાં સૂઈ રહ્યા છે. રખેવાળ છે તે બીજે ઠેકાણે ચાલ્યો ગયો છે.” સ્વામીશ્રી કહે: “એમ હોય તો ભલે પધારો.” થોડા સમય બાદ મુક્તરાજ મંદિરમાં પાછા આવ્યા. સ્વામીશ્રીને કહે: “આજ તો બીક કાઢી, એવું થયું કે અમે વાડીએ જતા હતા ત્યાં વાડીની નજીક એક ઓટો છે ત્યાં એક જન રહેતો હતો તે આડો ઊભો રહ્યો. અમારું તેજ દેખાડ્યું તેથી અંજાઈ ગયો. વાડીમાં જઈ સુવર ભગાડી, છોકરાંને જગાડી ભલામણ કરી પાછા ફર્યા તો યે એ જન તો ત્યાં જ ઊભો હતો. અમને જોઈને પ્રાર્થના કરવા માંડયો કે મારાં પાપ ઘણાં છે તેમાંથી મને છોડાવો, હું તમારે શરણે છું. અમે કહ્યું કે જા, બદ્રીકાશ્રમમાં, ત્યાં જઈ તપ કર. ત્યારે તે કહે : 'તમારું જ્યાં દર્શન થતું હોય ત્યાં મને મૂકજો !' તેથી અમને દયા આવી ગઈ તે અક્ષરધામમાં મૂકી દીધો ! ને ગામના માણસોને એ જગ્યાએ જતાઆવતાં બીક રહેતી તે ગઈ.” સ્વામીશ્રી તો જાણતા જ હતા કે સુવરને કાઢવાનું નિમિત્ત છે પણ કાંઈક અલૌકિકતા તેની પાછળ રહેલી છે. સૌ કોઈ એ વાત સાંભળી આશ્ચર્યમુગ્ધ થયા. તે અરસામાં એક દિવસ સ્વામી ઈશ્વરચરણદાસજીને આંખો દુઃખવા આવી. સ્વામીશ્રીને ગરમ વસ્તુ જમવામાં આવે તો એવું થઈ જતું. તેથી વંચાય નહિ ને પીડા થાય. તે આંખના દુ:ખાવાને કારણે એક સવારે સ્વામીશ્રી સૂઈ રહેલા હતા. મુક્તરાજ મંદિરમાં દર્શને આવ્યા ત્યારે જાણ્યું કે સ્વામીની તબિયત ઠીક નથી. સ્વામીશ્રીની પાસે જઈ ડાબો હાથ સ્વામીશ્રીના માથા પર રાખી જમણા હાથે વારા ફરતી બેય આંખો ઉઘાડી એક નજરે સામું જોઈને મુક્તરાજ બોલ્યા: “સ્વામી! તમારી આંખોમાં અમને બીજું કાંઈ દેખાતું નથી, એક શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય છે!” એમ રમૂજ કરીને કહે : “હવે તમારે પંક્તિમાં જે આવે તે મહારાજને જમાડવું, કાંઈ નહીં નડે.” તે આશીર્વાદથી સ્વામીશ્રીને આંખનો દુ:ખાવો મટી ગયો ને ફરી કદી થયો નહીં. વળી એક દિવસ સ્વામીશ્રીને કેડમાં આંટી પડેલી તે આસનમાંથી ઉઠાય જ નહીં. પડખું ફેરવતાં પણ દુઃખાવો થાય. ઉધરસ આવે તો ય વસમું લાગે. મુક્તરાજશ્રીએ આ વાત જાણી ત્યારે પોતે કેડ ઉપર હાથ ફેરવ્યો ને પૂછ્યું : "સ્વામી ! ક્યાં આંટી પડી છે? બેઠા થાઓ જોઈએ.” સ્વામીશ્રી ઊભા થયા તો જાણે આંટી પડી જ નથી તેમ થઈ ગયું. આ રીતે મુક્તરાજશ્રીને અને સ્વામીશ્રીને અલૌકિક એકતા થઈ ગઈ હતી. સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ સ્વામી ઈશ્વરચરણદાસજીની સોંપણી મુક્તરાજશ્રીને કરી હતી તેથી મુક્તરાજશ્રી સ્વામીશ્રીનું હરહંમેશ ધ્યાન રાખતા, તેમને કોઈ પણ પ્રકારનું શરીરમાં દુ:ખ જણાય તો મુક્તરાજશ્રી ખમી શકતા નહિ. તે જ રીતે સ્વામીશ્રી પણ સદ્ગુરુશ્રીના વચને મુક્તરાજશ્રીને વિષે અનન્ય ગુરુભાવ રાખતા, ને અલંચ હેત રાખતા. મુક્તરાજશ્રી પણ સ્વામીશ્રી ઉપર પ્રસન્નતા જણાવી તેમને શ્રીજીમહારાજના રહસ્ય અભિપ્રાયની ચમત્કારી વાતો કરતા, ને રાજી કરતા, મુક્તરાજશ્રીને હવે પચાસ વર્ષ ઉપર થયા. તેમનામાં જણાતી દિવ્ય વાત્સલ્યતા અને સામાજિક રિવાજ અનુસાર મુક્તરાજશ્રીને સૌ કોઈ ‘અબજીબાપા’ કે 'બાપા' કહીને બોલાવતા. 🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર