🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૪
સ્વામીશ્રી થોડો સમય મુક્તરાજશ્રી સાથે રહીને તેમની આજ્ઞા થતા પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદથી સ્વામીશ્રી કપડવંજ પધાર્યા. જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ જ ઢાળ એ જ બ્રહ્મયજ્ઞ ને એ જ સૌ કોઈને દિવ્યાનંદમાં તરબોળ કરી દેવાની પ્રવૃત્તિ. રોજે બાળકો-કિશોરોને ભેગા કરે, સૌને ભગવત્સ્વરૂપમાં જોડે. ત્યાં મોઢ વણિક શ્રીકૃષ્ણભાઈનો દીકરો ચુનીલાલ રોજ સ્વામીશ્રીના સમાગમે આવે. તે ભાઈ મુંબઈમાં રહીને અભ્યાસ કરતા હતા. રજાઓમાં કપડવંજ આવે. તમને સુપાત્ર જાણી સ્વામીશ્રીએ શ્રીહરિ પ્રતાપની અને મુક્તોના મહિમાની વાત કરી અને પછી કહ્યું કે હાલ શ્રીહરિની ઈચ્છાથી પૃથ્વીલોકમાં દર્શન દેના એક મહામુક્ત કચ્છમાં ભુજ પાસે બળદિયા ગામે બિરાજે છે. તેમના દર્શન-પ્રસન્નતા ને આશીર્વાદથી ભગવાનના સ્વરૂપમાં સહેલાઈથી સ્થિતિ થાય છે. આ વાત ચુનીલાલના અંતરમાં ઉતરી ગઈ. તેમને કચ્છમાં જઈ મુક્તરાજ અબજીભાઈ ના દર્શનની અતિ ત્વરા થઈ ગઈ, પણ પોતાની રજાઓ પૂરી થઈ ગયેલી ને ભણવા માટે મુંબઈ પાછું ફરવાનું હતું. તેથી તેમણે સ્વામીશ્રીને વિનંતી કરી : “મારે મુક્તરાજશ્રીના દર્શન કરવા જ છે, પણ અત્યારે અનુકૂળતા નથી, પણ આપને મારી નમ્ર અરજ છે કે આપ જ્યારે તેમના દર્શને કચ્છમાં જાઓ ત્યારે મને મુંબઈ પત્રથી જણાવજો, એટલે હું ત્યાં દર્શને આવીશ. આપ ત્યાં હો ત્યારે હું ત્યાં દર્શને આવું તો મને વધુ દિવ્ય લાભ મળે. ” સ્વામીશ્રીએ એમનું મુંબઈનું સરનામું લઈ રાખ્યું.
કપડવંજથી સ્વામીશ્રી લુણાવાડા પધાર્યા. હરિભક્તોને શ્રીહરિ વાર્તાથી આનંદ ઉપજાવતા થકા સંતો લુણાવાડામાં છે, ત્યાં કચ્છમાંથી મુક્તરાજશ્રીનો પત્ર આવ્યો કે ઉપરદળવાળા રામજીભાઈને મંદવાડ છે ને મળવાની તાણ બહુ હોવાથી અમે પ્રથમ મૂળી થઈ ઉપરદળ જઈશું. તમોને અનુકૂળ હોય તો ઉપરદળ ભેગા થજો.
ઉપરદળ પહોંચવાની પાંચ-છ દિવસની વાર હતી તેથી સ્વામીશ્રી લુણાવાડાથી સુથરામપુર પધાર્યા. ત્યાં સુખરામભાઈ મોટા મુક્ત રહેતા હતા. એક-બે દિવસ ત્યાં રહી સુખરામ-ભાઈની રજા માગી, કહ્યું કે મુક્તરાજ અબજીભાઈ ઉપરદળ આવવાના છે તે અગાઉ ઉપરદળ પહોંચવું છે. સુખરામભાઈ કહે: "સ્વામી! તમે દયા કરીને આવ્યા છો તો અહીં નિરાંત કરીને રહો. તમારે મુક્તરાજ ભાઈશ્રીને મળવું છે તે વાતમાં હું ફેર પડવા નહિ દઉં. જ્યારે તેઓશ્રી કચ્છમાંથી રવાના થશે, ત્યારે હું તમને અહીંથી રજા આપીશ. ત્યાં સુધી તો રાજી થઈને રહો.” તેથી દસ દિવસ સંતો ત્યાં રહ્યા, ત્યાર પછી તેમણે સ્વામીશ્રીને રજા દીધી. સુખરામભાઈ એવા નિરાવરણ દષ્ટિવાળા હતા.
સ્વામીશ્રી સહિત સંતો ઉપરદળ પહોંચ્યા, ત્યાર બાદ બે ફલાકે મુક્તરાજશ્રી સંધે સહિત ઉપરદળ પધાર્યા, રામજીભાઈ તો હેતની મૂર્તિ તાવમાં ને તાવમાં ઊભા થઈ દંડવતૂ કરવા લાગ્યા, ને બાથમાં લઈ મળ્યા. ત્રણ દિવસ તેમને રાજી કરી, મુક્તરાજશ્રી, સ્વામીશ્રી તથા સંત-હરિભક્તો ભાયલા થઈને ધોળકા પધાર્યા.
સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી સ્વામી તે વખતે ધોળકા મંદિરના મહંત હતા. મુક્તરાજશ્રી તથા સ્વામીશ્રી અને સંત-હરિભક્તોને આવેલા જાણીને સ્વામીશ્રી વૃંદાવનદાસજી બહુ જ રાજી થયા અને મુક્તરાજશ્રીની ખૂબ સેવા કરી પ્રસન્ન કર્યા. મુક્ત-રાજશ્રીએ રાજી થઈને સ્વામી વૃંદાવનદાસજીને શ્રીજીમહા-રાજની તેજોમય મૂર્તિના દર્શન કરાવ્યા ને પોતાની અનાદિ મુક્તની સ્થિતિનો અનુભવ કરાવી દીધો.
🍃🍃🌼🍃🍃
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર