🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૬
કેરા ગામમાં આચાર્યશ્રીએ મુક્તરાજને એકાંતે મળવા સારુ પોતાની પાસે પોતાના તંબુમાં બોલાવ્યા. ત્યારે મુક્તરાજશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજીને સાથે લઈ પૂજ્ય મહારાજશ્રીના તંબુમાં ગયા. આચાર્ય મહારાજશ્રીએ કહ્યું. “શ્રીજીમહારાજે તમને જીવોના મોક્ષ કરવા મોકલ્યા છે—એમ અમે સ્વામી નિર્ગુણદાસજી પાસેથી ઘણી વાર સાંભળ્યું હતું.” એમ કહી તેઓશ્રીએ બહુ રાજીપો બતાવ્યો. સદ્દગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, ઇશ્વરચરણદાસજી સ્વામી આદિ સંતમંડળ સહિત મુક્તરાજશ્રી આચાર્ય મહારાજશ્રીને વળાવવા અંજાર સુધી ગયા.
સ્વામી ઈશ્વરચરણદાસજી કુંભારિયાથી મુક્તરાજશ્રી સાથે વૃષપુર આવ્યા, ને ત્યાં થોડા દિવસ મુક્તરાજશ્રીના જોગ-સમાગમનો લાભ લઈને અમદાવાદ તરફ આવ્યા.
સં. ૧૯૫૪ની સાલ બેઠી છે. મુક્તરાજ અબજીભાઈના દર્શન-સમાગમ કરવા સારુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા મૂળીના સ્વામી બાળકૃષ્ણદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતમંડળ તથા અમદાવાદ, મૂળી વગેરેના હરિભક્તો આવ્યા. સૌ અહોનિશ કથાવાર્તા-ધ્યાન-ભજનનુ સુખ લેતા હતા. એક દિવસ સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ મુકતરાજશ્રીને પ્રશ્ન પૂછ્યો : “શ્રીજીમહારાજનું ધ્યાન કેવી રીતે કરવું?” પોતે તો તે જાણે જ છે, પોતાને તો શ્રીહરિકૃપા મળી ચૂકેલી જ છે, પણ અન્ય સૌના લાભને માટે જ સ્વામીશ્રી પ્રશ્ન પૂછે છે, તે જાણી મુકતરાજશ્રી બોલ્યા : “શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું,—તે મૂર્તિના નેજરૂપ થઈને ધ્યાન કરવું તેથી પણ પ્રતિલોમ વૃત્તિએ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવું તે વિશેષ છે ને પોતાને મળી જે શ્રીજીમહારાજની મૂર્તિ તેનું જ ધ્યાન કરવું, ને ધ્યાન કરતાં કરતાં ઉપશમ થાય ને દેહ ભૂલી જવાય ત્યારે મૂર્તિનું સુખ આવે, ને મૂર્તિનું સુખ આવે ત્યારે આત્મા કારણ—મહાકારણથી
નોખો પડી પુરુષોત્તમરૂપ થાય, માટે ધ્યાનનો અભ્યાસ કરવો ને સર્વ ક્રિયામાં મૂર્તિ ભૂલવી નહિ. મૂર્તિમાં અખં શખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કર્યા કરવો, ને શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજવી. શ્રીજીમહારાજ સદા દિવ્ય સાકારમૂર્તિ છે ને પ્રત્યક્ષ છે, એમ શ્રીજીમહારાજને સમજવા ને શ્રીજીમહારાજની આશામાં ફેર પડવા દેવો નહિ.” સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી પણ વાતો કરતા. સૌને અતિ આનંદ આનંદ વર્તતો.
પછી વૃષપુરની બાજુના નારાયણપુર ગામના જાદવજી-ભાઈ મુક્તરાજશ્રી તથા સર્વે સંત-હરિભક્તને નારાયણપુર તેડી ગયા ને સેવા-સમાગમનો સર્વે એ લહાવ લીધો. ત્યાંથી કેસરાભાઈ દહીંસરા તેડી ગયા, ત્યાં તેમણે સર્વેને સેવા કરીને રાજી કર્યા. ત્યાંથી રામપુર ગયા, ત્યાં દેવરાજભાઈ આદિએ સેવા કરીને રાજી કર્યો. ને ત્યાંથી લક્ષ્મીરામભાઈના આગ્રહથી માંડવી બંદર આવ્યા. ત્યાં સર્વેએ કથાવાર્તાનો અતિ આનંદ માણ્યો. માંડવીથી સૌ ફરી વૃષપુર આવ્યા. સૌ આનંદસાગરમાં હિલોળા લેતા હતા!
વૃષપુરમાં સદ્ગુરુઓ હોવાથી મુક્તરાજ આખો દિવસ મંદિરમાં જ રહેતા અને પોતાના ઘરે ફક્ત બે વખત જમવા માટે જતા. રાત્રો મંદિરમાં જ સૂઇ રહેતા. બધો વખત શ્રીજી-પ્રતાપની તથા મહિમાની વાતોનો પ્રસંગ ચાલ્યા કરતો. મુક્તરાજશ્રીને ખેતીકામની વાડીઓ હતી તેમાં પોતાના પુત્ર-પરિવાર દેખભાળ કરતા, પોતે સાધારણ રીતે દિવસમાં એકાદ આંટો વાડીએ જતા, પણ સંતમંડળ આવેલ હોવાથી વાડીએ જતા નહીં. એક મોડી રાત્રે મુક્તરાજશ્રી સૂતેલા હતા ત્યાંથી ઊઠીને માથે પાઘડી બાંધવા માંડ્યા. સ્વામી ઈશ્વરચરણદાસજી એ વખતે માળા ફેરવતા હતા. તેમણે આ જોયું, તેથી પોતે ઊઠ્યા. તે વખતે ઘડિયાળમાં જોયું તો રાત્રિનો દોઢ વાગ્યો હતો.
🍃🍃🌼🍃🍃
#🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗