c.j. jadav
2K views • 3 days ago
🍃🌼🍃🍃
બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૫
સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજીને ૨૭૩ વચનામૃતો તેમને જિહવાગ્રે હતાં. કયા વચનામૃતમાં કયા પ્રશ્નના જવાબમાં શું બાબત કહેવાઈ છે તે બતાવવું તેમને રમત જેવું હતું. શાસ્ત્રાર્થ કરવા આવનાર છેવટ તેમને પગે પડીને જ જતા. કદાચ સ્વામીશ્રીનો અભિપ્રાય તે પૂરો કબૂલ રાખે કે ન પણ રાખે, છતાં સ્વામીશ્રીના જ્ઞાનભંડારથી તો ડઘાઈ જ જતા, અને છેવટ તેઓને કહેતા સાંભળ્યા છે કે 'આપનો આટલો અભ્યાસ અમે ધાર્યો ન હતો.' આમ દેખાવમાં કોઈને એમ ન થાય કે સ્વામીશ્રી ઊંડા અભ્યાસી હશે, છતાં જ્યારે પ્રસંગ આવે ત્યારે વાગ્ધારા છૂટે તે એટલી એકધારી ને ધોધબંધ હોય કે સામાને અવાક્ થવું જ પડે.
એક શ્રી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની સારપ્ય જીવને ન રહે તેની સ્વામીશ્રી બહુ જ કાળજી રાખતા.
સદ્ગુરુશ્રી જેતલપુર મંદિરના મહંત હતા, પણ હવે મુક્તરાજ બાપાશ્રીની મરજી એવી જણાઈ કે મહંત તરીકે ચાલુ ન રહેવું. વળી, સત્સંગ સાહિત્યની સેવાની પ્રવૃત્તિનો ફલક વિસ્તરતો જતો હતો, તેથી સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ સં. ૧૯૭૦ના કાર્તકના સમૈયે જેતલપુરના મહંતનું પદ છોડી દીધું. વચનામૃત શોધન કરાવી શુદ્ધ-પ્રમાણભૂત પ્રત બનાવવાનું અતિ અગત્યનું કામ શરૂ થયું. સદ્દગુરુશ્રી મુખ્ય માર્ગદર્શક હતા. પોતાને બધાં વચનામૃતો જિહ્વાગ્રે હતા. તે જ રીતે સદ્દગુરુશ્રીની સેવામાં મૂળ મંદિરના પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામીશ્રી તથા પ.ભ. ત્રિભુવનભાઈ (હળવદ-વાળા) આદિ જોડાયા. એ સૌ પણ વચનામૃતના પરિપકવ અભ્યાસીઓ હતા. એ સૌને પણ બધાં વચનામૃતો કંઠસ્થ હતા. સૌ શ્રીહરિજીની પ્રસન્નતા અર્થે ને મુક્તરાજ બાપાશ્રીની આજ્ઞાથી સેવાયજ્ઞમાં જોડાયા હતા. એકેએક શબ્દની પરીક્ષા થતી જતી હતી. એકેએક લીંટીએ લીંટી તપાસાતી હતી. પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામીશ્રી એટલે હસ્તપ્રતોનો ખજાનો! જ્યાં જ્યાંથી જેટલી મળી તેટલી બધી હસ્તપ્રતો પુરાણીશ્રીએ ભેગી કરેલી. મોટા મુક્તોને અને શ્રીહરિજીને રાજી કરવાનો અનેરો અવસર જાણી પુરાણીશ્રીએ વચનામૃતની બધી હસ્તપ્રતો સદ્ગુરુશ્રીને સોંપી. સદ્ગુરુશ્રીએ કેવળ હસ્તપ્રતો જ ન લીધી પુરાણીશ્રીને પણ લઈ જ લીધા! સેવાયજ્ઞમાં અન્ય અનેક સેવકો અતિ ઉત્સાહથી મદદમાં ખડે પગે રહે. કોઈ આ હસ્તપ્રતમાંથી કૉપી ઉતારે, કોઈ તે હસ્તપ્રતમાંથી ઉતારે, સતત પ્રવૃત્તિ, સતત માર્ગદર્શન, સતત સંશોધન ચાલ્યા જ કરે. વળી, સદ્ગુરુશ્રી પોતાના સેવકોની એવી તો સંભાળ રાખે, જાણે વિશાળ કુટુંબની માતૃસંભાવના ! સૌના ઉપર સદ્દગુરુશ્રીનો રાજીપો વરસ્યા કરે, સૌને એમ જ લાગે કે સદ્દગુરુશ્રી મારા ઉપર અતિશય રાજી છે, ‘મારા પોતાના છે', સૌ કોઈના વ્યવહારની પણ ખબર રાખે, આ લોક-પરલોક બંનેનું સતત ધ્યાન રાખે તેવા સદ્દગુરુશ્રીના પરિચય-સેવામાં આવ્યા તે સૌના અહોભાગ્ય !
જય સ્વામિનારાયણ. #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
19 shares