🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 74
બાપાશ્રી સાથે સદ્ગુરુશ્રી અનંત જીવોના કેવળ કલ્યાણ માટે, સૌના ઉપર રાજી થઈ, ગામેગામ ફર્યા. અમદાવાદથી મેડા થઈ મણિપુર પધાર્યા. ત્યાં મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી, ઘેરઘેર પધારી સૌને રાજી કર્યા. ત્યાંથી જોશીપુરા, ખંડરપરા થઈ દેવપરા આવી રાત રહ્યા. બીજે દિવસે કલ્યાણપરા થઇ ધર્મપુર પધાર્યા. ત્યાં (મહા સુદ) એકાદશીનું ફરાળ કરી ઘોઘામઢ, પંઢરપુર થઈ વિશોતપરા પધાર્યા. રાત રોકાયા. ત્યાંથી ગાડામાં બેસી કડી પધાર્યા. શ્રી ધનશ્યામ મહારાજની આરતી ઉતારી, પ્રસાદી વહેંચી ઘેરઘેર પધારી સૌને રાજી કર્યા. કુંડાળ ગયા, પાછા કડી આવી રાત રોકાયા. ત્યાં ઉનાવાના હરિભક્તોએ આવી પ્રાર્થના કરી તેથી સદ્ગુરુના આગ્રહથી બાપાશ્રી ગામ ઉનાવા પધાર્યા. સૌને કથાવાર્તાથી રાજી કર્યા ને બાપાશ્રીને હાથે સૌના ઉપર પાણી છંટાવી મોક્ષના વચન આપ્યા. ત્યાંથી દોલારાણાના વાસણા પધાર્યા. મંદિરમાં દર્શન કરી, હરિભક્તોના ઘેરઘેર પધારી રાત રહ્યા. ત્યાંથી કલાલ થઇ આદરજ, ધમાસણા થઈ અમદાવાદ પાછા પધાર્યા. હરિભક્તોનાં આગ્રહ ને ત્વરાથી રાજી થઈ બાપાશ્રી ફરી અમદાવાદથી નીકળી સદ્દગુરુશ્રી-સંત હરિભક્તો સહિત જેતલપુર, અસલાલી, રાયપુર, વહેલાળ, કણભા, કુજાડ, બાકરોલ, કાળી, મોટેરા વગેરે ગામોમાં પધાર્યા. સૌને દર્શન-સેવાનો લાભ આપી રેલ્વે માર્ગે સૂરત પધાર્યા. ત્યાંથી પાછા વળતા વડોદરા થઇ વડતાલ દર્શને મધાર્યા, વડતાલથી મોટર માર્ગે નળકાંઠા વિસ્તારના ગામોમાં દર્શન દેવા પધાર્યા. કુંડળ, નાનોદરા, દેવધોલેરા, કેસરડી, ઝાંપ, વનાળિયા, મેંટાળ, રેથળ, વાસણા, ઉપરદળ થઈ વાંસવા પધાર્યા. ત્યાં બાઇઓના મંદિરમાં મૂર્તિ પધરાવી, ત્યાંથી અમદાવાદ પધાર્યા.
તે વખતે જાણ્યું કે બાપાશ્રીના પૌત્ર જાદવજીભાઈની આંખની દવા હજુ એક મહિનો ચાલશે. દરમ્યાન કરાંચીના હરિભક્તોના તાર તથા કાગળ આવેલા કે આપ સૌ કૃપા કરી કરાંચી પધારો. ત્યારે બાપાશ્રી સદ્ગુરુશ્રીને કહે: “સ્વામી! તમે ભેળા ચાલો તો આપણે કરાંચી જઈ આવીએ. ત્યાં સુધી અહીં જાદવજીની દવા પણ થાય.” સદ્ગુરુશ્રી તો લાભ અપાવવા જ બેઠા હતા ! તેમણે તરત જ કરાંચી તાર કરાવ્યો.
રેલ્વે માર્ગે સદ્ગુરુ ઘનશ્યામજીવનદાસજી સ્વામી, પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામી, દેવજીવનદાસજી સ્વામી, મુક્તવલ્લભ-દાસજી સ્વામી તથા બાપાશ્રીના અનન્ય સેવક આશાભાઈ વગેરે સાથે બાપાશ્રી તથા સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી કરાંચી પધાર્યા. કરાંચીનું આખું સ્ટેશન હરિભક્તો-મુમુક્ષુઓથી ઊભરાતું હતું. મુક્તરાજ બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામીશ્રીના પ્રભાવશાળી સ્વરૂપથી સૌ કોઈ આકર્ષાતા. હરિભક્તોએ અતિ ભાવથી ધામધૂમથી સ્વાગત કર્યું. કરાંચીના મુક્તો લાલુભાઈ, મહાદેવભાઈ, સોમચંદભાઈ વગેરેએ બાપાશ્રી અને સદ્ગુરુ-શ્રીનો લાભ સૌ કોઈને મળે તેમ કથા-વાર્તા, પધરામણી, રસોઈ, પ્રસાદીના કાર્યક્રમ ગોઠવ્યા. હરિભક્તોને હોંશ હોવાથી સૌને ગુલાલ ઉડાડી રાજી કર્યા. હરિભક્તોને તો લાભ લેવાનો અતિશય ઉમંગ. સત્સંગ સમાજ સહિત બાપાશ્રી-સંતોના ફોટોગ્રાફ પાડ્યા. સભામાં ને આસને કથાનો તો સોંપો પડે જ નહીં. બાપાશ્રી તથા સદ્ગુરુશ્રી ચમત્કારી વાતો કરી સૌને શ્રીજીમહારાજના મહિમા ને દિવ્યભાવ દઢ કરાવતા.
🍃🍃🌼🍃🍃
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર