c.j. jadav
979 views
1 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૧૬ સ્વામી ઈશ્વરચરણદાસજીને બ્રહ્મયજ્ઞમાં ઝીલવા ઉપરાંત એક વિશેષ લાભ હતો – તે બંને મુક્તોની અંગસેવામાં રહેવાનો. નહાવા-ધોવામાં, જમવામાં, પાણી પીવામાં, આસન કરવામાં – દરેક સેવાનો લાભ લેવાનો સતત ખટકો રાખતા. સદ્ગુરુશ્રીએ પોતે જ એક વાર પોતાના સાધુને પાસે બેસારીને આ વાત કહી : “અમે અનાદિ મુક્તરાજ સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી ભેળા રહેતા, ત્યારે જાણે શ્રીજીમહારાજ ભેળા છીએ એમ જ લાગતું, કેમકે મહારાજના લાડીલા અનાદિ મુક્ત ભેળા મહારાજ અખંડ હોય જ. તમારે પણ આ અબજીભાઈશ્રીમાં એવો દિવ્યભાવ રાખવો જે એ જયાં હોય ત્યાં શ્રીજીમહારાજ હોય જ. જ્યારે એ વાતો કરે છે ત્યારે “સંત બોલે તે ભેળો હું બોલું રે, ” – એ પ્રમાણે મૂર્તિના જ શબ્દો આવે છે. અનુભવી હોય તે જાણે, પણ એવા અનુભવી બધા ય ક્યાંથી હોય? તમે આ વાત જાળવજો ને ભાઈશ્રીનો રાજીપો ખૂબ મેળવજો. અમારો ને એમનો સંકેત ભેળો છે. આગળ જતાં એમનો પ્રતાપ તથા સામર્થ્ય જેમ છે તેમ સૌને જણાશે. અનાદિ મુક્ત એક હોય ને બીજા લાખો-કરોડો હોય પણ એ એકની તુલ્ય કોઈથી ન થવાય. એવા આ મુક્ત મોટા છે.” સ્વામી ઈશ્વરચરણદાસજીની સમજણ ઉપર સદ્ગુરુશ્રીએ પોતે જ સંમતિની મહોર મારી ! મૂળીના એક માસના રોકાણ દરમ્યાન મુક્તરાજશ્રીને ત્રણ દિવસ સુધી સમાધિ રહી. સૌ સંત-હરિભક્ત દર્શન કરી રાજી થયા. આમ સંવત ૧૯૪૪ના ચાતુર્માસમાં મૂળીમાં અઢળક લાભ મળ્યો. સ્વામી ઈશ્વરચરણદાસજી સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામીની સેવા કરતા કરતા શ્રીહરિજીની મૂર્તિમાં જ થીજીને રહેવા લાગ્યા. અનુભવજ્ઞાન વિલસી રહ્યું ! સદ્દગુરુશ્રી સાથે ગામેગામ ફરવાનું થાય છે, પણ પોતે તો જાણે મૂર્તિમાં રહીને જ ફરે છે, હરે છે, સેવા કરે છે, એવો અનુભવ અવિચ્છિન્ન-પણે કરવા લાગ્યા. સંવત ૧૯૪૭ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજીને સદ્ગુરુશ્રી સાથે જેતલપુર જવાનું થયું. પૂર્વાશ્રમના ભાઈ કસીભાઈ પાર્ષદ થઈને ત્યાં મંદિરમાં રહ્યા હતા. સ્વામી ઈશ્વરચરણદાસજીએ એમને પોતાને મળેલા અમૂલ્ય લાભની વાત કરી, સમજાવી દીધું કે મૂર્તિરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં લુબ્ધ થઈ રહેવું, મૂર્તિમાંથી ક્યારેય જુદાં ન પડવું, તદ્રુપ – તન્મય, રસબસ. કસીભાઈ તો જાણે આ વચનો સાંભળવાની જ રાહ જોઈને બેઠા હોય એવું થયું. પોતાના આસને જઈ કસીભાઈ એ રીતે શ્રીહરિસ્વરૂપમાં અતિ સ્નેહે જોડાઈ ગયા. સમગ્ર અસ્તિત્વ પલટાઈ ગયું, અપરોક્ષ અનુભવના મહાસાગરમાં ઊંડા ઊતરી ગયા ! પંદર-વીસ દિવસમાં તો ભૌતિક દેહનો ત્યાગ કરી શ્રીહરિજીના પરમ અદ્ભુત સુખમાં જ સમાઈ ગયા. 🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ